- Gujarat
- આ વખતે પોલીસ કીર્તિ પટેલને મૂકવાની નથી લાગતી, લેન્ડ ગ્રેબિંગ કેસમાં જેલમાં પોલીસે ધરપકડ કરી
આ વખતે પોલીસ કીર્તિ પટેલને મૂકવાની નથી લાગતી, લેન્ડ ગ્રેબિંગ કેસમાં જેલમાં પોલીસે ધરપકડ કરી
વિવાદો સાથે જૂનો નાતો ધરાવતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બદનક્ષી અને ખંડણી જેવા ગંભીર ગુનાઓમાં પહેલાથી જ જેલવાસ ભોગવી રહેલી કીર્તિ પટેલ સામે હવે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નવો ગુનો નોંધાયો છે. આ મામલે પુણા પોલીસની ટીમે લાજપોર મધ્યસ્થ જેલમાંથી તેની કસ્ટડી મેળવીને કાયદેસરની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.
મકાનમાલિક વૃદ્ધ કીર્તિભાઈ ઈશ્વરદાસ પટેલે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે તેઓ વર્ષ 2019થી પોતાના જ મકાનનો કબજો પરત મેળવવા માટે સતત ધક્કા ખાઈ રહ્યા છે. કીર્તિ પટેલ ફ્લેટ ખાલી ન કરતી હોવાથી તેમના બાળકો સહિત સમગ્ર પરિવાર ભારે માનસિક તણાવ અને હેરાનગતિનો સામનો કરી રહ્યો છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ શરૂઆતમાં મકાનમાલિકે એકલી છોકરીને મકાન આપવાની ના પાડી હતી. પરંતુ કીર્તિ પટેલે દલાલ રમેશભાઈ મારફતે "હું, મારો ભાઈ અને ભાભી એમ ત્રણેય સાથે રહેવાના છીએ તેમ કહીને ઘર ભાડે લીધું હતું. જોકે, ત્યારબાદ તેણે ભાડા કરાર માટે જરૂરી કાયદાકીય દસ્તાવેજો જમા કરાવ્યા નહોતા.
મકાનમાં આવ્યા બાદ મારપીટ અને ઝઘડાઓ થતાં માલિકે ઘર ખાલી કરવા કહ્યું હતું. પરંતુ બીજે ઘર નથી મળતું, ટૂંક સમયમાં ખાલી કરી દઈશ જેવા બહાના બતાવી તેણે સમય પસાર કર્યો હતો. મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યા છતાં તેણે મકાન ખાલી ન કર્યું. વધુમાં, કોરોના કાળના સરકારી નિયમોનો દુરુપયોગ કરીને તેણે મકાનનો કબજો જાળવી રાખ્યો અને 2019થી અત્યાર સુધીનું ભાડું પણ ચૂકવ્યું નથી.
અંતે કંટાળીને મકાનમાલિકે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, કીર્તિ પટેલની 30 જુલાઈના રોજ અન્ય એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તે જ દિવસે આ લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ દાખલ થયો હતો. છેલ્લા 5 દિવસથી લાજપોર જેલમાં કેદ કીર્તિ પટેલનો કબ્જો પુણા પોલીસે મેળવી લીધો છે. હવે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાશે. આગામી દિવસોમાં તેની સામે નોંધાયેલા અન્ય કેસોમાં પણ તેની ધરપકડ થાય તેવી શક્યતા છે.

