- National
- રાજ્યસભામાં PM મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, ગણાવી કોંગ્રેસની નિષ્ફળતાઓ
રાજ્યસભામાં PM મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, ગણાવી કોંગ્રેસની નિષ્ફળતાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપ્યો હતો. PM મોદીના ભાષણ દરમિયાન વિપક્ષી સભ્યોએ ગૃહના વેલમાં આવીને ભારે સૂત્રોચ્ચાર અને હોબાળો કર્યો હતો, જે બાદ તેઓએ વોકઆઉટ કર્યું હતું. વિપક્ષની ગેરહાજરીમાં પણ PM મોદીએ પોતાનું સંબોધન ચાલુ રાખ્યું અને કોંગ્રેસની જૂની કાર્યશૈલી અને વિઝનના અભાવ પર આકરા પ્રહારો કર્યા હતા.
PM મોદીએ હંગામો કરી રહેલા વિપક્ષી નેતાઓ પર ચપટી લેતા કહ્યું કે, મલ્લિકાર્જુન ખડગેની ઉંમરને જોતા તેમને બેઠા-બેઠા પણ નારા લગાવવાની છૂટ આપવી જોઈએ. વિપક્ષના વોકઆઉટ પર તેમણે કહ્યું, ‘જેઓ થાકી ગયા હતા, બિચારા ચાલ્યા ગયા, પરંતુ ક્યારેક ને ક્યારેક તો તેમણે દેશને જવાબ આપવો જ પડશે.’
PM મોદીએ ભારતના આર્થિક વિકાસની પ્રશંસા કરતા કહ્યું કે ભારત આજે ઝડપી ગતિ અને નીચા ફુગાવા (Low Inflation) સાથે આગળ વધી રહ્યું છે, જે વિશ્વમાં ભાગ્યે જ જોવા મળે છે. જ્યારે અમને સત્તા મળી ત્યારે ભારત 'ફ્રેજાઇલ ફાઇવ' (નબળી પાંચ) અર્થતંત્રોમાં હતું. આજે આપણે ચોથા ક્રમે છીએ અને ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર છીએ. 21મી સદીનો આ બીજો ક્વાર્ટર આઝાદીના જંગના બીજા ક્વાર્ટરની જેમ જ દેશ માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.

PMએ જણાવ્યું કે દુનિયાના સમૃદ્ધ દેશો અત્યારે વૃદ્ધ થઈ રહ્યા છે, જ્યારે ભારત વિશ્વનો સૌથી યુવા વસ્તી ધરાવતો દેશ છે. તેમણે ઉમેર્યું કે કોવિડ પછી વિશ્વ વ્યવસ્થા (World Order) બદલાઈ રહી છે અને ભારત આજે 'ગ્લોબલ સાઉથ'નો મજબૂત અવાજ બનીને ઉભર્યું છે. યુરોપિયન યુનિયનથી લઈને અમેરિકા સુધીના દેશો ભારત સાથે ટ્રેડ ડીલ કરવા ઉત્સુક છે.
PM મોદીએ પૂર્વ વડાપ્રધાન નહેરુ અને ઈન્દિરા ગાંધીનો ઉલ્લેખ કરતા કોંગ્રેસની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ઈન્દિરા ગાંધીના એક ભાષણનો હવાલો આપ્યો જેમાં તેમણે કહ્યું હતું કે જવાહરલાલ નહેરુ દેશની વસ્તીને જ 'સમસ્યા' માનતા હતા. PMએ કહ્યું, ‘કોંગ્રેસ દેશવાસીઓને સમસ્યા માને છે, જ્યારે અમે ૧૪૦ કરોડ દેશવાસીઓને સમાધાન માનીએ છીએ.’
PMએ જૂના આયોજન પંચની ટીકા કરતા કહ્યું કે તે પહાડી વિસ્તારોની જરૂરિયાતો સમજી શક્યું નહોતું. અમે આયોજન પંચને નાબૂદ કરી 'નીતિ આયોગ' બનાવ્યું જે આજે ઝડપથી કામ કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે 2014 પહેલા ફોન પર લોન આપવામાં આવતી હતી જેના કારણે NPA વધ્યું હતું. આજે સુધારાઓને કારણે NPA 1 ટકાથી પણ નીચે પહોંચી ગયું છે. કોંગ્રેસના શાસનમાં પાયમાલ થયેલા પીએસયુ (PSUs) આજે રેકોર્ડ નફો કરી રહ્યા છે અને 'મેક ઇન ઇન્ડિયા'ને મજબૂત બનાવી રહ્યા છે. અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં 4 લાખ કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

PMએ 'PM ગતિશક્તિ' પ્લેટફોર્મ અને 'પ્રગતિ' બેઠકોનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમણે 85 લાખ કરોડના અટકેલા કામો પૂરા કરાવ્યા છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાં બરફની વચ્ચેથી પસાર થતી વંદે ભારત અને આસામના બોગીબીલ બ્રિજનું ઉદાહરણ આપી વિકાસની નવી તસવીર રજૂ કરી હતી. તેમણે સોલર એનર્જીમાં 2030નું લક્ષ્ય 2025માં જ પૂરું કરવાની સિદ્ધિ પણ ગણાવી હતી.
વડાપ્રધાને અંતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિકસિત ભારતનું નિર્માણ હવે અટકવાનું નથી. તેમણે વિપક્ષની ટીકા કરતા કહ્યું કે જેઓ પોતાના ગઢમાં ઘૂસણખોરોને બચાવવા કોર્ટમાં શક્તિ લગાડે છે અને આદિવાસીઓની જમીન છીનવે છે, તેઓએ દેશને ઉપદેશ આપવાની જરૂર નથી.

