- Business
- કરોડો ખેડૂતો માટે ખુશીના સમાચાર! KCCમાં થવાના છે આ 4 મોટા ફેરફાર, RBIએ કરી જાહેરાત
કરોડો ખેડૂતો માટે ખુશીના સમાચાર! KCCમાં થવાના છે આ 4 મોટા ફેરફાર, RBIએ કરી જાહેરાત
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજનામાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી છે. RBIએ એક પ્રસ્તાવ રાખ્યો છે, જેના હેઠળ ખેડૂતો માટે કવરેજનું વિસ્તરણ, લોન મર્યાદા અને KCCના સંચાલનમાં સુધારો કરવાનો સમાવેશ થાય છે. 6 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલા એક જાહેરનામામાં, RBIએ જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં સંશોધિત માર્ગદર્શિકા જાહેર કરશે, જેથી ખેડૂતો અને કૃષિ ક્ષેત્રની ઉભરતી જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય. RBI આ ત્રણ દાયકા જૂની યોજનાના માળખાને આધુનિક બનાવવા માંગે છે, જેથી મુખ્યત્વે ખેડૂતોને કૃષિ હેતુઓ માટે સમયસર અને પર્યાપ્ત લોનની સુવિધા પૂરી પાડી શકાય છે.
કેટલા ટકા વ્યાજ પર લોન?
KCC હેઠળ, હાલમાં ખેડૂતોને રાહત દરે લોન આપવામાં આવે છે, જેમાં ભારત સરકાર 2% વ્યાજ સબસિડી અને 3% તાત્કાલિક ચૂકવણી સબસિડી પ્રદાન કરે છે, જેથી અસરકારક રીતે વ્યાજ દર ઘટાડીને વાર્ષિક 4 ટકા થઈ જાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, કૃષિ સંબંધિત અને બિન-કૃષિ પ્રવૃત્તિઓ બંને માટે રોકાણ લોનનો સમાવેશ કરવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો વિસ્તાર કરવામાં આવ્યો છે.
2004માં તેનો વિસ્તાર કરવામાં આવ્યો અને ત્યારબાદ 2012માં તેની સમીક્ષા કરવામાં આવી જેથી પ્રક્રિયાઓ સરળ બને અને ઇલેક્ટ્રોનિક કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરી શકાય. આ યોજનામાં દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે, પરંતુ બેંકોને સંસ્થાકીય અને સ્થાન-વિશિષ્ટ જરૂરિયાતોના આધારે છૂટ આપવામાં આવે છે.
કયા 4 મુખ્ય ફેરફારો થવાના છે?
પહેલા ફેરફાર- RBI દ્વારા પ્રસ્તાવિત સૌથી મહત્ત્વપૂર્ણ ફેરફારોમાંથી એક છે, પાક લોનની મંજૂરી અને ચૂકવણીનું માનકીકરણ. પ્રસ્તાવિત નિયમ હેઠળ, પાકને તેમના સમયગાળાના આધારે વિભાજિત કરવામાં આવે છે, જેમાં 12 મહિના સુધીના ચક્રવાળા ટૂંકા ગાળાના પાક હોય છે અને 18 મહિના સુધીના સર્કલવાળા લાંબા ગાળાના પાક હોય છે. આ પગલાથી બેંકો અને રાજ્યો વચ્ચેની વિસંગતતાઓને ઘટાડી શકાય છે.
બીજો ફેરફાર- પાકના આધારે લોનનો સમયગાળો નક્કી કરી શકાય છે. આ ફેરફાર ખાસ કરીને લાંબા ગાળાના પાક માટે મહત્ત્વપૂર્ણ છે. RBIએ કિસાન ક્રેડિટ કાર્ડની કુલ મુદત 6 વર્ષ સુધી લંબાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આનો હેતુ ચુકવણીમાં સરળતા સુનિશ્ચિત કરવાનો અને લાંબા ગાળાના પાકની ખેતી કરતા ખેડૂતો માટે ચુકવણીનો તણાવ ઘટાડવાનો છે.
ત્રીજો ફેરફાર- ખેડૂતોને એવી લોન આપવામાં આવે, જેથી તેમના ખેતી ખર્ચની જરૂરિયાત પૂર્ણ કરી શકાય. KCC મર્યાદા હવે પાકના આધારે નક્કી કરવામાં આવશે. આ ફેરફારથી અપૂરતી લોનની સમસ્યાનો ઉકેલ આવશે અને ખેડૂતો માટે ઉપલબ્ધ કાર્યકારી પૂંજીની પર્યાપ્તતામાં સુધારો થશે તેવી અપેક્ષા છે.
ચોથો ફેરફાર- આ નિયમ ટેકનોલોજી અપનાવવા અને ટકાઉ કૃષિ પ્રણાલીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. RBIએ કૃષિ સંપત્તિના સમારકામ અને જાળવણી માટે વધારાના 20% ઘટક હેઠળ પાત્ર ખર્ચની સૂચિનો વિસ્તાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આમાં હવે માટી પરીક્ષણ, રીઅલ-ટાઇમ હવામાનની આગાહી અને કાર્બનિક અથવા સારી કૃષિ પદ્ધતિઓની ખરાઈ જેવા ટેક્નિકલ હસ્તક્ષેપો સંબંધિત ખર્ચનો સમાવેશ થશે.
RBIએ માંગી પ્રતિક્રિયા
RBIએ કોમર્શિયલ બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને ગ્રામીણ બેંકો માટે આ માર્ગદર્શિકા જાહેર કરી છે અને નિયમનકારી સંસ્થાઓ, ખેડૂતો અને અન્ય હિસ્સેદારો પાસેથી પ્રતિક્રિયા માંગી રહી છે. આ પ્રતિક્રિયાઓ 6 માર્ચ, 2026ના રોજ અથવા તે પહેલાં, RBI વેબસાઇટ પર ‘Connect2Regulate’ દ્વારા અથવા ઇમેઇલ દ્વારા મોકલી શકાય છે.

