- National
- ઝારખંડ વિધાનસભા ઘેરાવ: વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ, ભાજપના નેતાઓ પણ વિરોધમાં જોડાયા
ઝારખંડ વિધાનસભા ઘેરાવ: વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ, ભાજપના નેતાઓ પણ વિરોધમાં જોડાયા
ઝારખંડના રાંચીમાં JPSC અને JSSC પરીક્ષાઓમાં ગડબડના વિરોધમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ વિધાનસભા નજીક પહોંચી ગયા હતા. ત્યાં જ ધરણા શરૂ કરી દેતા પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા લાઠીચાર્જ કર્યો હતો. સામે પક્ષે વિદ્યાર્થીઓ દ્વારા પણ પાણીની બોટલો અને ચંપલો ફેંકવામાં આવી હતી.
પોલીસે જ્યારે પ્રદર્શનકારીઓને કાંટાળા તારના બેરિકેડિંગ અને વોટર કેનન દ્વારા રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ બેરિકેડિંગ પર ચડીને નાચતા નજરે પડ્યા હતા.
સુરક્ષા વ્યવસ્થાને પગલે વિધાનસભાની ચારેય તરફ 6 લેયરની સુરક્ષા છાવણી ખડકી દેવામાં આવી છે અને સમગ્ર વિસ્તાર પર CCTV કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ, છેલ્લા 9 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થી નેતા દેવેન્દ્રનાથ મહતો એમ્બ્યુલન્સમાં બેસીને આ વિધાનસભા માર્ચમાં સામેલ થયા હતા.
https://twitter.com/ANI/status/2086725834904051892
આ તરફ ભાજપના ધારાસભ્યો પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં મુખ્યમંત્રી આવાસ સામે ધરણા પર બેસી ગયા હતા, જેમને બાદમાં પોલીસે ત્યાંથી હટાવી દીધા હતા. વિદ્યાર્થીઓ ઝારખંડ PSC અને SSCની પરીક્ષાઓ રદ્દ કરવાની માંગ સાથે છેલ્લા 17 દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે, જેમાં 6 વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા છે.

છેલ્લા દોઢ કલાકથી હજારો વિદ્યાર્થીઓ વિધાનસભાનો ઘેરાવ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. લાઠીચાર્જ બાદ ભીડ વિખેરાઈ ગઈ હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે વોટર કેનનનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો.
પોલીસના લાઠીચાર્જમાં અનેક વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. કોઈના હાથમાં તો કોઈના પગમાં વાગ્યું છે. પોલીસ કાર્યવાહી બાદ વિદ્યાર્થીઓ વિખેરાઈ ગયા હતા, જ્યારે કેટલાક ઉત્તેજિત યુવાનો પોલીસની બસ પર પણ ચડી ગયા હતા.

વિધાનસભા નજીક પોલીસે વિદ્યાર્થીઓને દોડાવી-દોડાવીને ફટકાર્યા હતા. લાઠીઓ વરસતા જ વિદ્યાર્થીઓ શું અમે આતંકવાદી છીએ? તેવા આક્રોશભર્યા પોકારો પાડતા જોવા મળ્યા હતા. ઘટનાસ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આખા રસ્તા પર વિદ્યાર્થીઓના ચંપલો વેરવિખેર પડેલા જોવા મળતા હતા.
લાઠીચાર્જ અંગે એક દેખાવકારે જણાવ્યું, પોલીસે બેરિકેડિંગ પાસે શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કર્યો છે. નિયમ મુજબ લાઠીનો ઉપયોગ માત્ર કમરની નીચે થવો જોઈએ, પરંતુ તેમણે અમારા માથા, હાથ, ચહેરા અને શરીરના અન્ય ભાગો પર પણ ઘા ઝીંક્યા છે. આ સરકારનું બેવડું વલણ છતું કરે છે.
પોલીસના મારથી માથાના ભાગે ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થી વિક્રમ કુમારે પોતાનો રોષ ઠાલવતા કહ્યું, હેમંત સોરેન જી, તમારે આવું નહોતું કરવું જોઈતું. અમે એકદમ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા, કોઈ ગાળાગાળી કે હિંસા નહોતી કરી. છતાં અચાનક પોલીસે લાઠીચાર્જ કરી દીધો. આ બિલકુલ યોગ્ય નથી.
આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ હાથમાં બેનરો લઈને પહોંચ્યા હતા. જેના પર લખ્યું હતું— બહેરા કાનોને સંભળાવવા માટે ધમાકાની જરૂર હોય છે, JSSC CGL પરીક્ષા વિલંબ વગર રદ્દ કરો અને સમગ્ર મામલે CBI તપાસ સોંપો.

'વિધાનસભા ઘેરાવ' માર્ચ કરી રહેલા વિદ્યાર્થીઓને વિખેરવા પોલીસે વોટર કેનનથી પાણીનો મારો ચલાવ્યો હતો. આ દરમિયાન એક વિદ્યાર્થી પોલીસ બેરિકેડિંગ પર ચડીને નાચવા લાગ્યો હતો. વિધાનસભાના 2 કિલોમીટરના વિસ્તારમાં વોટર કેનન તૈનાત કરી દેવાયા છે અને પરિસ્થિતિને પહોંચી વળવા અન્ય જિલ્લાઓમાંથી પણ વધારાનો પોલીસ કાફલો બોલાવી લેવાયો છે.
https://twitter.com/ANI/status/2086710252289098081
'વિધાનસભા ઘેરાવ' માર્ચમાં સામેલ વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતોએ અપીલ કરતા કહ્યું, હું તમામ વિદ્યાર્થીઓને શિસ્ત જાળવી રાખવા વિનંતી કરું છું. આજે હેમંત સોરેનનો જન્મદિવસ છે. હું નથી ઈચ્છતો કે વિદ્યાર્થીઓ આજે એવું કંઈ કરે જેનાથી દિલ્હીના જંતર-મંતર જેવા કોઈ અણબનાવ કે અપ્રિય ઘટના ઘટે. અહીં કોઈ રક્તપાત ન થવો જોઈએ, બધું શાંતિપૂર્ણ રહેવું જોઈએ.

વિદ્યાર્થીઓના આંદોલનને સમર્થન આપતા ઝારખંડ ભાજપના પ્રમુખ આદિત્ય સાહૂના નેતૃત્વમાં સીએમ હાઉસ બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ ધરણામાં ઝારખંડના પ્રથમ મુખ્યમંત્રી બાબૂલાલ મરાંડી, ધારાસભ્ય સી.પી. સિંહ, નીરા યાદવ અને નવીન જાયસવાલ સહિતના વરિષ્ઠ નેતાઓ જોડાયા હતા. ભાજપે આ મામલે મુખ્યમંત્રી હેમંત સોરેન પાસે તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે.

