- Gujarat
- નાસીરનગર ભૂતિયા ડિમોલેશન: કાગળ પર સાઈન કરાવવા લાખો રૂપિયાની ઓફર, પીડિતો બોલ્યા –‘બિલ્ડરના માણસો ધમકા...
નાસીરનગર ભૂતિયા ડિમોલેશન: કાગળ પર સાઈન કરાવવા લાખો રૂપિયાની ઓફર, પીડિતો બોલ્યા –‘બિલ્ડરના માણસો ધમકાવીને કહે છે કે...’
સુરતમાં તાજેતરમાં થયેલ ભૂતિયા ડિમોલિશન ખૂબ ચર્ચામાં રહ્યું છે. આ મામલો હવે હાઇકોર્ટ પહોંચી ચૂક્યો છે. 30 મેના રોજનાસીરનગર માં થયેલા ભૂતિયા ડિમોલિશનને લગભગ 20 દિવસ વીતી ગયા છે, પરંતુ જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને કારણે પીડિતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એવો આક્ષેપ થઈ રહ્યો છે કે, સ્થાનિક સ્તરે સત્તાધારી પક્ષના વિવાદાસ્પદ લઘુમતી નેતાઓના માણસો દ્વારા બિલ્ડરો માટે ગરીબ પરિવારોને ધાક-ધમકી આપીને એક વિવાદાસ્પદ ‘બાંહેધરી પત્ર’ પર સહીઓ અને અંગૂઠા કરાવવામાં આવે છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, તદ્દન વિપરીત આ પત્રમાં રહેવાસીઓ પોતાની મરજીથી ઘર તોડ્યાનું સ્વીકારે તેવી શરત છે, જેના બદલામાં બિલ્ડર તરફથી 2 થી 3 લાખ રૂપિયાની નજીવી ઓફર આપી મામલો દબાવવાનો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકાના કથિત કાયદાને ઘોળીને પી જઈને જે રીતે ઘરોને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા, તેને સ્થાનિકો ‘ભૂતિયા ડિમોલિશન’ તરીકે ઓળખાવી રહ્યા છે. જો કે વહીવટી તંત્ર કે પોલીસ પ્રશાસન દ્વારા કોઈ પણ જવાબદાર બિલ્ડર, અધિકારી કે ભૂમાફિયાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી.
આ ઉદાસીનતા વચ્ચે ન્યાયની આશા રાખતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પર હવે નવી આફત આવી પડી છે. ચોમાસાની શરૂઆતમાં જ ઘર વિહોણા બનેલા આ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને બિલ્ડર લોબી અને કેટલાક સ્થાપિત હિતો આ સમગ્ર કૌભાંડ પર પડદો પાડવા માટે સક્રિય બન્યા છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.
નાસીરનગરના સ્થાનિક પીડિતોએ અત્યંત ચોંકાવનારા આક્ષેપો કરતા જણાવ્યું છે કે, આ વિસ્તારમાં સક્રિય અને સતત વિવાદોમાં રહેતા ભાજપના લઘુમતી મોરચાના એક સ્થાનિક નેતાના ખાસ માણસો નિસાર અને અલ્તાફ હાલમાં મેદાનમાં ઉતર્યા છે. આ બંને શખ્સો બિલ્ડર વતી વચેટિયાની ભૂમિકા ભજવી રહ્યા છે અને અસરગ્રસ્ત ગરીબ પરિવારો પર સતત માનસિક દબાણ લાવી રહ્યા છે.
આક્ષેપ મુજબ, તેઓ રાત્રિના સમયે અથવા એકલતાનો લાભ લઈને લોકોને ધમકાવી રહ્યા છે કે, જો તેઓ આપેલા કાગળો પર સહી-સિક્કા કે અંગૂઠા નહીં કરે તો તેમને ભવિષ્યમાં એક રૂપિયો પણ નહીં મળે કે રહેવા માટે આવાસ પણ ફાળવવામાં આવશે નહીં. આ પ્રકારની ખુલ્લી ધમકીઓના કારણે ગભરાયેલા કેટલાક પરિવારોએ મજબૂરીવશ સહીઓ કરી દીધી હોવાની આશંકા છે, જ્યારે બહુમતી લોકો આ અન્યાય સામે અવાજ ઉઠાવી રહ્યા છે.
હાલમાં એક બાંહેધરી પત્ર (અંડરટેકિંગ) વાયરલ થઈ રહ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે, જત હમો આ સુરત મહાનગરપાલિકાને બાંહેધરી ખત લખી આપી જણાવીએ છીએ કે, હમો ઉપરોક્ત સરનામે હમારા પરીવાર સાથે રહેતા હતા. હમો સુરત મહાનગરપાલિકાના 40 ફૂટ ના ટી.પી. રોડ, નાસીર નગર, વેડ દરવાજા ખાતે સુરત મહાનગરપાલિકાની માલિકીની જગ્યા પર ગેરકાયદેસર દબાણ કરી વસવાટ કરતા ચાલી આવેલ હતા. સદરહું જગ્યા હમારી માલિકીની હતી નહી જેથી સદરહું જગ્યા સુરત મહાનગરપાલિકાની હોય જેથી હમોએ સુરત મહાનગરપાલિકાની સાથે રહી સદરહું જગ્યા સંપુર્ણ ખાલી કરીને બાંધકામ/દબાણ દુર કરીને સુરત મહાનગરપાલિકાને સદરહું જગ્યા રાજીખુશી થી પરત કરી આપેલ છે. સદરહું જગ્યા અમો સ્વૈછીક રીતે ખાલી કરી બાંધકામ/દબાણ દુર કરેલ છે જેમાં અમોને કોઈપણ દબાણ કે અન્ય કોઈ ઈસમો તરફથી દાબ-દબાણ કરવામાં આવેલ નથી. તેમજ અમ તથા અમારા વંશ, વાલી, વારસો ઈત્યાદી ભવિષ્યમાં કોઈપણ કોર્ટ કચેરીમાં કાયદાકીય કરીયાદ કરીશું નહીં. કરીએ તો પણ આ બાંહેધરી થી રદબાતલ થાય સહી તેમજ ભવિષ્યમાં સુરત મહાનગરપાલિકા અમોને આવાસ ફાળવે તો અમો રાજીખુશી થી લેવા તૈયાર છીએ જેની અમો આ બાંહેધરી લખી આપીએ છીએ.
આ બાંહેધરી ખત હમો હમારી રાજીખુશીથી, અકકલ હોશિયારીમાં કોઈના કોઈપણ જાતના દાબ દબાણ કે ધાક ધમકી વિના બીનકેડે, સંપુર્ણ શરીરની સાવધ અવસ્થામાં કરેલ છે, જે હમોને તથા અમારા વંશ, વાલી, વારસો ઈત્યાદી તમામને કબુલ, મંજુર, અને બંધનકર્તા છે રહેશે સહી. બાહેંદરી પત્રમાં લખેલી વિગતો વાંચીને કાનૂની નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ પત્રમાં એક તરફ પીડિતનો પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી અને અંગૂઠાના નિશાન માટેની સત્તાવાર જગ્યા છોડવામાં આવી છે. આ સમગ્ર લખાણ એ સાબિત કરે છે કે બિલ્ડર પોતાની જાતને કાયદાના સકંજામાંથી બચાવવા માટે પીડિતો પાસે જ કાયદાકીય હથિયાર તૈયાર કરાવી રહ્યો છે.
આ પત્ર વાસ્તવિકતાથી તદ્દન વિપરીત છે, કારણ કે લોકોના ઘર જબરદસ્તીથી તોડી પડાયા હતા (જેના વીડિયો પણ છે), જ્યારે કાગળ પર તેને ‘સ્વૈચ્છિક ખાલી કરાયેલું’ દર્શાવવાનો ભયાનક કારસો ઘડાયો છે. આ વાયરલ બાંહેધરી ખતમાં આગળ જતા પીડિતોના તમામ કાયદાકીય અધિકારો છીનવી લેવાની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને પીડિતો સાથે સીધી વાતચીત કરી ત્યારે ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. વિસ્તારના રહીશ અહેમદભાઈએ અત્યંત દુઃખ સાથે જણાવ્યું કે, "અહીં ચોમાસામાં કોઈ સુવિધા નથી, અમે પરેશાન છીએ.
નાસીરનગરનું રહસ્યમય ડિમોલિશનના કારણે સૌથી વધુ ભોગ મહિલાઓ અને બાળકો બન્યા છે, જેઓ આ ખુલ્લા આકાશ નીચે પ્લાસ્ટિકની તાડપત્રીઓ બાંધીને રહેવા મજબૂર બન્યા છે. સ્થાનિક મહિલા જમીલાબીબીએ આંખોમાં આંસુ સાથે જણાવ્યું કે, અહીં બધું તોડીફોડીને નાખી દીધું છે અને લોકો પર દબાણ લાવીને પૈસા પધરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમે પૈસા નથી લઈ રહ્યા. જો અમારી પાસે અમારું ઘર હશે તો જ અમે રહી શકીશું ને? અમારી પાસે એટલા પૈસા નથી કે અમે નવું ઘર ખરીદી શકીએ, અને મોંઘવારીના આ સમયમાં અમે દર મહિને ભાડું ક્યાંથી ભરીશું?
પીડિત મહિલા નાઝીરાબેને કહ્યું કે, ‘જ્યારે હું ઘરે નહોતી ત્યારે જબરદસ્તીથી મારું ઘર તોડી નંખાયું. હવે તેઓ 3 લાખ આપીને લખાણ લેવા માંગે છે કે અમે અમારી મરજીથી ઘર તોડ્યું છે. 3 લાખ તો શું, 10 લાખમાં પણ નવું ઘર આવતું નથી. અમારી સરકારને વિનંતી છે કે જ્યાં અમારું આશિયાનું તોડાયું છે, ત્યાં જ અમને ઘર બનાવી આપવામાં આવે.’
આમીનાબેને કહ્યું કે, ‘અમારે આવા કોઈ કાળા નાણાં કે ઓફર જોઈતી નથી, ગરીબો આખી જિંદગી કમાય તો પણ નવું ઘર નથી બનાવી શકતા, તેથી સરકાર અમને અમારું ઘર પાછું અપાવે.’ SMC, બિલ્ડર અને પોલીસ ત્રણેય પક્ષોનો ઈન્કાર તો તોડ્યું કોણે? તો સાબીરભાઈએ જણાવ્યું કે, ‘આ આખી ઘટના એક બહુ મોટું રહસ્ય બની ગઈ છે.’
પીડિત અહેમદે કહ્યું કે, ‘બિલ્ડરના માણસો ધમકાવીને કહે છે કે 3 લાખ લો, આધાર કાર્ડ, રેશનકાર્ડ અને લાઈટ બિલ આપી હટી જાવ. 3 લાખમાં આજના જમાનામાં શું આવે? અમને ઘરના બદલે ઘર જ જોઈએ.

