- National
- કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા...
કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વાર્ષિક અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક આજે કર્ણાટકના બેલગાવી ખાતે પૂર્ણ થઈ છે. આ મહત્ત્વની બેઠકમાં સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે સહિત સંઘના 226 વરિષ્ઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન માર્ચ 2026 પછી સંઘના અલગ-અલગ સ્તરે આયોજિત કરાયેલા પ્રશિક્ષણ વર્ગોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ વર્ષે દેશભરમાં કુલ 83 'સંઘ શિક્ષા વર્ગ' અને 12 'કાર્યકર્તા વિકાસ વર્ગ' યોજાયા હતા, જેમાં કુલ 18842 સ્વયંસેવકોએ તાલીમ મેળવી છે. આ પ્રશિક્ષણ વર્ગોમાં શાખા સંચાલન, સંઘની કાર્યપદ્ધતિ, ગ્રામીણ વિકાસ, કુટુંબ પ્રબોધન, આપત્તિ વ્યવસ્થાપન અને પર્યાવરણ જેવા મહત્વના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સંઘ કાર્યને પાયાના સ્તરે મજબૂત કરવા માટે શાખાઓની કાર્યયોજનાના અમલીકરણ પર વિગતવાર ચર્ચા થઈ હતી. આગામી સપ્ટેમ્બર મહિનામાં વધુમાં વધુ શાખાઓ શરૂ કરવાની વિસ્તરણ યોજના પર પણ વિચાર-વિમર્શ કરાયો હતો. આ સાથે જ, સંઘના શતાબ્દી વર્ષ અંતર્ગત અત્યાર સુધી યોજાયેલા કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી અને બાકી રહેલા કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાઈ હતી.
શતાબ્દી વર્ષના વિવિધ કાર્યક્રમોના માધ્યમથી સંઘના સંપર્કમાં આવેલા લોકોને સામાજિક કાર્યો અને 'પંચ પરિવર્તન'ના કાર્યોમાં સક્રિય કરવા માટેની યોજના ઘડવામાં આવી છે. આ ઉપરાંત, સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતના વર્ષ 2026-27ના પ્રવાસ કાર્યક્રમ અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી.
https://twitter.com/RSSorg/status/2075453168012697885/video/1
બેઠકમાં દેશના વર્તમાન ચિત્ર અને વિવિધ સમકાલીન વિષયો પર ગંભીર ચર્ચા થઈ હતી. જેમાં મુખ્યત્વે વસ્તી ગણતરી સંદર્ભે માહિતી મેળવવામાં આવી હતી અને વસ્તીના અસંતુલનના કારણે ઊભા થઈ રહેલા પડકારો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. દેશમાં વધી રહેલા ડ્રગ્સના દૂષણ પર ચિંતા વ્યક્ત કરવાની સાથે નશામુક્તિ માટે પ્રાથમિકતાના ધોરણે પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. આ સાથે જ, સંત શિરોમણિ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતી વર્ષ નિમિત્તે આયોજિત થનારા કાર્યક્રમોની યોજના પણ તૈયાર કરવામાં આવી હતી.
બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યોએ શ્રી રામજન્મભૂમિ મંદિરમાં દાનપેટીની આવકની ગણતરીમાં સામે આવેલી ગેરરીતિની ઘટના પર ઊંડો આઘાત અને દુઃખ વ્યક્ત કર્યું હતું. તીર્થક્ષેત્ર ટ્રસ્ટની વિનંતી પર હાલમાં જે SIT અને પોલીસ તપાસ ચાલી રહી છે, તે ટૂંક સમયમાં જ કોઈ નિર્ણાયક વળાંક પર પહોંચશે તેવો વિશ્વાસ સંઘે વ્યક્ત કર્યો છે.

સંઘ તરફથી શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ પાસે એવી અપેક્ષા રાખવામાં આવી છે કે, તેઓ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ફરી ન બને તે સુનિશ્ચિત કરે, જેથી રામભક્તોની રામ મંદિર પ્રત્યેની અતુટ શ્રદ્ધા અને ઊંડી આસ્થાને કોઈ ઠેસ ન પહોંચે.

