- National
- 40 લાખની લાંચ કેસમાં CBIએ પકડેલા IRS અધિકારીને કોર્ટે મુક્ત કરી દીધો, રંગેહાથે પકડાયો હતો
40 લાખની લાંચ કેસમાં CBIએ પકડેલા IRS અધિકારીને કોર્ટે મુક્ત કરી દીધો, રંગેહાથે પકડાયો હતો
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST)ના એડિશનલ કમિશનર તરીકે ફરજ બજાવતા 2009 બેચના IRS અધિકારી વિનય કુમાર કન્હેતી, CGST સુપરિન્ટેન્ડેન્ટ રાકેશ કુમાર સિન્હા અને એક ખાનગી વ્યક્તિ નરેન્દ્ર રાજપૂતની લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
CBI એ 26 ઓગસ્ટના રોજ CGST સુપરિન્ટેન્ડેન્ટ રાકેશ કુમાર સિન્હા સામે એક કેસ નોંધ્યો હતો. ફરિયાદ કરનાર વ્યક્તિની પથ્થરની ખાણકામ કરતી પેઢી સંબંધિત GST/રોયલ્ટીનો મુદ્દો ઉકેલી આપવાના બદલામાં રૂ. 1.50 કરોડની ગેરકાયદે માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો.
વાતચીત અને તોડબટ્ટા બાદ આ લાંચની રકમ ઘટાડીને રૂ. 40 લાખ નક્કી કરવામાં આવી હતી. આરોપી સરકારી અધિકારીઓએ એક ખાનગી વ્યક્તિ મારફતે આ લાંચ લેવાની ગોઠવણ કરી હતી અને તે મુજબ ફરિયાદીને રકમ ચૂકવવા માટે નિર્દેશ આપ્યો હતો.

CBI એ છટકું ગોઠવીને રૂ. 40 લાખની લાંચ સ્વીકારતા તે ખાનગી વ્યક્તિને રંગેહાથ ઝડપી લીધો હતો. આ લાંચ સ્વીકારવામાં આવી હોવાની બાબતનો પાછળથી CGST સુપરિન્ટેન્ડેન્ટ રાકેશ કુમાર સિન્હા અને એડિશનલ કમિશનર વિનય કુમાર કન્હેતીએ પણ સ્વીકાર કર્યો હતો. આરોપીઓના સ્થળો પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન CBI ને રૂ. 43 લાખની રોકડ અને અંદાજે રૂ. 90 લાખની કિંમતના દાગીના મળી આવ્યા હતા.
CBI ACB મુંબઈની રિમાન્ડ અરજી પર સુનાવણી કરતી વખતે ઠાણેની સ્પેશિયલ કોર્ટે CBI ની વધુ કસ્ટોડિયલ પૂછપરછની માંગને ફગાવી દીધી હતી અને કેસના આરોપી નંબર 3 તેમજ CGST ના એડિશનલ કમિશનર IRS અધિકારી વિનય કુમાર કન્હેતીની ધરપકડને ગેરકાયદે ગણાવી હતી.
CBI એ સુનિયોજિત ભ્રષ્ટાચારનો આક્ષેપ કરીને આરોપીઓના 5 દિવસના પોલીસ રિમાન્ડ માંગ્યા હતા. બીજી તરફ, બચાવ પક્ષના વકીલોએ ધરપકડની કાયદેસરતા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે સર્વોચ્ચ અદાલતના મહત્ત્વના ચુકાદાઓ—વિહાન કુમાર વિરુદ્ધ હરિયાણા રાજ્ય અને મિહિર રાજેશ શાહ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય નો સંદર્ભ આપ્યો હતો. તેમણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે ધરપકડના કારણો અને આધારની આરોપીને લેખિત જાણ કરવી ફરજિયાત છે અને ધરપકડ કાયદેસર છે કે નહીં તેની તપાસ કરવી મેજિસ્ટ્રેટની કાનૂની ફરજ છે.
ધરપકડના મેમો અને કેસ ડાયરીની ચકાસણી કર્યા બાદ કોર્ટે નોંધ્યું હતું કે ધરપકડના રેકોર્ડથી એ સાબિત થતું નથી કે આરોપીઓને તેમની ધરપકડના કારણો યોગ્ય રીતે જણાવવામાં આવ્યા હતા અને તેઓ તે સમજી શક્યા હતા. કોર્ટે એ પણ નોંધ્યું કે આરોપીઓના સગા-સંબંધીઓને પણ લેખિતમાં જાણ કરવામાં આવી નહોતી. પરિણામે, કોર્ટે ત્રણેય આરોપીઓની ધરપકડને ગેરકાયદે ઠેરવી હતી.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે કસ્ટડીમાં રાખીને વધુ પૂછપરછ કરવાની કોઈ વાજબી જરૂરિયાત જણાતી નથી, ખાસ કરીને જ્યારે કથિત લાંચની રકમ જપ્ત કરી લેવામાં આવી છે અને આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન પણ કબજે કરી લેવાયા છે. તેથી, CBI ની રિમાન્ડ અરજી ફગાવી દેવામાં આવી હતી.
અદાલતે ત્રણેય આરોપીઓને રૂ. 15,000 ના પર્સનલ બોન્ડ (PR બોન્ડ) અને તેટલી જ રકમના જામીન પર તુરંત મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ તપાસ અધિકારીઓ જ્યારે પણ બોલાવે ત્યારે તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

