- Gujarat
- અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી દીપડાની હાજરીથી લોકોમાં ભયનો માહોલ
અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી દીપડાની હાજરીથી લોકોમાં ભયનો માહોલ
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી દીપડાની હાજરીને પગલે નાગરિકોમાં રે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પહેલા શેલા વિસ્તારમાં દીપડો દેખાયો હતો, ત્યારબાદ હવે દાવો કરવામાં આવી રહ્યો છે કે, ત્યાંથી આશરે 26 કિલોમીટર દૂર ઝુંડાલ-ચાંદખેડા વિસ્તારમાં પણ દીપડો જોવા મળ્યો છે. 20મી જુલાઈની રાત્રે ઝુંડાલથી ચાંદખેડા માધવ હોમ્સની સામે દીપડો દેખાયો હોવાના દાવા સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ઝુંડાલથી ચાંદખેડા તરફ આવતા માધવ હોમ્સની સામે ગઇકાલે (20 જુલાઈ) રાત્રે 2 વાગ્યે ત્યાં હાજર છોકરાઓએ દીપડો જોયો હોવાનો એક કેફે માલિકે દાવો કર્યો છે. 19 જુલાઈ, 2026ની મોડી રાત્રે 2 વાગ્યે દીપડો શેલાની શરણદીપ સોસાયટીમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે આખો દિવસ વનવિભાગે દીપડો શોધવા કવાયત હાથ ધરી હતી, પણ દીપડો મળ્યો નહોતો. ત્યારબાદ આજે ત્યાંથી 26 કિમી દૂર ઝુંડાલ-ચાંદખેડામાં દીપડો દેખાયો છે. આ તે જ દીપડો છે કે બીજો કોઈ દીપડો છે તે ચર્ચાનો વિષય છે. ત્યારે વનવિભાગે જ આ મામલે સ્પષ્ટતા કરવી જોઇએ કે આખરે અમદાવાદમાં કેટલા દીપડા ફરે છે?
નિશાંત પટેલ નામના કેફે માલિકે જણાવ્યું કે, અમારું કેફે રાત્રે મોડા સુધી ચાલુ હોય છે. અમે અને અમારા કેફેની આસપાસના કેટલાક લોકોએ રાત્રે 2 વાગ્યે દીપડો જોયો હતો જેનો અમે ફોટો પાડ્યો છે. અમે ફોરેસ્ટ વિભાગને પણ ફોટો મોકલીને જાણ કરી છે. સ્થાનિક શ્રેયાએ જણાવ્યું કે અહીંયાથી સતત લોકો પસાર થતા હોય છે, ખાસ કરીને સાંજે કે રાત્રે અહીંયા અંધારા જેવું હોય ત્યારે ખબર નથી પડતી. મારી એવી અપીલ છે કે જે લોકો અહીંયા રહે છે કે આવતા-જતા હોય તે સચેત રહે. અહીંયા ઓછામાં ઓછું બેરિકેટ કે એવું કોઈ નોટિસ બોર્ડ હોવું જોઈએ.
સ્થાનિક સુરેશભાઈએ જણાવ્યું કે મને દીપડા વિશેની માહિતી કન્ફર્મ ન હતી, પરંતુ સવારે 6 વાગ્યે મિત્ર વર્તુળમાંથી ફોન આવ્યો કે આ તરફ કંઈ દીપડાના પ્રયાણ થયા છે અને લોકલ ન્યુઝપેપરના કટિંગથી મને એવી જાણ મળી કે અહીંયા દીપડો આવેલ છે. દીપડો આવવાના મેસેજથી મોર્નિંગ વોક જવાનું ટાળ્યું અને ઘરમાં બેસી રહેવાનું અમે પસંદ કર્યું.
એ અંદાજ કરવો તો મુશ્કેલ છે કે દીપડો કઈ દિશામાં જઈ રહ્યો હશે. અમારી સામેની સાઈડમાં જે કઈ પણ બાવળના વૃક્ષો અને ઝાડી એટલી બધી છે કે જેમાં કોઈ જંગલી જાનવર ઘૂસી ગયું હોય, તો એ અવશ્ય રીતે કોઈના માનવ જાનમાલની હાની કરી શકે એવી પરિસ્થિતિ છે. તો તમારા માધ્યમથી હું સરકારને એવી રિક્વેસ્ટ કરીશ કે આ એરિયાને વધુ સારો અને વધુ અમદાવાદને અનુરૂપ બનાવવા માટે જો પ્રયત્ન સરકાર તરફથી થશે, તો આ વિસ્તારના એક સ્થાનિક તરીકે ખૂબ ખૂબ આભાર માનીશ. આ વિસ્તાર એટલા માટે જોખમી છે કે અહીંયા કાફે અને એસ.પી. રિંગ રોડ ઉપર ઘણી બધી એવી વ્યવસ્થા છે કે યુવાનો ખાસ કરીને આવીને બેસે છે, એમનો એન્જોયમેન્ટનો સમય પસાર કરે છે.
ઉલ્લેખનીય છે કે, 19 જુલાઈ મોડી રાત્રે અમદાવાદના પોશ વિસ્તાર એવા ઘુમા-શેલામાં દીપડાએ દેખા દીધી હતી. શરણદીપ સોસાયટીના એક બંગ્લોઝમાં કોટ કૂદીને દીપડો ઘૂસ્યો હતો. બાદમાં સોસાયટીના કૂતરા દીપડાની પાછળ દોડ્યા હતા. દીપડાની એન્ટ્રીથી ઘુમા-શેલા-બોપલમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ જયપાલ સિંહ (IFS)એ જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં દીપડાની કાયમી વસ્તી નોંધાયેલી નથી. તેમ છતાં ધરોઈ-સાબરમતી નદીના પટ્ટા અને આસપાસના કુદરતી વિસ્તારોથી દીપડો શહેરની સીમા સુધી આવી શકે છે અને ત્યારબાદ ફરી પોતાના વિસ્તાર તરફ પરત ફરી શકે છે.
શેલા-ઘુમા વિસ્તાર બાદ હવે ત્યાંથી 26 કિલોમીટર દૂર ચાંદખેડા-ઝુંડાલમાં દીપડો દેખાયો હોવાના દાવાથી તંત્રની દોડધામ વધી ગઈ છે. આ એ જ દીપડો છે કે પછી શહેરમાં અન્ય કોઈ દીપડો પણ ઘૂસી આવ્યો છે તેને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. અમદાવાદ જેવા ગીચ શહેરમાં આખરે કેટલા દીપડા મુક્તપણે ફરી રહ્યા છે તે અંગે વનવિભાગે વહેલી તકે સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ તેવી માગણી સ્થાનિકો કરી રહ્યા છે.
વનવિભાગ દ્વારા જાહેર કરાયેલા વર્ષ 2023ના રાજ્યવ્યાપી દીપડા વસ્તી અંદાજ મુજબ ગુજરાતમાં કુલ 2,294 નોંધાયેલા દીપડા છે, જ્યારે હાલમાં અંદાજિત સંખ્યા આશરે 2,600 જેટલી હોવાનું અધિકારીઓનું માનવું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બોટાદ અને પાટણ જિલ્લામાં દીપડાની નોંધાયેલી વસ્તી નથી. વનવિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવા, દીપડો દેખાય તો નજીક જવાનો પ્રયાસ ન કરવા અને તાત્કાલિક વનવિભાગને જાણ કરવાની અપીલ કરી છે.

