- Gujarat
- આ વર્ષે 6000થી વધુ જગ્યા માટે ભરતી થશેઃ ગુજરાત સરકાર મંત્રી ઋષિકેશ પટેલ
આ વર્ષે 6000થી વધુ જગ્યા માટે ભરતી થશેઃ ગુજરાત સરકાર મંત્રી ઋષિકેશ પટેલ
ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા પંચાયત વિભાગ અને શહેરી વિકાસને લઈને કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. મંત્રી ઋષિકેશ પટેલે આગામી વર્ષ માટેના આયોજન અને નવી ભરતીઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.
પંચાયત વિભાગમાં મોટી ભરતીની જાહેરાત
કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે, વહીવટી કાર્યક્ષમતા વધારવા અને ગ્રામીણ વિકાસને વેગ આપવા માટે સરકાર કટિબદ્ધ છે. પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં આ વર્ષે 6000થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વધતા કાર્યભારને પહોંચી વળવા માટે 127 વિસ્તરણ અધિકારી અને 222 મદદનીશ ઇજનેરની નવી જગ્યાઓ ઊભી કરાઈ છે. બનાસકાંઠાના વિભાજન બાદ અસ્તિત્વમાં આવેલા વાવ-થરાદ જિલ્લા માટે જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતોમાં નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે.

બજેટ ફાળવણી અને ગ્રામીણ સુવિધાઓ
વર્ષ 2026-27ના બજેટમાં પંચાયત અને ગ્રામ વિકાસ માટે કુલ ₹14,857.85 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે ગયા વર્ષ કરતા ₹1070.52 કરોડનો વધારો દર્શાવે છે. ગામોમાં સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે આધુનિક સુવિધાયુક્ત 'અટલવાડી' બનાવવા ₹60 કરોડ ફાળવાયા છે. ગ્રામ્ય સ્તરે સ્વચ્છતા અભિયાન, કચરા વ્યવસ્થાપન અને ડોર-ટુ-ડોર કલેક્શનને વધુ સુદ્રઢ બનાવવા આ યોજના અમલમાં મૂકાશે. રાજ્યમાં 1639 મેળાઓ દ્વારા 191.12 લાખ લાભાર્થીઓને ₹41,368.97 કરોડની સીધી સહાય પહોંચાડવાનો લક્ષ્યાંક છે.

શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યના વાહનવ્યવહારને સુગમ બનાવવા માટે મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2029 સુધીમાં સમગ્ર ગુજરાતને રેલવે ફાટકમુક્ત બનાવવાનું સરકારનું લક્ષ્ય છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં કુલ 367 ફાટકો છે, જેમાંથી 130 પર કામ પૂર્ણ થઈ ગયું છે અને 52 ઓવરબ્રિજ/અંડરબ્રિજનું કામ પ્રગતિમાં છે. બારડોલીમાં 865 મીટર લાંબો ઓવરબ્રિજ બનવાથી 1.25 લાખ લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.

