- National
- '25 વર્ષની ઉંમરે દીકરીઓ ચાર જગ્યાએ મોં મારી ચૂકી હોય છે...' કહેનાર અનિરુદ્ધાચાર્ય વિરુદ્ધ કેસ દાખલ
'25 વર્ષની ઉંમરે દીકરીઓ ચાર જગ્યાએ મોં મારી ચૂકી હોય છે...' કહેનાર અનિરુદ્ધાચાર્ય વિરુદ્ધ કેસ દાખલ
મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાના મામલે વૃંદાવનના કથાવાચક અનિરુદ્ધાચાર્યની મુશ્કેલીઓ વધી ગઈ છે. કોર્ટે તેના વિરુદ્ધ ફરિયાદ (પરિવાદ) દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
આ મામલો અખિલ ભારતીય હિંદુ મહાસભા, આગ્રાના જિલ્લા અધ્યક્ષ મીરા રાઠોડે કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેને સીજેએમ કોર્ટે સ્વીકારીને ફરિયાદ નોંધવા કહ્યું છે.

ઓક્ટોબર મહિનામાં કથાવાચક અનિરુદ્ધાચાર્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેણે દીકરીઓ પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ‘આજકાલની દીકરીઓના લગ્ન 25 વર્ષની ઉંમરે થાય છે, ત્યાં સુધીમાં તેઓ ઘણી જગ્યાએ મોં મારી ચૂકી હોય છે.’ આ નિવેદનને કારણે મોટો વિવાદ સર્જાયો હતો અને ઘણો હોબાળો થયો હતો.
આ મામલે વૃંદાવન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ આપવામાં આવી હતી, પરંતુ પોલીસે કેસ દાખલ કર્યો ન હતો. હવે આ મામલે 1 જાન્યુઆરીના રોજ કોર્ટમાં ફરિયાદીના નિવેદન નોંધવામાં આવશે.
અરજદાર મીરા રાઠોડે જણાવ્યું કે ‘આ પ્રકારનું નિવેદન આપણા સાધુ-સંતોને શોભતું નથી. તેમના નિવેદન વિરુદ્ધ મેં વૃંદાવન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ. ત્યારબાદ અમે કોર્ટનો સંપર્ક કર્યો, જ્યાં અમારી અરજી સ્વીકારવામાં આવી છે. હવે કોર્ટ નિર્ણય કરશે. અમારી માંગ છે કે કથાવાચક અનિરુદ્ધાચાર્ય મહારાજ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે અને તેમને જેલમાં મોકલવામાં આવે.’

તેમણે આગળ કહ્યું કે, ‘જ્યારથી મેં અરજી દાખલ કરી છે ત્યારથી મારા વાળ ખુલ્લા છે. મેં પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી કેસ દાખલ નહીં થાય ત્યાં સુધી હું વાળ નહીં બાંધું. અને હવે કદાચ વાળ બાંધવાનો સમય આવી ગયો છે.’
જ્યારે આ નિવેદન વિશે અનિરુદ્ધાચાર્યને પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું હતું કે તેના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેણે સ્પષ્ટતા કરી હતી કે આ વાત તેમણે સ્ત્રી અને પુરુષ બંને માટે કહી હતી. તેણે કહ્યું હતું કે જો સ્ત્રી ઘણા પુરુષો સાથે સંબંધ રાખે છે, તો તે ચારિત્ર્યવાન હોઈ શકે નહીં, અને જે પુરુષ ઘણી સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે, તે વ્યભિચારી છે. તેમણે દાવો કર્યો હતો કે આ મામલાને તોડી-મરોડીને લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.

