- Sports
- પાંચમી T20Iમાં વૈભવને ન રમાડવાનું કારણ આપતા શ્રેયસ ઐય્યરે કહ્યું, 'હું એકલો જ એવો હતો જે...'
પાંચમી T20Iમાં વૈભવને ન રમાડવાનું કારણ આપતા શ્રેયસ ઐય્યરે કહ્યું, 'હું એકલો જ એવો હતો જે...'
વૈભવ સૂર્યવંશીને કેમ પડતો મૂકવામાં આવ્યો? IND vs ENGની 5મી T20I દરમિયાન આ પ્રશ્ન દરેકના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આયર્લેન્ડ સામેની બે T20I અને ઇંગ્લેન્ડ સામેની પહેલી મેચમાં નિષ્ફળ ગયા પછી, કેપ્ટન શ્રેયસ ઐય્યર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે સંજુ સેમસનને પડતો મૂક્યો અને વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાની તક આપી. IPL અને ઇન્ડિયા Aમાં તેના પ્રભાવશાળી ફોર્મને જોતાં, એવી અપેક્ષાઓ હતી કે તે આંતરરાષ્ટ્રીય મંચ પર પણ મજબૂત ડેબ્યૂ કરશે. પરંતુ એવું બન્યું નહીં. વૈભવે ત્રણેય મેચમાં શરૂઆત તો સારી કરી હતી, પરંતુ મોટો સ્કોર બનાવી શક્યો ન હતો. તેથી, અંતિમ T20Iમાં, જ્યારે ભારત પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું, ત્યારે તેઓએ 15 વર્ષીય ખેલાડીને પડતો મૂકવાનો નિર્ણય કર્યો.

વૈભવ સૂર્યવંશીને ટીમમાંથી બાકાત રાખ્યા પછી, ટીમ મેનેજમેન્ટે ફરી એકવાર સંજુ સેમસનને તક આપી, જોકે આ વખતે પણ, સંજુ સેમસન કઈ ખાસ કરી શક્યો ન હતો.
હવે, મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં, કેપ્ટન શ્રેયસ ઐયરે વૈભવ સૂર્યવંશીને મેચમાં ન રમાડવા અંગે પોતાનું મૌન તોડ્યું છે. તેણે કહ્યું કે ટીમ કોમ્બિનેશન અને ટોપ ઓર્ડરમાં વધુ ડાબોડી બેટ્સમેનો હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શ્રેયસ ઐયરે, વૈભવ સૂર્યવંશીને ન રમાડવા અંગે મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, 'અમારે આ પરિસ્થિતિઓમાં શ્રેષ્ઠ કોમ્બિનેશન અજમાવવાની જરૂર હતી. અને અમે અભિષેક (શર્મા)ની સાથે એક જમણાં હાથનો બેટ્સમેન પણ ઇચ્છતા હતા. તેથી તે એક મોટું કારણ હતું.'

તેણે વધુમાં જણાવ્યું હતું કે, 'બધા ડાબોડી બેટ્સમેનોમાં, હું જ એકમાત્ર જમણાં હાથનો બેટ્સમેન હતો. તેથી અમે એક અલગ કોમ્બિનેશન અજમાવવા માંગતા હતા, જે આ પરિસ્થિતિમાં રમવા માટે યોગ્ય હોય. અને તે એક શાનદાર બેટ્સમેન છે. તેણે ભૂતકાળમાં પણ આપણા માટે ઘણી શ્રેણી જીતી છે.'
વૈભવ સૂર્યવંશીએ ઇંગ્લેન્ડ સામેની બીજી T20Iમાં ડેબ્યૂ કરીને ઇતિહાસ રચ્યો. તે ભારત માટે આંતરરાષ્ટ્રીય મેચ રમનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે, આ સંદર્ભમાં સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. પોતાની પહેલી મેચમાં, તેણે 10 બોલમાં 14 રન બનાવ્યા, જેમાં 2 છગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારપછીની આગળની બે મેચમાં તેણે 13 અને 15 રન બનાવ્યા.

ઇંગ્લેન્ડ સામેની 3 મેચમાં, વૈભવ સૂર્યવંશીએ 14ની સરેરાશથી 42 રન બનાવ્યા, જેમાં તેનો સ્ટ્રાઇક રેટ 168 હતો.
હવે તે આગામી ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમ ઇન્ડિયા માટે ધૂમ મચાવતો જોવા મળશે.

