- National
- શિવ મંદિરમાંથી 4 કિલો ચાંદી અને ખાટુ શ્યામ મંદિરમાંથી ₹70,000 રોકડની ચોરી
શિવ મંદિરમાંથી 4 કિલો ચાંદી અને ખાટુ શ્યામ મંદિરમાંથી ₹70,000 રોકડની ચોરી
કર્નાલમાં મંદિરોને નિશાન બનાવતા બે ચાલાક ચોરોને પોલીસે પકડી પાડ્યા છે. શ્રાવણના પવિત્ર મહિનામાં જ્યારે મંદિરોમાં ભક્તોની ભીડ હતી, ત્યારે આ ચોરો દેવતાના ચાંદીના મુકુટ લઈને ફરાર થઈ ગયા હતા. આ પહેલા ખાટુ શ્યામ મંદિરમાં દાનપેટી કાપીને હજારો રૂપિયાની ચોરી પણ કરી ચૂક્યા હતા. પોલીસના CIA-3 યુનિટે બંને આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું છે કે તેમની પાસેથી ચોરાયેલા ચાંદીના મુકુટ અને રોકડ રકમ મળી આવી છે.
આ ઘટના કર્નાલના સેક્ટર-9 વિસ્તારમાં બની હતી. ચોરો અહીંના શ્રી શિવ સનાતન મંદિરમાં ઘૂસી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ મંદિરમાંથી ભગવાનના આશરે 4 કિલો વજનના ચાંદીના મુકુટ ચોરી લીધા હતા. મંદિમાં ચોરી થયાની માહિતી મળતા જ પોલીસ સક્રિય થઇ. તપાસ શરૂ થઇ અને CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી. અહીંથી પોલીસને ચોરો સુધી પહોંચવાનો માર્ગ મળ્યો.
પોલીસ તપાસ આગળ વધી, ત્યારે ખબર પડી કે આ કોઇ પહેલી ઘટના નથી. એવો આરોપ છે કે આ જ ચોરોએ અગાઉ સદર બજાર વિસ્તારમાં આવેલા ખાટુ શ્યામ મંદિરને નિશાન બનાવ્યું હતું. ત્યાં, તેમણે દાનપેટી કાપીને તેમાંથી આશરે ₹70,000 રોકડ લઈને ફરાર થઇ ગયા હતા. તે ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા.
બંને મંદિરોમાં થયેલી ચોરીઓ બાદ પોલીસે CCTV ફૂટેજની તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન, તેમને આરોપીઓની ઓળખ અંગેના સંકેતો મળ્યા. ત્યારબાદ, CIA-3 ટીમે કરનાલના રહેવાસી વજીરા અને જીતેન્દ્રની ધરપકડ કરી. પોલીસના જણાવ્યા અનુસાર, વજીરા અગાઉ અનેક ચોરીના કેસોમાં સંડોવાયેલો હતો; તેનું નામ પહેલાથી જ પોલીસ રેકોર્ડમાં હતું.
ધરપકડ બાદ, પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરી. પોલીસનો દાવો છે કે શિવ મંદિરમાંથી ચોરાયેલા ચાંદીના મુકુટ મળી આવ્યા છે. જ્યારે, ખાટુ શ્યામ મંદિરમાંથી ચોરાયેલી રકમમાંથી આશરે 30,000 રૂપિયા પણ મળી આવ્યા છે. CIA-3ના તપાસ અધિકારી રાજીવના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓ કરનાલના રહેવાસી છે અને બંને ઘટનાઓમાં સંડોવાયેલા હતા.
પોલીસે બંને આરોપીઓને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરી છે. રિમાન્ડનો સમયગાળો પૂરો થયા બંનેનું મેડિકલ કરાવવામાં આવ્યું અને ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટે બંને આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા, ત્યારબાદ તેમને જિલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યા.
પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ બંનેએ કરનાલ અને આસપાસના વિસ્તારોમાં બીજી કેટલી ઘટનાઓને અંજામ આપ્યો છે. કારણ કે જે પ્રકારે બંનેએ પહેલા ખાટુ શ્યામ મંદિરની દાનપેટીને નિશાન બનાવી અને બાદમાં શ્રાવણ મહિનામાં શિવ મંદિરમાંથી ભગવાનના ચાંદીના મુકુટની ચોરી કરી, તેનાથી પોલીસને આશા છે કે તેમના જૂના કેસની કડી જોડાશે.

