- Gujarat
- રબારી સમાજનો નિર્ણય, છૂટાછેડા થાય તો 21 લાખ આપવા, લગ્નમાં ઘરેણા ન આપવા, સગાઈમાં...
રબારી સમાજનો નિર્ણય, છૂટાછેડા થાય તો 21 લાખ આપવા, લગ્નમાં ઘરેણા ન આપવા, સગાઈમાં...
અત્યારે ઘણા સમાજો પોતાના સામાજિક બંધારણ બનાવી રહ્યા છે, જેમાં દેખાદેખીમાં થતા ભારે ખર્ચાઓથી લોકોને બચાવવા, કુરિવાજો નાથવા માટેના પ્રયાસો છે. અત્યારે મોટાભાગના સમાજ પોતાના બંધારણ ઘડે છે, જેમાં લગ્ન-મરણ જેવા પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચા રોકવા માટે જરૂર પડતા નિર્ણયો લેતા હોય છે. આ નિયમોનો મુખ્ય હેતુ લગ્ન અને મરણ પ્રસંગોમાં થતો બિનજરૂરી ખર્ચ અટકાવવો, વ્યસનમુક્ત સમાજ ઊભો કરવો અને મધ્યમવર્ગીય પરિવારો પર પડતો આર્થિક બોજ ઘટાડવાનો છે.
એવામાં મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં ગઢવાડા–દાંતારી રબારી સમાજે સામાજિક સુધારાની દિશામાં એક મોટું અને ઐતિહાસિક પગલું ભર્યું છે. સમાજના અગ્રણીઓની હાજરીમાં આયોજિત વિશાળ બેઠકમાં સમાજનું નવું બંધારણ સર્વાનુમતે અમલી બનાવવામાં આવ્યું છે.
મહેસાણાના સતલાસણા, ટીંબા, હડોલ, સુદાસણા સહિતના ગામોના સમાજના આગેવાનો ઈશ્વરભાઈ હડોલ, લીલાભાઈ હડોલ અને તેજાભાઈ ભચડિયા સહિતના આગેવાનો દ્વારા આ નિયમો અમલમાં મુકાયા છે. બેઠકમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો કે સમાજની પ્રગતિ માટે દેખાવ કરતા સંસ્કાર વધુ મહત્ત્વના છે.
લગ્ન પ્રસંગના નિયમ
આ નિયમોમાં લગ્ન પ્રસંગે DJ, વરઘોડો અને ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગ હવે સાદગીથી જ ઉજવાશે. મીઠાઈ અને ભોજન પણ સાદું જ રાખવાનું રહેશે. વીડિયોગ્રાફી પર પ્રતિબંધ.
લગ્નની આમંત્રણ પત્રિકાઓ મર્યાદિત કરીને ફક્ત 5 પત્રિકા છપાવવાની છૂટ આપવામાં આવી છે, જ્યારે વોટ્સએપ પર આમંત્રણ મોકલવાની રહેશે.
હવે મામેરું રૂપિયા 51,000 થી 2,51,000 સુધી જ કરી શકાશે, આનાથી વધારે. મામા તરફથી રોકડ રૂપિયા 25,000 થી 51,000 જ આપવાની મર્યાદા નક્કી કરાઈ છે.
સામે ઓઢામણી લેવી કે આપવી નહીં, તેમજ કાપડની ઓઢામણીની પ્રથા બંધ કરવામાં આવી છે.
સગપણ પ્રસંગે માત્ર રૂપિયા 1 અને શ્રીફળ આપવું.
ઘરેણાં નહીં લઈ જઇ શકાય.
ચૂડો ગળી વગરનો પહેરવાનો રહેશે અને પ્રસંગોમાં ચૂડો પહેરીને જ આવવાનું ફરજિયાત રાખવામાં આવ્યું છે.
તોરણ પુખવામાં ઊંટની છૂટ આપવામાં આવી છે, પરંતુ તોરણ ઉપર કાપડ લટકાવવું નહીં.
સમાજ સિવાય અન્ય વ્યક્તિઓને જાનમાં નહીં લઈ જઈ શકાય.
દરેક પ્રસંગ નશામુક્ત રાખવાનો કડક નિયમ બનાવાયો છે.
છૂટાછેડાના નિયમ
છૂટાછેડા અંગે સમાજમાં શિસ્ત જળવાઈ રહે તે માટે કડક નિર્ણય લેવામાં આવ્યો છે.
કુંવારું સગપણ તૂટે તો રૂપિયા 5 લાખ રૂપિયા, પરણેલા દંપતિ છૂટાછેડા લે તો રૂપિયા 11 લાખ અને સંતાનો સાથે છૂટાછેડા થાય તો રૂપિયા 21 લાખ સુધીનું વળતર લેવાનું/આપવાનું રહેશે.
ઢવાડા–દાંતારી પરગણામાંથી છૂટું થયેલું સગપણ આ બંને પરગણા છોડીને જ નવેસરથી કરવાનું રહેશે.
મરણ પ્રસંગના નિયમ
મરણ પ્રસંગે અફીણ, ડોડા જેવા નશા પર પૂરી રીતે પ્રતિબંધિત કરાયો છે.
મરણ પ્રસંગે સોગની ઓરણી આપવી નહીં, તેમજ જમણવારમાં શીરો, ખીચડી, કઢી-રોટલી અને શાક જેવી સાદી વાનગીઓ જ રાખવાની રહેશે.
બારમાના દિવસે એક જ લોકાચાર રાખીને પરિવાર અને ગામની રીતે પ્રસંગ પૂર્ણ કરવો.
મરણ પ્રસંગે માત્ર નજીકના સગાઓને જ ફોન દ્વારા જાણ કરવી, જેથી અનાવશ્યક ભીડ અને ખર્ચ ટળે.
કુવાસીયોને રોકડમાં ઓઢામણી કરવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.
આ નિયમોનો ભંગ કરનાર સામે સમાજ દંડ સહિતની કાર્યવાહી કરશે. DJ કે વરઘોડો રાખનારને સમાજ સામે બોલાવવામાં આવશે અને જરૂરી હોય તો કાયદાકીય પગલાં પણ લેવાશે.

