- National
- PM મોદીની અપીલ કેમ માનવી જોઇએ, જાપાન, જર્મનીના દાખલાથી સમજો
PM મોદીની અપીલ કેમ માનવી જોઇએ, જાપાન, જર્મનીના દાખલાથી સમજો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલની બચત કરવા, સોનું નહીં ખરીદવા સહિતના 7 ઉપાયો કરીને હાલના તેલ-ગેસના સંકટ વચ્ચે વિદેશી હુંડિયામણ બચાવવા માટે અપીલ કરી છે. સરકાર ધારે તો પોતે નિયંત્રણો મૂકી શકે છે પરંતુ તેમ કર્યું નથી. વડાપ્રધાને માત્ર અપીલ કરી છે. શું ભારત પર કોઇ મોટું આર્થિક સંકટ આવવાનું છે કે પછી આગોતરા આયોજન તરીકે આ કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ શૈલીનો અભ્યાસ કરો તો ખબર પડે કે તેઓ ખૂબ જ દૂરંદેશી નિર્ણયો લે છે. તેની અસર તરત ખબર પડતી નથી પરંતુ લાંબા ગાળે તેના પરિણામો દેખાય છે. તે તેમના રાજકારણ પર પણ લાગુ પડે છે. હાલમાં આપણી પાસે 1 વર્ષ ચાલે તેટલું વિદેશી હુંડિયામણ છે. ઇરાન અમેરિકા યુદ્ધની સ્થિતિ પણ હવે સુધરી રહી છે. પરંતુ હજુ ટેન્શન જરૂર છે. પરંતુ આપણે આ સ્થિતિમાં નિરાંતે બેસી શકીએ નહીં. હવે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે અપીલો કરી છે તેના સંદર્ભમાં આપણે બીજા કેટલાક દેશોમાં ઇતિહાસમાં નોંધાયેલા આવા દાખલા જોઇએ.

1. જાપાન :
વર્ષ 2011માં ફુકુશિમા પરમાણુ દુર્ઘટના પછી જાપાનમાં વીજળીનું ગંભીર સંકટ ઊભું થયું. જાપાનમાં મોટાભાગની વીજળી પરમાણુ પ્લાન્ટથી પેદા કરાય છે. દુર્ઘટના પછી સરકારે અભિયાન શરૂ કર્યું અને લોકોને: AC ઓછું ચલાવવા, ઘરે વીજળી બચાવવા, ઓફિસોમાં વીજળી બચાવવા અપીલ કરી. પરિણામે ટોક્યો વિસ્તારમાં વીજળીની માંગમાં લગભગ 15-20% ઘટાડો નોંધાયો. આ પછી જાપાન દુનિયાના સૌથી એનર્જી એફિશિયન્ટ દેશોમાં સામેલ બન્યો.
2. જર્મની
રશિયા-યુક્રેન યુદ્ધ પછી યુરોપમાં ગેસનું મોટું સંકટ ઊભું થયું. જર્મનીએ લોકોને: હીટિંગ ઓછું રાખવા,ગરમ પાણી ઓછું વાપરવા,વીજળી બચાવવા અપીલ કરી. પરિણામે ગેસ વપરાશમાં લગભગ 15-20% ઘટાડો નોંધાયો અને યુરોપને મોટા બ્લેકઆઉટથી બચાવવામાં મદદ મળી.

3. યુએસએ :
1973ના ઓઇલ ક્રાઇસિસ દરમિયાન અમેરિકામાં પેટ્રોલની અછત સર્જાઈ. ત્યારે રાષ્ટ્રપતિ જિમી કાર્ટરે લોકોને ઇંધણ બચાવવાની અપીલ કરી.
સરકારે: ગાડીઓની સ્પીડ લિમિટ 55 માઇલ પર અવર કરી દીધી, ઉર્જા બચાવવાના નિયમો લાવ્યા,કાર પૂલિંગ અભિયાન શરૂ કર્યા. પરિણામે અમેરિકાની કારોની સરેરાશ માઇલેજ લગભગ 13 થી વધીને 27 સુધી પહોંચી. જેને કારણે પેટ્રોલ ઓછું વપરાવા લાગ્યું.
જ્યારે બચત ન થાય ત્યારે શું થાય?
શ્રીલંકાની હાલત બગડી
વર્ષ 2022માં શ્રીલંકાએ સમયસર ઇંધણ બચત અને આયાત નિયંત્રણ જેવા પગલાં લીધા નહોતા. દેશ પાસે ડોલર ખૂટી ગયા,પેટ્રોલ માટે લાંબી લાઇનો લાગી,10-12 કલાક વીજ કાપ પડ્યા, મોંઘવારી 50%થી ઉપર પહોંચી ગઈ. આ ઘટનાએ દુનિયાને બતાવ્યું કે ઊર્જા આયાત પર વધુ નિર્ભરતા કેટલું જોખમી બની શકે. ત્યાં લોકોએ બળવો કરી દીધો.

પાકિસ્તાન, અર્જેન્ટિના, ઇજિપ્ત સહિતના બીજા દેશોમાં વાંરવાર વિદેશી હુંડિયામણની ક્રાઇસિસ સર્જાય છે અને બીજા દેશો પાસેથી ભીખ માગવા મજબૂર બનવું પડે છે.
કટોકટીના સમયમાં આવા અભિયાનની લાંબી અસર થાય છે
એક વાર કટોકટીના સમયમાં આપણને ઉર્જાની બચતની ટેવ પડી જાય તો તેની અસર લાંબાગાળાની થાય છે. દેશનો લાંબા ગાળા સુધી તેનો ફાયદો થાય છે. પેટ્રોલ-ડિઝલની ખપત જો ઓછી કરવામાં આવે અને તેને બદલે સોલાર કે બેટરીની વાહનોનો ઉપયોગ કરવામાં આવે તો દેશમાં પ્રદૂષણ તો ઓછું થશે જ સાથે પેટ્રોલ-ડિઝલ પર નિર્ભરતા ઘટશે. આ ઉપરાંત વિદેશી હુંડિયામણ પણ બચશે.
એટલે તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલ કરેલી અપીલના સમય અને બીજી બાબતો સાથે અસહમત હો છતાંય બચત કરવામાં તો તમારો અને દેશનો ફાયદો જ છે. આપણે કંઇ મોટું કરવાનું નથી. બસ નાના નાના પગલાથી મોટો ફેરફાર આવી શકે છે.

