- National
- આંધ્ર પ્રદેશમાં યોજાશે 'અખિલ ભારતીય સમન્વય બેઠક', RSS વડા ડૉ.મોહન ભાગવત રહેશે હાજર
આંધ્ર પ્રદેશમાં યોજાશે 'અખિલ ભારતીય સમન્વય બેઠક', RSS વડા ડૉ.મોહન ભાગવત રહેશે હાજર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રેરિત વિવિધ સંગઠનોની વાર્ષિક 'અખિલ ભારતીય સમન્વય બેઠક' આ વર્ષે યુગાબ્દ 5128, વિક્રમ સંવત 2083 શ્રાવણ શુક્લ સપ્તમી, અષ્ટમી અને નોમ એટલે કે 19 થી 21 ઓગસ્ટ 2026 દરમિયાન આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લાના ગુડીલોવા ખાતે યોજાવા જઈ રહી છે. દર વર્ષે નિયમિતપણે યોજાતી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં સંઘ પ્રેરિત 32 જેટલા વિવિધ સંગઠનોના રાષ્ટ્રીય કક્ષાના પદાધિકારીઓ ભાગ લેશે.

આ બેઠકમાં સંગઠનોના અખિલ ભારતીય અધ્યક્ષ, મહાસચિવ, સંગઠન મંત્રી તેમજ કેટલાક પસંદગીના મુખ્ય પદાધિકારીઓ હાજરી આપશે. આ સંગઠનો છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક જીવનમાં સક્રિય રહીને રાષ્ટ્રહિત, લોકજાગૃતિ અને જાહેર ક્ષેત્રની વિવિધ સમસ્યાઓના ઉકેલ તેમજ વ્યવસ્થા પરિવર્તનના કાર્યોમાં સતત કાર્યરત છે.
બેઠકમાં હાજર રહેનારા મુખ્ય સંગઠનો:
- ભારતીય મજૂર સંઘ (BMS)
- ભારતીય કિસાન સંઘ (BKS)
- ભારતીય જનતા પાર્ટી (BJP)
- વિશ્વ હિન્દુ પરિષદ (VHP)
- અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)
- સક્ષમ
- રાષ્ટ્ર સેવિકા સમિતિ સહિત કુલ 32 સંગઠનો
આ અખિલ ભારતીય સમન્વય બેઠકમાં RSSના સરસંઘચાલક ડો. મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે, તમામ સહ-સરકાર્યવાહ તેમજ અખિલ ભારતીય કાર્ય વિભાગના પ્રમુખો વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે.
બેઠક દરમિયાન તમામ સંગઠનો પોતપોતાના કાર્યોનો અહેવાલ રજૂ કરશે અને મહત્વના વિષયો પર પોતાના મંતવ્યો તેમજ સૂચનો આપશે. સંગઠનો વચ્ચે પરસ્પર સમન્વય અને સહયોગને વધુ મજબૂત બનાવવો, જનકલ્યાણ અને નીતિગત બાબતો પર સંવાદ સાધવો એ આ બેઠકનો મુખ્ય હેતુ છે.

આ ઉપરાંત વસ્તી અસંતુલન, વ્યસનમુક્તિ અને નશાબંધી, યુવાનોમાં જાગૃતિ અને રાષ્ટ્રભાવના, પંચ પરિવર્તનનું અમલીકરણ, વિકાસની ભારતીય અવધારણા, દેશની વર્તમાન પરિસ્થિતિ અને સામાજિક પડકારો જેવા વર્તમાન અને મહત્વના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

