- Gujarat
- એવું શું કે ગોપાલ ઈટાલિયા અને DyCM હર્ષ સંઘવી સામસામે આવી ગયા? DyCM બોલ્યા- પંજાબમાં AAPની સરકારે આવ...
એવું શું કે ગોપાલ ઈટાલિયા અને DyCM હર્ષ સંઘવી સામસામે આવી ગયા? DyCM બોલ્યા- પંજાબમાં AAPની સરકારે આવું કંઈ કર્યું હોય તો જણાવો
ગુજરાત વિધાનસભાના વર્તમાન સત્ર દરમિયાન આજે વિવિધ ગંભીર મુદ્દાઓને લઈને ભારે ગરમાગરમી અને હોબાળો જોવા મળ્યો હતો. આજ વિધાનસભાના ગૃહની શિસ્તના મુદ્દે વિધાનસભા અધ્યક્ષ પણ કડક મૂડમાં હતા. કેમકે જ્યારે મુખ્યમંત્રી જાહેર અગત્યની બાબત પર નિવેદન આપી રહ્યા હતા, ત્યારે પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થતા જ કેટલાક અધિકારીઓ ગેલેરી છોડીને બહાર જવા લાગ્યા હતા. આ મામલે અધ્યક્ષે તાત્કાલિક ટકોર કરી બહાર ગયેલા અધિકારીઓને પાછા બોલાવ્યા હતા અને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે કાર્યવાહી ચાલુ હોય ત્યાં સુધી કોઈ પણ અધિકારી પોતાનું સ્થાન ન છોડે. આમ, આજનો દિવસ વિધાનસભામાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને શિસ્તના પાઠ ભણાવનારો રહ્યો હતો.
તો બીજી તરફ આજે ગૃહમાં વંદે માતરમ ગાનના કથિત અપમાનથી લઈને વ્યક્તિગત પ્રાઈવસી અને સરકારી અધિકારીઓની શિસ્ત સુધીના મુદ્દાઓ પર તીખી ચર્ચાઓ થઈ હતી. ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, વિધાનસભાના ગૃહમાં વંદે માતરમ ગાન વખતે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા બેસી રહેતા મોટો વિવાદ સર્જાયો હતો. આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા ગૃહમાં કહ્યું હતું કે, આ અત્યંત ગંભીર બાબત છે. રાજ્યના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમાજને શું મેસેજ આપવા માંગે છે? અમુક લોકોની માનસિકતા જ વંદે માતરમના અપમાનની છે અને આ અંગે અગાઉ કોંગ્રેસની બેઠકમાં સૂચના અપાઈ હોવાની પણ તેમને જાણકારી છે. તેમણે સંસદીય જોગવાઈ હેઠળ ખેડાવાલા સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.
https://twitter.com/ians_india/status/2097599349534724483?s=20
આ ઘટના અંગે મંત્રી પ્રવિણ માળીએ સરકાર વતી પોતાની પ્રતિક્રિયા આપતા આ ઘટનાને અત્યંત ગંભીરતાથી વખોડી કાઢી છે. તેમજ મંત્રી પ્રવિણ માળીએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્ર અને રાષ્ટ્રગીતનું સન્માન જળવાવું જ જોઈએ અને તેનું અપમાન કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ કૃત્ય ભલે જાણીજોઈને કરવામાં આવ્યું હોય કે પછી કોઈ ભૂલથી થયું હોય, પરંતુ આ રાષ્ટ્રીય સન્માનનો વિષય હોવાથી ધારાસભ્યએ આ માટે માફી માંગવી અનિવાર્ય છે. સરકારે આ મુદ્દે માત્ર ધારાસભ્ય જ નહીં પરંતુ સમગ્ર કોંગ્રેસ પક્ષને પણ કઠેડામાં ઊભી કરી છે.
જો કે આ વિવાદ પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું હતું કે, કોંગ્રેસના તમામ ધારાસભ્યો ઊભા જ હતા, પરંતુ ઈમરાન ખેડાવાલા ગેરસમજને કારણે બે અંતરા માટે જ ઊભા રહી શક્યા નહોતા. તેમણે સ્પષ્ટ કર્યું કે જે પણ થયું તે ખોટું થયું છે અને કોંગ્રેસ હંમેશાં રાષ્ટ્રગાનનું સન્માન જાળવવામાં માને છે. અમિત ચાવડાએ યાદ અપાવ્યું હતું કે 1896 ના પ્રથમ અધિવેશનમાં પણ કોંગ્રેસે રાષ્ટ્રગાન કર્યું હતું. જોકે, આ વિવાદના બીજા દિવસે ઈમરાન ખેડાવાલા ગૃહમાં ગેરહાજર રહ્યા હતા.
ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, આ વિવાદ અંગે ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે હું 'વંદે માતરમ્'ના ગાન સમયે માનપૂર્વક ઊભો હતો અને પછી જેટલી કડીઓ જરૂરી હતી તે દરમિયાન હું ઊભો રહ્યો અને પછી હું બેસી ગયો. આ મારો અંગત મંતવ્ય છે. અમારામાં ખુદાની જ ઇબાદત કરવાનો હુકમ છે.
તો ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ વંદે માતરમના અપમાન મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યુ છે કે, વંદે માતરમના ગાન વખતે હું ઉભો હતો. 1937માં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના નેતાઓએ નક્કી કરેલા વંદે માતરમના અંશ વખતે હું ઉભો હતો. નવા ઉમેરાયેલા અંશનું ગાન થયું ત્યારે હું બેસી ગયો હતો. ભાજપ મને ફરજ પાડી શકે નહી. મારે કોઈનું સર્ટિફિકેટ લેવાનું નથી, મારી દેશભક્તિ બતાવવાની જરૂર નથી. સરકાર અને ભાજપ પાસે મુદ્દા ન હોવાથી મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. અન્ય કોંગ્રેસના ધારાસભ્યો બેઠા કે નહીં તે મારો વિષય નથી. વંદે માતરમમાં બીજા શબ્દો ઉમેરાયા ત્યારે હું બેઠો હતો. દેશ માટે મારો પ્રેમ છે, મારે કોઈને બતાવવાની જરૂર નથી. સરદાર સાહેબ, ગાંધીજી કે બાબા સાહેબ કરતાં ભાજપના નેતાઓ મોટા નથી.
તો સર્વેલન્સના મુદ્દે ગોપાલ ઈટાલિયા અને હર્ષ સંઘવી ગૃહમાં સામસામે આવી ગયા હતા. ગોપાલ ઈટાલિયાએ બુટલેગરોની હિલચાલ પર નજર રાખવા માટે કેટલા CCTV લગાવ્યા? તેવો પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે બંધારણ કોઈના પણ ઘર પર CCTV લગાવવાની પરવાનગી આપતું નથી અને આ વ્યક્તિગત સ્વતંત્રતાનો મુદ્દો છે. તેમણે સામો કટાક્ષ કરતા પૂછ્યું હતું કે શું પંજાબમાં AAPની સરકારે આવું કંઈ કર્યું હોય તો તેની જાણકારી આપે છે.
શું છે વિવાદ?
ઘટના એવી છે કે, ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના પ્રથમ દિવસે પરંપરાગત રીતે વંદે માતરમના ગાન સાથે કાર્યવાહીનો પ્રારંભ થયો હતો. આ સમયે ગૃહના તમામ સભ્યો સન્માનપૂર્વક ઉભા રહ્યા હતા. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા વંદે માતરમ શરૂ થતાની સાથે જ ઉભા તો થયા હતા, પરંતુ ગાન ચાલુ હોવા છતાં તુરંત જ પોતાની બેઠક પર બેસી ગયા હતા. ધારાસભ્યના આ પ્રકારના વર્તનને રાષ્ટ્રીય ગીત પ્રત્યેનો અનાદર અને ઘોર અપમાન ગણાવીને સરકાર દ્વારા તેની કડક ટીકા કરવામાં આવી છે.

