- National
- ભારતનો 'પ્લાન-B' તૈયાર: PM મોદીએ કહ્યું- સંકટ છે, પણ ગભરાવાની જરૂર નથી
ભારતનો 'પ્લાન-B' તૈયાર: PM મોદીએ કહ્યું- સંકટ છે, પણ ગભરાવાની જરૂર નથી
મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલા યુદ્ધે વૈશ્વિક સ્તરે ચિંતા વધારી છે. અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે 24માં દિવસમાં પ્રવેશી ચૂક્યો છે. આ દરમિયાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાને કારણે વિશ્વના અનેક દેશોમાં તેલ અને ગેસનું સંકટ ઘેરું બન્યું છે, ખાસ કરીને એવા દેશોમાં જે ઉર્જા આયાત પર નિર્ભર છે.
આ ગંભીર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં ખુલીને વાત કરી હતી. તેમણે યુદ્ધની અસરોની સાથે સાથે સરકારના 'પ્લાન-B' (વૈકલ્પિક યોજના) વિશે પણ વિગતવાર માહિતી આપી હતી.

વેસ્ટ એશિયાની સ્થિતિ ચિંતાજનક
વડાપ્રધાને જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયાની હાલત હાલમાં ચિંતાજનક છે. ભારતની ક્રૂડ ઓઈલ અને ગેસની જરૂરિયાતનો મોટો હિસ્સો આ વિસ્તારમાંથી આવે છે. યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર પડકારજનક બની છે. ભારતની વાત કરીએ તો ક્રૂડ, ગેસ અને ફર્ટિલાઇઝર્સની આયાત આ દેશોમાંથી થાય છે. ભારત તેની કુલ LPG જરૂરિયાતનો 60% હિસ્સો અહીંથી આયાત કરે છે. PM મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કોમર્શિયલ જહાજો પર હુમલો અને હોર્મુઝમાં અવરોધ સ્વીકાર્ય નથી. સરકાર ભારતીય જહાજોની સુરક્ષિત અવરજવર માટે સતત પ્રયાસો કરી રહી છે અને સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.
સરકારનો 'પ્લાન-B' કેવી રીતે કામ કરી રહ્યો છે?
તેલ અને ગેસના સંકટ વચ્ચે PM મોદીએ તે વ્યૂહરચનાનો ઉલ્લેખ કર્યો જેનાથી ભારતમાં સપ્લાય જળવાઈ રહ્યો છે. તેમણે નીચે મુજબના મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા:
- આયાતમાં વિવિધતા (Diversification): પહેલા ભારત માત્ર 27 દેશોમાંથી ઉર્જા આયાત કરતું હતું, જે હવે વધીને 41 દેશો થઈ ગયા છે.
- ક્રૂડ ઓઈલ રિઝર્વ: ભારત પાસે હાલમાં 53 લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઈલનો રિઝર્વ સ્ટોક છે, જેને વધારીને 65 લાખ મેટ્રિક ટન કરવાનો લક્ષ્યાંક છે.
- વૈકલ્પિક ઇંધણ: છેલ્લા એક દાયકામાં ઇથેનોલ ઉત્પાદનમાં જે તેજી આવી છે તેના કારણે પેટ્રોલની આયાત ઓછી કરવી પડી છે.
- સ્થાનિક ઉત્પાદન: દેશમાં એલપીજીનું ઉત્પાદન સતત વધારવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઉર્જા એ અર્થતંત્રની કરોડરજ્જુ છે. ભારત પર આ સંકટની અસર ન્યૂનતમ થાય તે માટે અમે મજબૂત વ્યૂહરચના સાથે કામ કરી રહ્યા છીએ.
તેલ-ગેસ ઉપરાંત યુદ્ધની અસર ખાતરની આયાત પર પણ પડી છે. જોકે, PM મોદીએ ખેડૂતોને આશ્વાસન આપતા કહ્યું કે ખરીફ સીઝનની વાવણી માટે ખાતરની પૂરતી વ્યવસ્થા છે.
તેમણે કોરોનાકાળનું ઉદાહરણ આપતા યાદ અપાવ્યું કે, જ્યારે વિશ્વમાં ખાતરની એક ગુણી (બેગ) 3,000 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી, ત્યારે પણ ભારત સરકારે ખેડૂતોને તે 300 રૂપિયામાં ઉપલબ્ધ કરાવી હતી. ખાતરની આયાતમાં પણ હવે વિવિધ દેશો સાથે જોડાણ કરવામાં આવ્યું છે જેથી કોઈ એક ક્ષેત્ર પર નિર્ભરતા ન રહે.

રાજ્ય સરકારોને અપીલ
PM મોદીએ રાજ્ય સરકારોને વિનંતી કરી છે કે આવા સમયે સંગ્રહખોરી કે કાળાબજાર કરનારા તત્વો પર કડક દેખરેખ રાખવામાં આવે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

