- Entertainment
- રક્ષાબંધને બાબા રામદેવે કંગનાને મીઠાઈ અને રૂપિયા મોકલ્યા, કહ્યું- 'વિવાદ પૂરો કરો'; કંગનાએ આપ્યો જવા...
રક્ષાબંધને બાબા રામદેવે કંગનાને મીઠાઈ અને રૂપિયા મોકલ્યા, કહ્યું- 'વિવાદ પૂરો કરો'; કંગનાએ આપ્યો જવાબ
રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર યોગગુરુ બાબા રામદેવે અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રણૌત માટે મીઠાઈ અને ભેટ મોકલી છે. આ સાથે જ તેમણે એક પરબિડીયામાં રૂ. 500ની અનેક નોટો પણ ભેટ તરીકે મોકલી હતી. આ પ્રસંગે બાબા રામદેવે જણાવ્યું હતું કે સંબંધોમાં મીઠાશ જળવાઈ રહેવી જોઈએ અને જૂના મનદુઃખ ભૂલીને પ્રેમપૂર્વક આગળ વધવું જોઈએ.
બાબા રામદેવે કહ્યું કે દેશમાં કોઈપણ કારણે નફરત કે એકબીજા પ્રત્યે વેરભાવ ન હોવો જોઈએ. તેમણે ઉમેર્યું, છેલ્લા કેટલાક દિવસોમાં મારા અને કંગના રણૌત વચ્ચે વિવાદની ચર્ચા થઈ હતી, જેને સંવાદ દ્વારા પૂરો કરવો જોઈએ. હું કંગનાને ફોન કરીને પણ રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવીશ.

બાબા રામદેવના આ સંદેશ બાદ કંગના રણૌતે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેમનો વીડિયો શેર કર્યો હતો. તેમણે લખ્યું, તહેવારનો દિવસ બધી ભૂલચૂક માફ કરવા માટે હોય છે. મારા ભાઈ બાબા રામદેવજીએ ખૂબ સરસ વાત કહી કે વિવાદ નહીં, સંવાદ થવો જોઈએ. આજે રક્ષાબંધનના દિવસે હું તેમની મીઠાઈ અને મોટા ભાઈનો પ્રેમ, બંને સ્વીકારું છું. ખૂબ ખૂબ આભાર, ઈશ્વર તમને દીર્ઘાયુ આપે.
અગાઉ કંગના રણૌતે Gen-Z વિરોધ પ્રદર્શનકારીઓને 'ગટરછાપ' કહ્યા હતા. આ મુદ્દે બાબા રામદેવે કંગના પર નિશાન સાધતા કહ્યું હતું, તેમની લાયકાત શું છે? તેમનું બાળપણ કેવું રહ્યું છે? તેમની યુવાની કેવી રહી છે? તેમના ભૂતકાળના કારનામા કેવા રહ્યા છે? હું આવા લોકો વિશે વાત કરવા નથી માંગતો. દેશના યુવાનોને, Gen-Z ને ગટર-પટર કહેવું એ બગડેલા મગજની નિશાની છે. આ ખોટી વાત છે અને તેમની પાર્ટીના લોકોએ આ બાબતે સંજ્ઞાન લેવું જોઈએ.

બાબા રામદેવની આ ટિપ્પણી બાદ કંગનાએ પણ વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે બાબા રામદેવે તેમની યુવાની કે બેડરૂમ વિશે 'ડે-ડ્રીમ' (દિવાસ્વપ્ન) ન જોવું જોઈએ.
કંગના રણૌતે 'ડીડી ન્યૂઝ'ને આપેલા એક ઈન્ટરવ્યુમાં પણ કહ્યું હતું, બાબા રામદેવ મારાથી પહેલેથી જ નારાજ ચાલી રહ્યા છે. તાજેતરમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કંગનાએ પ્રદર્શનકારીઓને ગટરછાપ કહ્યા છે, તો તેમણે કહ્યું કે તેનું બાળપણ કેવું હતું, તેની યુવાની કેવી હતી તે જોયું છે? શું બાબા રામદેવ મારા બેડરૂમમાં ચામાચીડિયું બનીને લટકેલા હતા? મને સમજ નથી પડતી કે તેમણે એવું તે શું જોયું, તેમણે કહેવું જોઈતું હતું ને કે તેમણે શું જોયું છે!

બીજી તરફ, કંગના કૃતિ સેનનની રક્ષાબંધનની જાહેરાત પર આપેલા પોતાના અગાઉના નિવેદનથી પાછળ હટી ગયા છે. 'ડીકોડ લાઈવ' શોમાં કંગનાએ કહ્યું કે કૃતિનું જે મન થાય તે પહેરી શકે છે, તેમને કોઈ રોકી નથી રહ્યું. કોને શું પડી છે? ઉલ્લેખનીય છે કે, આ પહેલાં કંગનાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે આજે મહિલાઓ પાસે પહેરવા માટે તમામ પ્રકારના કપડાંના વિકલ્પો ઉપલબ્ધ છે, તો પછી રક્ષાબંધન પર ભાઈને રાખડી બાંધતી વખતે આ પ્રકારના કપડાં શા માટે પસંદ કરવામાં આવ્યા.

