- Gujarat
- ગુજરાતમાં ચાંદીપુરાની વાયરસ 3 બાળકોને ભરખી ગયો, 6 પોઝિટિવ; આરોગ્ય મંત્રીએ કહ્યું- રોગચાળાને ફેલાતો અ...
ગુજરાતમાં ચાંદીપુરાની વાયરસ 3 બાળકોને ભરખી ગયો, 6 પોઝિટિવ; આરોગ્ય મંત્રીએ કહ્યું- રોગચાળાને ફેલાતો અટકાવવા માટે...
ગુજરાતમાં હાલમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, જેના પગલે રાજ્યનું આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ વાયરસની સ્થિતિ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને રોગચાળાને ફેલાતો અટકાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધી કુલ 17 શંકાસ્પદ બાળકોના સેમ્પલની તપાસ કરવામાં આવી છે. જેમાંથી 10 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 6 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ દરમિયાન 3 બાળકોના દુઃખદ મો*ત નોંધાયા છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે એક બાળક વિસનગરનો છે, જેને સારવાર માટે વડનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર અને જરૂરી તપાસ કરવામાં આવી રહી છે.
આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર ચાંદીપુરા વાયરસના કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંક્રમિત બાળકોના રહેઠાણ તેમજ આસપાસના વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે અને રોગચાળો વધુ ન ફેલાય તે માટે વિશેષ સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું કે આજે જ રાજ્યના 61 સ્થળોએ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમોને અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કામગીરી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. જ્યાં જ્યાં કેસ નોંધાયા છે ત્યાં સંક્રમણ ફેલાવવામાં સંભવિત ભૂમિકા ભજવતી સેન્ડ ફ્લાય માખીઓ મળી આવી છે. આ માખીઓનો નાશ કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
આરોગ્ય મંત્રીએ માહિતી આપી હતી કે, જ્યાં કેસ પોઝિટિવ આવ્યા છે, ત્યાં 'સેન્ટપ્લાય' નામની માખીઓ જોવા મળી છે. આ માખીઓ દ્વારા જ વાયરસનો ફેલાવો થતો હોવાનું માનવામાં આવે છે. વહીવટી તંત્ર દ્વારા આ માખીઓના નિકાલ માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.
ABP અસ્મિતાના અહેવાલ, સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વધુ એક બે વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. આ સાથે હિંમતનગરમાં ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતા માસૂમોના મોતથી આંક પાંચ પર પહોંચ્યો છે. પોશીના તાલુકાના સરહદી વિસ્તારમાંથી બે વર્ષની બાળકીને 9 જુલાઈના રોજ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જો કે, રિપોર્ટ આવે તે પહેલાં જ સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું.
હોસ્પિટલમાં બે દિવસ સુધી સારવાર આપવામાં આવી હતી, પરંતુ તબીબોના તમામ પ્રયાસો છતાં બાળકીનો જીવ બચાવી શકાયા ન હતા.મૃતક બાળકી મૂળ રાજસ્થાનની હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેને પોશીના વિસ્તારમાંથી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. હાલ બાળકીના સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે. રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. આરોગ્ય વિભાગ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ જરૂરી તપાસ અને દેખરેખ રાખી રહ્યો છે.
ચાંદીપુરા વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે અને સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે સર્વેલન્સ, દવાનો છંટકાવ અને જનજાગૃતિ સહિતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે જેથી તેમને યોગ્ય સારવાર મળી રહે. મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સર્વેલન્સ વધારી દેવામાં આવ્યું છે. નાગરિકોને પણ અપીલ કરવામાં આવે છે કે કોઈપણ પ્રકારના શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં સંપર્ક કરવો.
આરોગ્ય વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવા, બાળકોમાં તાવ, બેભાન થવું, આંચકી આવવી અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ કરી છે. સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા, માખી-મચ્છરનું નિયંત્રણ કરવા અને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

