- National
- વાર્ષિક આવક રૂ. 237 કરોડ, ખર્ચ 91 કરોડ... જાણો રામ મંદિર ટ્રસ્ટના ખાતામાં કેટલા રૂપિયા છે
વાર્ષિક આવક રૂ. 237 કરોડ, ખર્ચ 91 કરોડ... જાણો રામ મંદિર ટ્રસ્ટના ખાતામાં કેટલા રૂપિયા છે
બુધવારનો દિવસ રામ મંદિર અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ માટે મહત્ત્વપૂર્ણ હતો. ટ્રસ્ટમાં 3 નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી, અને નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને તેના પ્રથમ CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ દરમિયાન ટ્રસ્ટની બેઠક દરમિયાન રામ મંદિરના નિર્માણ અને ટ્રસ્ટની નાણાકીય સ્થિતિ અંગે એક મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું. અહેવાલો અનુસાર, 2025-26 નાણાકીય વર્ષ માટે ટ્રસ્ટની કુલ આવક ₹237 કરોડ હતી, જ્યારે નિયમિત ખર્ચ આશરે ₹91 કરોડ થયો. આ ઉપરાંત મંદિર નિર્માણ કાર્યો પર મૂડી ખર્ચ કુલ ₹425 કરોડ થયો.
ટ્રસ્ટના મહામંત્રી સ્વામી ગોવિંદદેવ ગિરીએ આવક અને ખર્ચ અંગેના આ આંકડા રજૂ કર્યા હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે 31 માર્ચ, 2026 સુધીમાં ટ્રસ્ટ પાસે કુલ ₹1882 કરોડ હતા. તો ગયા વર્ષે રજૂ કરાયેલા આંકડાઓ મુજબ 2024-25 નાણાકીય વર્ષ માટે રામ મંદિર ટ્રસ્ટની કુલ આવક ₹327 કરોડ હતી, જે રોકડ, ચેક, RTGS અને ઓનલાઈન ચૂકવણી સહિત વિવિધ માધ્યમો દ્વારા કરવામાં આવી હતી.
ટ્રસ્ટના ત્રણ નવા સભ્યો કોણ છે?
રામ મંદિર ટ્રસ્ટમાં નિયુક્ત થયેલા ત્રણ નવા સભ્યોમાં મદન મોહન પાંડે, મહેશ ભાગચંદકા અને ડૉ. નિર્મલા યાદવનો સમાવેશ થાય છે. 75 વર્ષીય મદન મોહન પાંડે અયોધ્યાના રહેવાસી છે અને લાંબા સમયથી રામ જન્મભૂમિ કેસ સાથે વકીલ તરીકે સંકળાયેલા રહ્યા છે. અહેવાલો અનુસાર 1990 થી 2019 સુધી, તેમણે અલ્લ્હાબાદ હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીમાં કેસનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ અયોધ્યામાં રામ કથા યોજના તાલીમ કેન્દ્રના આશ્રયદાતા અને શ્રી હરિ સત્સંગ સમિતિના ઉપપ્રમુખ પણ છે.
તો, 64 વર્ષીય મહેશ ભાગચંદકા દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર છે. તેઓ હિન્દુત્વના પ્રયોગ પુસ્તકના લેખક પણ છે. તેમણે ભૂમિ પૂજનથી લઈને રામ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહના કાર્યક્રમોમાં પણ યોગદાન આપ્યું છે. તેમણે 'શ્રી રામ વન ગમન યાત્રા' સાથે સંકળાયેલા 222 પવિત્ર તીર્થસ્થળો પર 'શ્રી રામ સ્તંભો'ની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત, તેઓ વિશ્વ હિન્દુ આર્થિક મંચની કાર્યકારી સમિતિના સભ્ય છે.
ટ્રસ્ટના ત્રીજા સભ્ય ડૉ. નિર્મલા યાદવ છે, જે ઉત્તર પ્રદેશના શિકોહાબાદના રહેવાસી છે. 66 વર્ષીય ડૉ. નિર્મલા પાસે ડબલ સ્નાતકની ડિગ્રી (હિન્દી અને સંસ્કૃતમાં) છે અને દસ્તાવેજ મુજબ, કોલેજના આચાર્ય તરીકે 19 વર્ષનો અનુભવ છે. આ ઉપરાંત, તેઓ લગભગ 15 વર્ષ સુધી યુનિવર્સિટીની કાર્યકારી પરિષદના સભ્ય પણ રહ્યા છે.
ટ્રસ્ટના પ્રથમ CEO કોણ છે?
ભૂતપૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રથમ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રથમ CEO તરીકે રામ મંદિરમાં વહીવટથી લઇને સુરક્ષા, નાણાકીય વ્યવસ્થાપન અને શ્રદ્વાળુંના દર્શનની વ્યવસ્થાને વધુ પારદર્શી બનાવવાની તેમની જવાબદારી રહેશે.

