- Gujarat
- ચેકપોસ્ટ બંધ કરાતા આતંકવાદીની ઘૂષણખોરી વધી શકે છે હાઇકોર્ટમાં થઇ અરજી
ચેકપોસ્ટ બંધ કરાતા આતંકવાદીની ઘૂષણખોરી વધી શકે છે હાઇકોર્ટમાં થઇ અરજી
રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં આવેલી તમામ ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયને લઇને સવાલ એ ઉભા થયા છે કે, જો ચેકપોસ્ટ બંધ થશે તો શું ગુજરાતના દારૂબંધીના નિયમનું કડકાઈથી પાલન થશે ખરું? રાજસ્થાનની બોર્ડર પર આવેલા અરવલ્લીમાં ચેકપોસ્ટ શરૂ હતા ત્યારે પણ બુટલેગરો લાખો રૂપિયાનો દારુ રાજસ્થાનની ગુજરાતમાં ઘૂસાડવાના પ્રયાસો કરતા હતા અને હવે તો ચેકપોસ્ટ બંધ કરવામાં આવી રહી છે. રાજ્યમાં દારૂબંધીના નિયમનો કડકાઈથી અમલ થાય તે માટે જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિના પ્રમુખ પ્રકાશ કાપડીયાએ દારૂબંધીના નિયમનો કડક અમલ કરાવવા અને ચેકપોસ્ટ શરૂ કરવા ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરી છે.

આ અરજીમાં પ્રકાશ કાપડીયાએ હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, ચેકપોસ્ટ બંધ કરવાના નિર્ણયને પગલે આતંકવાદીની ઘૂષણખોરી વધી શકે છે અને અસામાજિક તત્ત્વો સરળતાથી પ્રવેશી શકે છે. ચેકપોસ્ટ હટાવવાના કારણે દારૂ ખુલ્લેઆમ પ્રવેશી શકે છે, દારૂ પીને વાહન ચલાવવાના અને અકસ્માતના કિસ્સામાં પણ વધારો થઇ શકે છે. પ્રકાશ કાપડીયાની આ અરજી પર હાઈકોર્ટમાં આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આગાઉ ભાજપના જ નેતા અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે રાજ્ય સરકાર સમક્ષ ચેકપોસ્ટ ન હટાવવાની માંગણી કરી હતી.

અલ્પેશ ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પોલીસ ચેકપોસ્ટ હજુ પણ રહેવી જોઈએ કારણ કે, પોલીસ ચેકપોસ્ટ નહીં હોય તો એ જ રાજસ્થાનમાંથી ગાડીઓ દારુની હેરફેર થતી હોય છે. ત્યાંથી મોકલેલું ઝેર આપણા વિસ્તારમાં ન આવી જાય, જેમ તીડ ત્યાંથી આવ્યા તેમ દારૂની ગાડીઓ ન આવે તેના માટે આપણે નાકાબંધી કરવી પડશે અને એ નાકાબંધી કરવા માટે સરકારને રજૂઆત કરીશ.

ગેનબેન ઠાકોરે તેમના પત્રના જણાવ્યું છે કે, 'જય ભારત સાથે જણાવવાનું કે, આપની પાસેથી અમારી માંગણી છે કે, અમારો જિલ્લો બનાસકાંઠા રાજસ્થાન અને પાકિસ્તાનને અડીને આવેલો જિલ્લો છે. રાજસ્થાનમાં દારુની છૂટ હોવાથી ગુજરાતમાં બનાસકાંઠાની ચેકપોસ્ટ ક્રોસ કરીને દારુ માફિયા મોટા પ્રમાણમાં દારુ લાવે છે, પરિણામે ગુજરાતનું યુવા ધન દારુ પીને બરબાદ થાય છે. ગાંધીજીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં પણ રેલમછેલ જોવા મળી રહી છે.

ગુજરાત પોલીસને ચેકપોસ્ટ પરથી હટાવીને દારુ માફિયાઓને મોકળુ મેદાન આપ્યું છે. પોલીસ હતી તો પણ મોટા પ્રમાણમાં દારુ પકડાયો છે. ચેકપોસ્ટ પરથી પોલીસ હટાવીને ગુજરાત સરકાર જિલ્લા તાલુકાની ચૂંટણીમાં દારુ પાઈને યુવાનોને બરબાદ કરવા માંગે છે કે કેમ? મોટા દારુના ઠેકા વાળા જોડે ચૂંટણી જીતવા માટે દારૂની હેરાફેરી કરવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે. આ રીતે ચાલશે તો અમારો જીલ્લો સરહદી હોવાથી સૌથી વધારે મુશ્કેલી ઉભી થશે.'
તેમને વધુમાં લખ્યું હતું કે, 'દારૂની વધારે પડતી છૂટના કારણે દારૂડિયાઓ મારફતે મહિલાઓ પર અત્યાચાર, બળાત્કાર, લૂંટ અને ચોરી જેવા ગુનાઓમાં વધારે થશે, સૌથી વધારે મહિલાઓ તકલીફમાં મૂકાશે. આ બાબતે ગંભીરતા લઇને ચેકપોસ્ટમાં ઈમાનદાર પોલીસ મૂકવામાં આવે અને આપ ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી માટે વિધાનસભામાં બીલ લાવ્યા છો અને બીજી બાજૂ દારુની છૂટ આપો છો. આ બાબતે ઘટતું કરીને અમારી રજૂઆતને ધ્યાને લઇને ગૃહમંત્રીને પોલીસ ચોકી માટે આદેશ આપશો નહીંતર ના છૂટકે અમારે આ બાબતે આંદોલન ના કરવું પડશે તેવી રાજ્ય સરકાર ગંભીરતાથી નોંધ લેશે તે અપેક્ષા.'

