- National
- મોટા પરિવર્તન નાના-નાના, સ્થાનિક અને અવિરત પ્રયાસોથી જ શરૂ થાય છે
મોટા પરિવર્તન નાના-નાના, સ્થાનિક અને અવિરત પ્રયાસોથી જ શરૂ થાય છે
(ઉત્કર્ષ પટેલ)
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું તાજેતરના ‘મન કી બાત’માં આપેલું નિવેદન “મોટા પરિવર્તન નાના નાના, સ્થાનિક અને અવિરત પ્રયાસોથી જ શરૂ થાય છે” એ એક એવો સંદેશો છે જે આજના સમયમાં પૂર્ણતઃ બંધબેસતો અને પ્રેરણાદાયી છે. પર્યાવરણ સંરક્ષણ, ખેતીમાં નવીનતા, જળસંરક્ષણ અને સમાજના વિકાસ જેવા ક્ષેત્રોમાં વ્યક્તિગત અને સ્થાનિક સ્તરે થતા નાના પગલાંઓ જ રાષ્ટ્રીય સ્તરે મોટા બદલાવનું કારણ બને છે.

આ વિચારને વધુ ન્યાય આપે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા શતાબ્દી વર્ષમાં પ્રમુખ વિષય ‘પંચ પરિવર્તન’ નો સંકલ્પ. આ પંચ પરિવર્તન સાક્ષિપ્ત માં સમજીએ તો...
- સામાજિક સમરસતા: જાતિ, વર્ગ, ભાષા કે વિસ્તારના ભેદ મિટાવી સમાજમાં એકતા અને સમાનતાની ભાવના નું જાગરણ કરવું.
- કુટુંબ પ્રબોધન: કૌટુંબિક મૂલ્યોને મજબૂત કરી પરિવારને સમાજનું મજબૂત એકમ બનાવવું.
- પર્યાવરણ સંરક્ષણ: વૃક્ષારોપણ, જળ જમીનનું રક્ષણ અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ જીવનશૈલી અપનાવવી.
- સ્વદેશી આચરણ / સ્વબોધ: સ્વઆધારિત, ભારતીય મૂલ્યો પર આધારિત જીવનશૈલી અને આત્મનિર્ભરતા.
- નાગરિક કર્તવ્ય: બંધારણીય અને સામાજિક જવાબદારીઓને નિભાવી સક્રિય નાગરિક બનવું.
પ્રધાનમંત્રી મોદી નો સંદેશો અને સંઘનો "પંચ પરિવર્તન" સંકલ્પ એક જ દિશામાં નિર્દેશ કરે છે વ્યક્તિમાંથી શરૂ થતા નાના પરિવર્તનો સમાજ અને રાષ્ટ્રને બદલી શકે છે. એક વ્યક્તિ એક વૃક્ષ રોપે, પરિવારમાં મૂલ્યોનું પાલન કરે, સમાજમાં સમરસતા ફેલાવે, સ્વદેશી વસ્તુઓ અપનાવે અને નાગરિક તરીકે જવાબદારી નિભાવે આ દરેક નાનું કાર્ય પંચ પરિવર્તનના પાંચ મૂલ્યોને મજબૂત કરે છે.
આજે આપણા દેશને સુસંસ્કૃત વિકસિત ભારત બનાવવા માટે આવા સામૂહિક પ્રયાસોની જરૂર છે. કૂચ બિહારમાં વૃક્ષારોપણથી લઈને ગામડાંઓમાં ટપક સિંચાઈ અને કુદરતી ખેતી સુધી આ બધું પર્યાવરણ અને ખેતીના ક્ષેત્રે નાના પગલાંઓનું જીવંત ઉદાહરણ છે. જ્યારે આપણે પંચ પરિવર્તનને અપનાવીશું ત્યારે દેશ સેવાની નાની નાની લહેરો મળીને એક હરિયાળું, સમૃદ્ધ, સમરસ અને આત્મનિર્ભર સમૃદ્ધ ભારતનું નિર્માણ થશે.

આજથી જ ચાલો એક નાનો સંકલ્પ લઈએ: પોતાના પરિવારમાં આપણા મૂળ સંસ્કારો નવચેતન સિંચન કરવું , પર્યાવરણનું રક્ષણ કરવુ, સમાજમાં સમરસતા આવે તેવું વર્તન કરવું, સ્વદેશી અપનાવવુ અને નાગરિક કર્તવ્ય નિભાવવા. કારણ કે જેમ PM નરેન્દ્રભાઈ કહે છે નાના પ્રયાસોથી જ મોટું પરિવર્તન શક્ય છે અને પંચ પરિવર્તન આ પ્રયાસોને એક સુસંગત દિશા આપે છે.
આપણી એક નાનકડી સંયુક્ત પહેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સંજીવની બનશે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

