- Gujarat
- 20 રૂપિયાના લાંચ કેસમાં 20 વર્ષે નિર્દોષ જાહેર થયા, ઘરે આવ્યા અને રાત્રે પ્રાણ પખેરું ઊડી ગયું
20 રૂપિયાના લાંચ કેસમાં 20 વર્ષે નિર્દોષ જાહેર થયા, ઘરે આવ્યા અને રાત્રે પ્રાણ પખેરું ઊડી ગયું
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વર્ષ 1997માં ઘટના બની હતી, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઇ પર માત્ર 20 રૂપિયાની લાંચ લેવાના આરોપ લાગ્યો હતો, જેમાં એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ ટ્રેપ ગોઠવી તેમની ધરપકડ કરી હતી. લાંચ લેવા મામલે કેસ કોર્ટમાં ચાલતા તે સમયે પોલીસ કોન્સ્ટેબલ બાબૂભાઈને સેશન્સ કોર્ટે દોષિત ઠેરવીને સજા ફટકારી હતી. ત્યારબાદ બાબુભાઈ 2-3 મહિના જેલમાં રહ્યા હતા. સેશન્સ કોર્ટના ચૂકાદાથી તેમની કારકિર્દી અને સામાજિક પ્રતિષ્ઠા પર મોટું જોખમ ઊભું થયું હતું.
બાબુભાઈએ સેશન્સ કોર્ટના આદેશને પડકારતા હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો. તેમણે એડવોકેટ નીતિન ટી. ગાંધી મર્ફતે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી. બાબુભાઈએ ન્યાય મેળવવા માટે હાઈકોર્ટમાં કરવામાં આવેલી અપીલ બાદ 20 વર્ષની લાંબી કાનૂની લડત લડ્યા બાદ હવે આ કેસનો સુખદ અંત આવ્યો છે. 4 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાત હાઇકોર્ટના જજ એસ.વી. પિન્ટોએ કેસની ગંભીરતાને ધ્યાને લઈ બાબુભાઈ પ્રજાપતિને લાંચ લેવાના આરોપોમાંથી નિર્દોષ જાહેર કરતા મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો.
હાઈકોર્ટે પોલીસ નિર્દોષ છોડ્યા બાદ બાબૂભાઈ તેમના વકીલને મળવા માટે પહોંચ્યા હતા. જ્યારે વકીલે બાબૂભાઈને આગળની કાયદાકીય પ્રક્રિયા વિશે પૂછ્યું, ત્યારે તેમણે હતાશામાં કહ્યું હતું કે, ‘હવે કેસમાંથી છૂટ્યો છું, કંઈ કરવું નથી, હવે ભગવાન બોલાવી લે તો સારું.’ વકીલ સાથે થયેલી આ મુલાકાત બાદ બાબુભાઈ ઘરે પરત ફર્યા હતા. ત્યારબાદ રાત્રે તેમનું આકસ્મિક નિધન થઇ ગયું હતું. બાબુભાઈનું હાર્ટ એટેક આવવાને કારણે નિધન થયું હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે.

