- Politics
- પૂર્વ કોંગ્રેસ સાંસદના અવસાન પર તેમના પરિવારને સાંત્વના આપવા ગયેલા BJPના 3 સાંસદોને નીતિન નબીને ઠપકો...
પૂર્વ કોંગ્રેસ સાંસદના અવસાન પર તેમના પરિવારને સાંત્વના આપવા ગયેલા BJPના 3 સાંસદોને નીતિન નબીને ઠપકો આપ્યો
પૂર્વ કોંગ્રેસ સાંસદ સજ્જન કુમારના નિધન બાદ તેમના પરિવારને સાંત્વના આપવા અને શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા દિલ્હીના 3 ભાજપ લોકસભા સાંસદોને ભાજપના પ્રમુખ નિતિન નબીને સખત ઠપકો આપ્યો છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના સાંસદો—કમલજીત સેહરાવત, રામવીર સિંહ બિધૂડી અને યોગેન્દ્ર ચંદોલિયાએ તાજેતરમાં જ સજ્જન કુમારના નિવાસસ્થાને જઈને તેમના પરિવારજનોની મુલાકાત લીધી હતી. પક્ષના અધ્યક્ષે આ પગલા સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે.
તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ 1984માં ફાટી નીકળેલા સિખ વિરોધી રમખાણો દરમિયાન સિખોની હત્યાના ગુનામાં 20 ઓગસ્ટના રોજ અવસાન પામેલા સજ્જન કુમાર બેવડી આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા. શનિવારે નવી દિલ્હી ખાતે તેમની પ્રાર્થના સભા યોજાવાની છે.

આ મુલાકાતને કારણે ભારે વિવાદ સર્જાયો છે. ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં જ ભાજપમાં જોડાયેલા વરિષ્ઠ નેતા એચ. એસ. ફૂલકાએ આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી છે. 1984ના સિખ વિરોધી રમખાણોના પીડિતો માટે લાંબા સમયથી કાનૂની લડાઈ લડી રહેલા ફૂલકાએ ભાજપના સાંસદોના આ પગલાને અયોગ્ય ગણાવ્યું હતું.
એચ. એસ. ફૂલકાએ જણાવ્યું હતું કે, નરસંહારના દોષિત સજ્જન કુમારના અવસાન પર શ્રદ્ધાંજલિ આપવા તેમના ઘરે પહોંચેલા ત્રણેય સાંસદોના આ પગલાની હું સખત શબ્દોમાં નિંદા કરું છું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ મુલાકાત એટલા માટે વધુ વાંધાજનક છે કારણ કે ભાજપ હંમેશાથી શિખ વિરોધી રમખાણોના પીડિતોના ન્યાય માટેની લડાઈમાં તેમની સાથે ઊભો રહ્યો છે અને સજ્જન કુમાર જેલના સળિયા પાછળ રહે તે માટે પીડિત પરિવારો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને સમર્થન આપ્યું છે. ફૂલકાએ કહ્યું, સહાનુભૂતિ માત્ર પીડિતો અને તેમના પરિવારો માટે જ હોવી જોઈએ, જેમાંથી ઘણા લોકો આજે પણ એ દિવસોના દર્દ સાથે જીવી રહ્યા છે. હું આ ત્રણેય સાંસદોનો બહિષ્કાર કરવાની માંગ કરું છું.
આ મામલે પ્રતિક્રિયા આપતા ભાજપે સ્પષ્ટ કર્યું હતું કે આ ત્રણેય સાંસદો સજ્જન કુમારના ઘરે વ્યક્તિગત ધોરણે ગયા હતા, પક્ષના પ્રતિનિધિ તરીકે નહીં. ભાજપના પ્રવક્તા આર. પી. સિંહે જણાવ્યું હતું કે, આ ત્રણેય સાંસદો સજ્જન કુમારના નિવાસસ્થાને પોતાની વ્યક્તિગત ક્ષમતામાં ગયા હતા, પક્ષના નેતા કે પ્રતિનિધિ તરીકે નહીં.

ઉલ્લેખનીય છે કે, આ ત્રણેય સાંસદો દિલ્હીની જે બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે તે ભૂતપૂર્વ 'આઉટર દિલ્હી' લોકસભા મતવિસ્તારમાંથી અલગ કરવામાં આવી હતી, જ્યાંથી સજ્જન કુમાર કોંગ્રેસના નેતા તરીકે લોકસભામાં ચૂંટાઈ આવતા હતા. બિધૂડી દક્ષિણ દિલ્હી, સેહરાવત પશ્ચિમ દિલ્હી અને ચંદોલિયા ઉત્તર-પશ્ચિમ દિલ્હી બેઠકના સાંસદ છે.
પાટનગરમાં યોજાનારી સજ્જન કુમારની પ્રાર્થના સભા અગાઉ જ ભાજપ હાઈકમાન્ડ દ્વારા લેવાયેલું આ કડક વલણ મહત્ત્વનું માનવામાં આવે છે. ભાજપ હંમેશા 1984ના રમખાણો અને તેમાં સંકળાયેલા કોંગ્રેસી નેતાઓ સામે કડક સ્ટેન્ડ લેતો આવ્યો છે. સજ્જન કુમારને રમખાણો દરમિયાન દિલ્હીના રાજ નગર વિસ્તારમાં બે શિખ પુરુષોની હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કેસમાં તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને તેઓ 1984ના જ અન્ય એક રમખાણ કેસમાં પણ આજીવન કેદની સજા કાપી રહ્યા હતા.

