- Gujarat
- ટપોરી ચિરાગ ગોટીના બાપની પણ ધરપકડ, દીકરાના કાળા કામમાં આપતો સાથ, DCPએ કહ્યું- આવાથી ડરવાનું નહીં
ટપોરી ચિરાગ ગોટીના બાપની પણ ધરપકડ, દીકરાના કાળા કામમાં આપતો સાથ, DCPએ કહ્યું- આવાથી ડરવાનું નહીં
ચિરાગ ગોટી અને તેની ગેંગના અત્યાચારો સતત વધી રહ્યા હતા, પરંતુ હવે તેનો અંત આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સુરતની ચોક બજાર પોલીસે માત્ર ચિરાગ સાથે જ ના ગુનાહિત કાર્યોમાં સાથ આપનારા તેના પિતા ઘનશ્યામ ગોટીની પણ ધરપકડ કરી છે. આ આખો મામલો જમીન દલાલના અપહરણ અને ખંડણીથી શરૂ થયો હતો, જે હવે 'GUJCTOC' જેવા કડક કાયદા સુધી પહોંચી ગયો છે.
સામાન્ય રીતે પિતા પુત્રને સુધારવાનું કામ કરતા હોય છે, પરંતુ અહીં ઘનશ્યામ ગોટી તેના પુત્ર ચિરાગના દરેક કાળા કામમાં મદદરૂપ થતો હતો. જમીન દલાલ જીગ્નેશ વ્યાસના અપહરણ અને ખંડણીના કેસમાં ઘનશ્યામ ગોટી અને નિરાંત ગોટી સહિતના 7 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. ચોક બજાર પોલીસે કડક કાર્યવાહી કરીને પિતાની ધરપકડ કરી સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગુનેગારને મદદ કરનાર પણ કાયદાથી બચી નહીં શકે.
આ સમગ્ર કેસનો મુખ્ય આધાર જીગ્નેશ વ્યાસ નામનો શખ્સ છે. જીગ્નેશ વ્યાસનું અપહરણ કરી તેની પાસે 2 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. ગુંડાગીરીના સહારે ચિરાગ અને તેની ગેંગે 50,000 રૂપિયા તો પડાવી પણ લીધા હતા. આ ઘટનાએ સુરતના રિયલ એસ્ટેટ અને જમીન દલાલીના બિઝનેસમાં સંકળાયેલા લોકોમાં હાહાકાર મચાવી દીધો હતો. ચિરાગની ગેંગ નિર્દોષ લોકોને ડરાવી-ધમકાવીને તેમની મહેનતની કમાણી પચાવી પાડવા માટે જાણીતી બની ગઈ હતી, જેનો હવે કાયદેસરનો હિસાબ લેવામાં આવી રહ્યો છે.
ચિરાગ ગોટીની ક્રૂરતાની હદ ત્યારે વટાવી જ્યારે તેણે પોતાના પૂર્વ ભાગીદારને જ પતાવી દેવાનો પ્લાન બનાવ્યો. ઓઈલના ધંધામાં ભાગીદારી છૂટી થયા બાદ, જૂની અદાવત રાખીને ચિરાગે પોતાના જ ભાગીદારને ડ્રગ્સના કેસમાં ફસાવવા માટે જાળ બિછાવી હતી. આ મામલો જ્યારે કોર્ટમાં પહોંચ્યો ત્યારે પોલીસને ચિરાગની વધુ કરતૂતોની જાણ થઈ અને ચિરાગે બિછાવેલી જાળમાં તે પોતે જ ફસાઈ ગયો. એક ગુનાની તપાસ બીજા ઘણા ગુનાઓની કળી જોડાતી ગઇ અને તે કાયદાના સકંજામાં ફસાતો ગયો. ત્યારબાદ ચિરાગની ધરપકડ કરવામાં આવી.
ચિરાગ ગોટી વિરુદ્ધ અગાઉ 7થી વધુ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસ હવે તેની ગેંગની સંગઠિત ગુનાખોરીને નાથવા માટે 'GUJCTOC' હેઠળ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. આ કાયદો લાગૂ થતાની સાથે જ આરોપીઓને જામીન મળવા મુશ્કેલ બની જશે અને તેમની ગેરકાયદે મિલકતો પર પણ પોલીસની નજર રહેશે. SOG દ્વારા જે રીતે તપાસ તેજ કરવામાં આવી છે, તે જોતા લાગે છે કે આ ગેંગના કાયમી જેલવાસના દિવસો નજીક છે.
ચિરાગ ગોટીના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં તે રિવોલ્વર કે પિસ્તોલ જેવા હથિયાર સાથે જોવા મળ્યો હતો. SOGના DCP રાજદીપ સિંહ નકુમે જણાવ્યું હતું કે આ હથિયાર અસલી પિસ્તોલ છે કે એરગન, તેની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. હથિયાર બતાવીને લોકોમાં ભય પેદા કરવો એ આ ગેંગની પદ્ધતિ રહી છે. જો આ હથિયાર ગેરકાયદે સાબિત થશે, તો આર્મ્સ એક્ટ હેઠળ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ચિરાગ ગોટીની ધરપકડ થતા જ લોકોનો પોલીસ પરનો વિશ્વાસ વધ્યો છે. અગાઉ જે લોકો ડરના માર્યા ચૂપ હતા, તેવા વધુ 10 લોકો અત્યારે પોલીસ સમક્ષ હાજર થયા છે. આ લોકોએ ચિરાગ અને તેની ટોળકી દ્વારા કરવામાં આવેલા અન્યાયની વિગતો પોલીસને આપી છે. પોલીસ હાલ આ તમામ અરજીઓની ખરાઈ કરી રહી છે અને ટૂંક સમયમાં નવી ફરિયાદો પણ દાખલ કરવામાં આવશે. આ બાબત દર્શાવે છે કે જ્યારે કાયદો કડક બને છે, ત્યારે સામાન્ય માણસની હિંમત બમણી થઈ જાય છે.
SOGના DCP રાજદીપ સિંહ નકુમે જાહેર જનતાને અપીલ કરી છે કે ચિરાગ ગોટી જેવા તત્વોથી ડરવાની કોઈ જરૂર નથી. પોલીસે ખાતરી આપી છે કે જે પણ લોકો ભોગ બન્યા છે તેઓ નિર્ભય બનીને સામે આવે, પોલીસ તેમને સંપૂર્ણ સહકાર આપશે. પ્લોટ કે જમીન પચાવી પાડવાના કિસ્સાઓમાં પણ કડક હાથે કામ લેવામાં આવશે.
તો સુરતના કુખ્યાત ચિરાગ ગોટીના કાંડનો રેલો નવસારી સુધી પહોંચ્યો છે. ગોટીના ઢોર મારનો ભોગ બનેલા પાર્થ મિયાણીએ બીલીમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. માર મારવાની ઘટના બીલીમોરા પોલીસ મથક વિસ્તારમાં બની હોવાથી અહીં ગુનો નોંધાયો છે. ભોગ બનનાર પાર્થ, ગોટીની કંપનીમાં નોકરી કરતો હતો. ગોટીની પત્નીએ તેના ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાનો પાર્થ મિયાણીએ ખુલાસો કર્યો છે. બીલીમોરા પોલીસે ચિરાગ ગોટી વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

