- Gujarat
- ‘એક સમાજ, એક જાજમ, એક રિવાજ’, ગુજરાતમાં વધુ એક સમાજે બનાવ્યું સામાજિક બંધારણ
‘એક સમાજ, એક જાજમ, એક રિવાજ’, ગુજરાતમાં વધુ એક સમાજે બનાવ્યું સામાજિક બંધારણ
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અલગ-અલગ સમાજો દ્વારા સામાજિક બંધારણ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં સમાજમાં પ્રવર્તતા કુરિવાજો નાથવા અને દેખાદેખીના બિનજરૂરી ખર્ચ ઘટાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. હવે ગુજરાતમાં વધુ એક સમાજે પોતાનું બંધારણ બનાવ્યું છે. મારવાડી ચૌધરી સમાજે ‘એક સમાજ, એક જાજમ, એક રિવાજ’ મુજબ બંધારણ ઘડ્યું છે. જેમાં લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, જન્મ પ્રસંગ, સીંમત, ગવાળા પ્રસંગ, વ્યસન, ઓઢામણી, સગપણ સાથે અન્ય મુદ્દાઓ બાબતે અનેક સુધારણા કર્યા છે.
રાજેશ્વર ધામ ચાગડા ખાતે આયોજિત મીટિંગમાં બંધારણને અંતિમ મંજૂરી આપવામાં આવી હતી. મહંત દયારામજી મહારાજ, ગાદીપતિ રાજેશ્વર ધામ શિકારપુરાની પવિત્ર હાજરીમાં આ કાર્યક્રમ આયોજિત થયો હતો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો હાજર રહ્યા અને સમાજમાં એકતા, સંસ્કાર અને શિસ્ત જાળવવા માટે આ બંધારણ મહત્ત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
નવા બંધારણમાં લગ્ન પ્રસંગ, મરણવિધિ, જન્મ પ્રસંગ, વ્યસનમુક્તિ, ઓઢામણી, સગપણ સહિતના વિવિધ સામાજિક મુદ્દાઓ અંગે સુધારણા અને સ્પષ્ટ માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે. વધતા ખર્ચા પર નિયંત્રણ, અતિશય દેખાવ પર રોક અને સમાજમાં સમાનતા વધારવા જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે.

સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, આ બંધારણથી યુવાનોમાં સકારાત્મક સંદેશ જશે અને આગામી પેઢીને સંસ્કારી અને સુવ્યવસ્થિત સામાજિક માળખું મળશે. બેઠક અંતે સર્વાનુમતે ઠરાવ પસાર કરી બંધારણ અમલમાં લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મારવાડી ચૌધરી સમાજ દ્વારા કરવામાં આવેલી આ પહેલને સમાજમાં એકતા અને સુધારણા તરફનું મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
આ અંગે મસાજના આગેવાન લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું કે, ‘વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે પાંચ પટ્ટી પરગણા છે. જેમા થરાદરી, હિન્દવાણી, સાચોરી, વાવેચી અને ડીસાવલી વિસ્તારના આંજણા મારવાડી સમાજ આવે છે. તમામ આગેવાનોની હાજરીમાં લગ્ન, મરણ, જન્મ, બેબી શાવર, ગવાળા, ઓઢામણી, સગપણ અને વ્યસનના નિયમો બનાવાયા છે.

નિયમો મુજબ મામેરામાં 5 લાખની મર્યાદા, લગ્ન પણ સમૂહ લગ્નમાં કરવા, જમણ વાર પણ સાદો રાખવો જેવા તમામ પ્રસંગોને આવરી લેતું વિગતવાર બંધારણ ઘડવામાં આવ્યું છે. લગ્ન પ્રસંગે મર્યાદિત ખર્ચ અને મહેમાનો, ભેટ-વ્યવહાર પર નિયંત્રણ, DJ અને વ્યસન પર પ્રતિબંધ, મરણ પ્રસંગે સાદગીપૂર્ણ વિધિ, જન્મ અને અન્ય પ્રસંગોમાં દેખાવ ટાળવાની સૂચના સહિતના મહત્ત્વપૂર્ણ સુધારાઓ સર્વસંમતિથી મંજૂર કરાયા છે.’
આ અંગે આગેવાન થાનાભાઈ પટેલે કહ્યું હતું કે, ‘રાજારામ આશ્રમ, ચાગડા ખાતે આયોજિત થયેલી આ બેઠકમાં સમાજના પાંચેય પંથકો – સાંચોરી, ડીયાવાળી, થરાદરી, વાવેચી અને હીંદવાણીના વડીલો, પંચો, આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા. આ બંધારણનો મુખ્ય હેતુ સમાજને વ્યસનમુક્ત બનાવવાનો, કુરિવાજો દૂર કરવાનો, દીકરા-દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો અને લગ્ન કે અન્ય પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચાઓ પર રોક લગાવવાનો છે. સમાજમાં એકતા રહે, બિનજરૂરીખર્ચ અટકે અને કુરિવાજો બંધ થાય તે હેતુથી કડક નિયમો તથા દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે, જેમાં નિયમ ભંગ કરનાર સામે 51,000 રૂપિયા સુધીનો દંડ તથા સામાજિક કાર્યવાહીનું પ્રાવધાન છે.

