- National
- બોલો પોલીસ સ્ટેશનમાંથી જપ્ત થયેલી 18 પૈડાવાળી ટ્રક જ ગાયબ થઈ ગઈ! સ્ટેશન ઇન્ચાર્જ કહે- 'મને કંઈ ખબર ન...
બોલો પોલીસ સ્ટેશનમાંથી જપ્ત થયેલી 18 પૈડાવાળી ટ્રક જ ગાયબ થઈ ગઈ! સ્ટેશન ઇન્ચાર્જ કહે- 'મને કંઈ ખબર નથી'
બિહારના મુંગેરમાં પોલીસ સ્ટેશનમાં સુરક્ષા વ્યવસ્થા પર એક ઘટનાએ પ્રશ્નો ઉભા કર્યા છે. મુફફસિલ પોલીસ સ્ટેશન પરિસરમાંથી એક ઓવરલોડેડ 18 પૈડાવાળી ટ્રક રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ. ખાણકામ વિભાગ દ્વારા આ ટ્રકને જપ્ત કરવામાં આવી હતી અને રૂ. 11 લાખ, 18 હજાર 600નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ટ્રક લગભગ એક મહિના સુધી પોલીસ સ્ટેશનમાં રહી હતી અને અચાનક એક દિવસ ગાયબ થઈ ગઈ. હવે, પોલીસ તપાસ કરી રહી છે કે ટ્રક પોલીસ સ્ટેશન પરિસરમાંથી કેવી રીતે ગાયબ થઇ ગઈ.
વાર્તા 3 જુલાઈથી શરૂ થાય છે. ખાણકામ વિભાગની એક ટીમ મુફફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેલિયા તળાવ નજીક તપાસ કરી રહી હતી. ત્યાં તેમને 18 પૈડાવાળી ટ્રક જોવા મળી હતી. ટ્રક રેતીથી ભરેલી હતી અને તેને ઓવરલોડેડ બતાવવામાં આવી હતી. ખાણકામ વિભાગે ટ્રકને જપ્ત કરી હતી. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ટ્રક પર રૂ. 11 લાખ,18,હજાર 600નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારપછી ટ્રકને મુફફસિલ પોલીસ સ્ટેશન પરિસરમાં પાર્ક કરવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે ટ્રક હવે પોલીસ દેખરેખ હેઠળ હતો. ઓછામાં ઓછું કાગળ પર તો આવું જ લખેલું હતું. આ પછી, મામલો લગભગ એક મહિના સુધી શાંત રહ્યો.
ત્યારપછી, ખાણકામ વિભાગની ટીમે બીજું વાહન જપ્ત કર્યું અને મુફફસિલ પોલીસ સ્ટેશન પહોંચી. ટીમે પોલીસ સ્ટેશનમાં પાર્ક કરેલા વાહનો જોયા. ત્યારે જ તેમને ખબર પડી કે 3 જુલાઈના રોજ જપ્ત કરાયેલ 18 પૈડાવાળી ટ્રક ગુમ થઈ ગઈ હતી. ખાણકામ વિભાગના અધિકારીઓ ચોંકી ગયા. પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલી ટ્રક કેવી રીતે ગાયબ થઈ ગઈ? વિભાગે તેના અધિકારીઓને જાણ કરી. આ મામલો વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સુધી પહોંચ્યો. આ પછી, મુંગેરના SP સૈયદ ઇમરાન મસૂદે ખાણકામ અધિકારી અને મુફફસિલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ બિપિન કુમારની પૂછપરછ કરી.
ખાણકામ વિભાગનું કહેવું છે કે, ટ્રક મુફફસિલ પોલીસ સ્ટેશનના PTC ધનંજય કુમારને સોંપવામાં આવી હતી અને રસીદ પણ આપવામાં આવી હતી. જોકે, સ્ટેશન ઇન્ચાર્જનો દાવો છે કે, તેઓ એ ટ્રક વિશે કંઈ પણ જાણતા નથી. સ્ટેશન ઇન્ચાર્જના મતે, ખાણકામ વિભાગે આ મામલે FIR પણ દાખલ નહોતી કરાવી.
હવે, આ કેસમાં ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જો ટ્રક પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી, તો તે ક્યાં ગઈ? જો તે પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી, તો તેની દેખરેખ કોણ કરી રહ્યું હતું, જો સ્ટેશન ઇન્ચાર્જને આ વિશે જાણ નથી તો, પોલીસ સ્ટેશન પરિસરમાં પાર્ક કરેલા વાહનો કોની જવાબદારી પર ત્યાં હતા? અને બીજો પ્રશ્ન એ પણ છે કે, 18 પૈડાંવાળી ટ્રક પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળી હોય તો કોઈને ખબર કેમ ન પડી?
આ બાબત અંગે, પોલીસ અધિક્ષક સૈયદ ઇમરાન મસૂદે જણાવ્યું હતું કે, લગભગ એક મહિના પહેલા, ખાણકામ વિભાગે મુફફસિલ પોલીસ સ્ટેશનને એક ટ્રક સોંપી હતી, અને તે ટ્રક ગુમ છે. સ્ટેશન ઇન્ચાર્જ અને ખાણકામ અધિકારીને બોલાવીને તેના વિશે પૂછપરછ કરવામાં આવી છે. તપાસ માટે હેડક્વાર્ટર DSPના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી છે, અને તેમને 3 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા કહેવામાં આવ્યું છે. ખાણકામ વિભાગને FIR દાખલ કરાવવા સૂચના આપવામાં આવી છે. પોલીસ ગુમ થયેલ ટ્રકને શોધવા માટે પ્રયાસો કરી રહી છે. આ કેસમાં કોઈ પણ દોષી હશે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

