- Gujarat
- 'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન માત્ર એક મેળાવડો નહીં, પરંતુ સમાજમાં વર્ષોથી ઘર કરી ગયેલા કુરિવાજોને દૂર કરી એક નવા સામાજિક બંધારણની રચના માટેનું ઐતિહાસિક પગલું સાબિત થશે. ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીની આગેવાનીમાં આ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
હવે રબારી સમાજ પણ પોતાનું અલગ બંધારણ ઘડવા એકત્ર થયો હતો. બનાસકાંઠાના ડીસા તાલુકાના સમશેરપુરામાં રબારી સમાજનું એક ઐતિહાસિક મહાસંમેલન યોજાયું છે જેમાં બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાંથી અંદાજે 50,000થી વધુ લોકો જોડાયા હતા. કાર્યક્રમમાં આવનાર તમામ લોકો માટે આરોગ્ય વિભાગના કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે પાર્કિંગ સ્થળથી સભા સ્થળ સુધી પહોંચવા માટે મિની બસની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી.
સમાજમાંથી કુરિવાજો, બદીઓ દૂર કરવા અને શિક્ષિત સમાજ બનાવવા સમાજના આગેવાનોએ મળીને બંધારણ ઘડવાનો નિર્ણય લીધો છે. આનો મુખ્ય ઉદેશ સામાજીક પ્રસંગોએ દેખા-દેખીમાં વધતા જતા બેફામ ખર્ચ અટકાવવાનો છે, જેનાથી મર્યાદિત આવકવાળા લોકો પણ પોતાના બાળકો શિક્ષણ પાછળ ખર્ચ કરી શકે અને સમાજમાં સમાનતા લાવી શકાય. જેનું દરેકે પોતાના ઇષ્ટદેવની સાક્ષીએ પાલન કરવું. દરેક ગામ-ગોળ પરગણા મુજબ બંધારણ અમલીકરણ સમિતિઓ બનાવવામાં આવશે. આ ત્રણેય જિલ્લાઓનું સામૂહિક બંધારણ છે. આ બંધારણ કરતા કોઈ ગોળ કે પરગણાનું ઓછું ખર્ચાળ અને કુરિવાજોમાંથી મુક્ત કરનાર હોય તો તેનો અમલ પ્રથમ કરવો.
1. જન્મ પ્રસંગે ખોળો ભરાવવાની પરંપરાગત પ્રથા ચાલુ રાખવી (બેબી શાવર ન કરવું). દીકરીને પ્રસૂતિ પ્રસંગે પિયર લાવ્યા હોય ત્યારે સાસુ અને કુટુંબના સગા આવે ત્યારે સાસુના 1100 રૂપિયા અને 2 જોડ કપડાં અને બીજા સગા માટે 100 રૂપિયા લેવા. વળતું ઓઢામણું કોઈને ન આપવું. જન્મ પ્રસંગે નાની-મોટી રકમનું શૈક્ષણિક સંકુલમાં દાન આપવું, અન્ય ખર્ચા ન કરવા, વધામણીયો ન મુકવા અને દીકરા-દીકરીને દાગીના ન આપવા. પ્રસૂતિ પ્રસંગે દવાખાને બોલાવવામાં આવે ત્યારે વેવાણના 1100 રૂપિયા લેવા અને બીજાં સગાના 100 રૂપિયાથી વધારે નહીં. દવાખાનામાં નાસ્તા કે જમવાની વ્યવસ્થા ન કરવી, નાની બીમારીમાં બોલામણું ન રાખવું.
2. સગાઈ પ્રસંગે કુંડી લઈને આવે ત્યારે બે જણને જ આવવું અને 501 રૂપિયા કુંડીના તથા 501 રૂપિયા ફેટાના આપવા. વળતી કુંડીના 1100 જ આપવા, કુંડીમાં દાગીના આપવા કે લેવા નહીં, 2 જોડ કપડાં જ મોકલવા, વધારાની કટલરી અને ડ્રાયફૂટ આપવા કે લેવા નહીં, તેમજ કાકા બાપા કે કોઈના ઓઢામણા આપવા કે લેવા નહીં. સગાઈ પ્રસંગે કુટુંબ અને પરિવાર સિવાય કોઈ જમણવાર ન રાખવું. પુખ્ત વયે સગાઈ કરવી તથા દીકરા-દીકરી ઉંમર લાયક થાય ત્યારે લગ્ન કરાવવા. છોકરીના લગ્ન પછી સાસરીમાં મૂકી દેવી, આણા પ્રથા દૂર કરવી.

3. લગ્ન લખતી વખતે કુટુંબ તથા મામા-માસીના સગા સિવાય કોઈને બોલાવવા નહીં. લગ્ન વખતે 2 લગનિયા જ મોકલવા. લગ્નના 501 રૂપિયા લેવા અને વળતા લગનિયાને ઓઢામણું 1100 રૂપિયાથી વધારે નહીં આપવું. લગ્ન વધાવતી વખતે 100 રૂપિયાથી વધારે પોહલીમાં ન મૂકવી. નજીકના સગા-વ્હાલા અને કુટુંબ પુરતો જમણવાર રાખવો. જમણવારમાં 1-2 જ મીઠાઈ, શાક, રોટલી, દાળ-ભાત રાખવું. લગ્નમાં પ્રિ-વેડિંગ, હલ્દીરસમ, મહેંદીરસમ, વેલકમ જેવા કાર્યક્રમો સદંતર બંધ. યુ-ટ્યુબ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક રીલ ન બનાવવી.
જમણવારમાં ડિસ્પ્લે સદંતર બંધ અને સાદો મંડપ રાખવો. વરઘોડો, DJ પાર્ટી, દાંડિયારાસ સદંતર બંધ, સાદો ઢોલ અને શરણાઈ રાખી શકાશે. લગ્નમાં દીકરીને વાસણ પ્રથા બંધ કરી 11000 થી 51000 રૂપિયા વાસણ પેટે આપવાના. છાંટણાં વખતે જમાઈને સોનું કે વસ્તુ આપવી નહીં, 11000 થી 51000 રૂપિયા સુધીની મર્યાદામાં રોકડ રકમ આપવી.
કમખામાં 2100 રૂપિયાથી વધારે ન આપવા. ડિજિટલ પત્રિકા રાખવી તથા ફોનથી આમંત્રણ આપવું. લગ્ન પ્રસંગે મીઠાઈના બોક્સ કે પડીકાં આપવા કે લેવા નહીં. ઓહામણા કુવાસી પુરતા જ આપવા, અન્ય સગા માટે સદંતર બંધ. વર તથા વધુ બંને પક્ષે 2100 રૂપિયા ફરજિયાત અને તેમાંની ઈચ્છાશક્તિ પ્રમાણે જે તે તાલુકાનાં શૈક્ષણિક સંકુલમાં આપવાના રહેશે.
જન મર્યાદિત મર્યાદિત સંખ્યામાં લઈ જવી. જાણ મોડમાં મોદી 9:00 થી 11:00 વાગ્યા સુધીમાં અને લગ્ન મુહૂર્ત સચવાય તે મુજબ પહોંચી જવું, 21થી વધુ ગાડી નહીં લઈ જવી, શક્ય હોય તો બસ કરવી.
પડલામાં અડધા તોલાથી ચાર તોલા સુધી સોનાના દાગીના અને 100 ગ્રામથી 500 ગ્રામ ચાંદીના દાગીના આપવાના. જાહેરમાં પડેલું ન ભરવું, જાન ઉતારે પહોંચે એટલે તરત જ બંને પક્ષના 2-2 વ્યક્તિની હાજરીમાં માંડવે જઈ પડલાંની સોંપણી કરવી. કુંડી ભરવાની વિધિ રાખવી નહીં.
4. મામેરું વખતે ઓઢામણું સગી ભાભીને 1100 રૂપિયા તથા કુટુંબની ભાભીઓને 200 રૂપિયાથી વધારે ન આપવું. કપડાંની ઓઢામણાં પ્રથા સદંતર બંધ, મા માટલામાં ગોળનો રવો આપવો, મીઠાઈ નહીં. મોમેરામાં 11000 થી 51000 રૂપિયા સુધીની મર્યાદામાં કરવું. સમાજના દરેક ગામમાં બહાર ગામમાંથી આવતા સગા-વ્હાલાઓએ માત્ર કુવાસી પુરતા પૈસા આપવા. મામેરું ભરાયા બાદ બહેનોએ વધાવવું નહીં. મોસાળું 21000 થી 500000 રૂપિયા સુધીની મર્યાદામાં ભરવું.
5. આણું તેડવા 2 વ્યક્તિએ જ જવું, ઓણાતીને 1100 રૂપિયાથી વધુ ઓઢામણું આપવું નહીં. વળતા આણામાં દાગીનો આપવો નહીં. બીજી વારના લગ્નમાં 10 થી 20 લોકોની મર્યાદામાં જવું, બંને પક્ષોએ જમણવાર ન કરવો.
6. કુંવારા સગપણના 250000 રૂપિયા, લગ્ન કરેલ અને બાળક ન હોય તો 500000 રૂપિયા, બાળકો હોય અને છૂટા થાય તો 1100000 રૂપિયાની બાળકના નામે FD કરવી. દીકરી પક્ષની ભૂલ હોય તો દાગીના પરત આપવાના. દિકરા પક્ષની ભૂલ હોય તો આપેલા દાગીના જમા રહેશે અને ફંડની રકમ આપવાની. સાટા પ્રથાનું સગપણ હોય તો બંને પક્ષોએ સાથે બેસી નિવારણ લાવવું. છુટાછેડાના પ્રસંગમાં નક્કી થયેલી રકમમાંથી 10% જે તે તાલુકાનાં શૈક્ષણિક સંકૂલમાં આપવાની. દીકરા કે દીકરીને મન દુઃખ થાય તો એક થી બે વર્ષમાં નિકાલ કરવો. સમાજમાં સમસ્યાઓ ઉકેલવા દેવ કે માતાજીને ભળાવવું નહીં, પોલીસ કે કોર્ટ કચેરીમાં દાવા ન કરવા, સામાજિક સગા સાથે સમાધાન કરવું.
7. દીકરા-દીકરીઓને ઓછામાં ઓછું કોલેજ સુધીનું શિક્ષણ ફરજીયાત આપવું. દરેક તાલુકામાં શિક્ષણ સંસ્થા અને કોચિંગ કલાસ શરૂ કરવી જેથી બહાર શહેરોમાં જવું પડે નહીં. કુરિવાજોથી દૂર રહેવું. માતા-પિતા અને શિક્ષણ પ્રેમીઓએ બાળકોના શિક્ષણ અને સંસ્કાર પર વધુ ભાર મૂકવો.
8. દરેક તાલુકામાં પરગણા વાઈઝ સમૂહલગ્નની શરૂઆત કરવી. સમૂહલગ્ન થયા બાદ ઘરે જમણવાર ન રાખવો. એક જ સ્થળે સમૂહલગ્ન થવાથી સગા-વ્હાલા મળી રહે, ખોટા ખર્ચા અને સમયનો બચાવ થાય. દરેક ગામમાં સામાજિક સમૂહલગ્નની શરૂઆત કરવી. શક્ય હોય તો લગ્ન પ્રસંગો શિયાળામાં રાખવા જેથી ખર્ચમાં ઘટાડો થાય.
9. સમાજના કોઈપણ પ્રસંગમાં કેફી દ્રવ્યો જેવા કે અફીણ, ડોડા, નશાની ગોળી, બીડી-સિગારેટ અને નશાની કોઈપણ ચીજ-વસ્તુઓ વાપરવી નહીં. આધુનિક સમયમાં ચાલતા ડ્રગ્સ જેવા દૂષણોથી સદંતર દૂર રહેવું. સમાજ સંપૂર્ણ વ્યસન મુક્ત બને તેવા પ્રયત્નો કરવા.
10. મરણ સમયે મૃત્યુના દિવસે ચા-પાણી સિવાય અન્ય રાંધણું ન કરવું, મરણ પ્રસંગે પોતાની કુવાસી અને મોસાળના સગા બોલાવવા.અન્ય સગા બોલાવવા નહીં. મંગળવાર સિવાય સણામાં જઈ શકાશે, રવિવારે બેસણું ચાલુ રહેશે. મરણપ્રસંગે જમવાનું બુફે રાખવું. બહેનોને રાહડા કે છાતી કૂટવી નહી.
જે સગા મોતના દિવસે આવ્યા હોય તેમણે ત્રીજા દિવસે જ આવવું નહીં. બારમુ સગાવ્હાલા પુરતું મર્યાદિત રાખવું. બારમાના દિવસે શોક ઉઠાવી દેવો, પોણો મહિનો સદંતર બંધ. કોઈએ વાર તહેવારે કૂવાસી કે અન્ય સગાએ મોઢું ઢંકાવું નહીં.
મોટામાં 1 રુપિયથી 10 રૂપિયા સુધી આપી શકાશે અને જે રકમ આવે તે ધર્માદા પેટે બીજા ઉમેરીને શિક્ષણ સંકુલમાં આપવા. બારમાના દિવસે શીરો-ચોળા અથવા માગ તેમજ ખિચડી-કાઢી રાખવી અને 45 વર્ષથી ઓછી ઉંમરમાં મોત થયું હોય તો બારમું કરવું નહીં અને ત્રીજા દિવસે વિધિ પતાવી દેવી. નાની ઉંમરમાં મોત થયું હોય તો 1 માહિનામાં શોકના સાડા બદલી દેવા અને મોટી ઉંમરમાં મોત થયું હોય તો 12 દિવસ પછી શૂકના સાડા બદલી દેવા.
બારમાં પછી કોઈ જમણવાર નહીં. ઈચ્છા હોય તો શાળાના બાળકોને તિથી ભોજન કરાવવું. મરણ પ્રસંગે ચોવાંસી વિધિ કુટુંબ પૂરતી રાખવી. નાની ઉમરના સ્ત્રી અને પુરૂષોએ વધારે પડતા લોકાચાર પ્રસંગે ન જવું, બને ત્યાં સુધી વડીલોએ જવું (ઘરમાંથી એક જ વ્યક્તિએ જવું). સગા-વ્હાલા પુરતી મર્યાદામાં જવું.
રોડીવટો અને ગોયણી 11000 થી 100000 રૂપિયા સુધીની મર્યાદામાં કરવી. રાત્રે મરણ થયું હોય તો વહેલાસર વિધિ પતાવી દેવી. મરણ કે અન્ય સામાજિક પ્રસંગોએ બહારગામથી આવતા સગા-વ્હાલાઓને ભાડા કે ઓઢામણાં ન આપવાં. આધુનિકયુગમાં ફોનની સુવિધા હોવાથી મેલો મૂકવો નહીં.
11. હવન, રમેલ સાડી રાખવી, સમાજમાં નવા-નવા કોઈ રિવાજ કે પ્રસંગો ઊભા કરવા નહીં. લગ્ન અને મરણ પ્રસંગે પ્લાસ્ટિકના ચા કપ વાપરવા નહીં. આ કપથી કેન્સર જેવા રોગ થાય છે માટે શક્ય હોય તો સ્ટીલ અથવા માટીના કપ વાપરવા.
રબારી સમાજના આગેવાન ગોવા રબારીએ જણાવ્યું હતું કે, 'આ આયોજન કોઈ શક્તિ પ્રદર્શન નથી, પરંતુ સમાજને શિક્ષિત અને વ્યસનમુક્ત બનાવી 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના મંત્ર સાથે આગળ વધવાનો એક નમ્ર પ્રયાસ છે.'

