- Gujarat
- 23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ
આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર કરીને દિવાળી પહેલા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જે તે વખતે RCC રોડ તૈયાર થયો તેના ગણતરીના કલાકોમાં સ્થાનિકોએ ખોલી નાંખતા રોડ 50 મીટર સુધીનો રોડ તૂટી ગયો હતો. જેથી મનપા કમિશ્નરે તાત્કાલિક કોન્ટ્રાક્ટરને સુચના આપીને ખરાબ થઇ ગયલા રસ્તાને નવેસરથી બનાવવા કહેવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ગુરૂવાર સવારથી લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફનો 50 મીટરનો રોડ તોડીને નવેસરથી કોન્ટ્રાક્ટર દ્વારા સ્વખર્ચે બનાવવાની કામગીરી હાથ ધરી છે.
આ 50 મીટરનો રોડ ખરાબ થઈ જતા મનપાએ કોન્ટ્રાક્ટરને બિલ પણ ચૂકવ્યું નથી. 50 મીટરનો રોડ તૂટી ગયો છે તેટલો રોડ કોન્ટ્રાક્ટરને ખર્ચે બનાવવામાં આવશે. મહાનગરપાલિકાએ આણંદના કપાસિયા બજાર વિસ્તારમાં ટાવરથી કૈલાશ ભૂમિ તરફ જતા રોડ ઉપર રવિરાજ કન્સ્ટ્રક્શન કંપનીને 23 લાખ રૂપિયા ખર્ચે RCC રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જે રોડ માટે દિવાળીના આગળના દિવસે RCC રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
નવા વર્ષની વહેલી સવારથી જ રોડ ઉપર વાહન વ્યવહાર શરૂ થઈ જતા RCC રોડમાં ખાડા પડી ગયા હતા અને કપચી પણ ઉપર આવી ગઈ હતી. આ વિસ્તારના રહિશોએ કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાનો માલ વાપર્યો હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે ગુરૂવારે સવારે JCB દ્વારા કપાસિયા વિસ્તારના અમુક ભાગનો RCC રોડ તોડવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું.
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એસ.કે ગરવાલે જણાવ્યું હતું કે, આણંદ મનપા બન્યા બાદ જે માર્ગો નવીનીકરણ કરવામાં આવ્યું હતું તે માર્ગો તૂટી જાય તો જે તે કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે તૈયાર કરશે. તેમ ટેન્ડર ભરતી વખતે શરત કરી હતી. લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર RCC રોડ બન્યા બાદ તે રાત્રે જ સ્થાનિકોએ ખોલી નાંખતા 50 મીટરનો RCC રોડ તુટી ગયો હતો. જે તે વખતે કોન્ટ્રાક્ટર બેદરકારી દાખવતા સ્થાનિકોએ રોડ ખુલ્લો કર્યો હતો. જેથી કમિશ્નરે તાત્કાલિક તૂટી ગયેલા RCC રોડ તોડીને નવેસરથી બનવવા જણાવ્યું હતું જેના ભાગરૂપે 50 મીટરનો RCC રોડ તોડીને નવેસરથી બનાવવામાં આવી રહ્યો છે.
ડેપ્યુટી કમિશનરના જણાવ્યા મુજબ, આ સંદર્ભે ફરિયાદો થવાથી મનપા દ્વારા રવિરાજ કન્સ્ટ્રક્શનને 23 લાખના બિલની ચૂકવણી કરવામાં આવી નહોતી. હાલમાં આ RCC રોડ ફરીથી કોન્ટ્રાક્ટરના ખર્ચે બનાવવા માટે લેખિતમાં જાણ કરવાથી 50 મીટરથી વધુનો રોડ તૂટી ગયો હતો તે રોડ કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે બનાવી રહ્યો છે. મનાપા દ્વારા કોઈ પણ પ્રકારના બિલની ચૂકવણી કરવામાં નહીં આવે.

