- National
- શું જયપુરમાં ગુલાબી રંગના કારણે હાથીએ ગુમાવ્યો હતો જીવ? મોડેલને બેસાડીને રશિયન ફોટોગ્રાફરે કર્યું હત...
શું જયપુરમાં ગુલાબી રંગના કારણે હાથીએ ગુમાવ્યો હતો જીવ? મોડેલને બેસાડીને રશિયન ફોટોગ્રાફરે કર્યું હતું ફોટોશૂટ
જયપુરમાં એક રશિયન ફોટોગ્રાફર દ્વારા હાથી પર કરવામાં આવેલું ફોટોશૂટ તાજેતરમાં વિવાદમાં છે. વિવાદ એટલે વધ્યો કારણ કે ગયા મહિને હાથીનું મૃ*ત્યુ થઈ ગયું હતું. હાથીને ગુલાબી રંગથી રંગીને તેની ઉપર એક મોડેલને બેસાડીને ફોટોશૂટમાં કરવામાં આવ્યું હતું. જેના પર લોકોએ ભારે વાંધો ઉઠાવ્યો હતો. શૂટના ફોટા વાયરલ થતા જ, સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપવા લાગ્યા હતા.
ચંચલ નામની હાથિણી 65 વર્ષની હતી અને ગયા મહિને તેનું મૃ*ત્યુ થયું હતું. તો, આ મામલે જયપુર હાથી સંઘે સ્પષ્ટતા જાહેર કરી છે, જેમાં જણાવ્યું છે કે મૃ*ત્યુ કુદરતી કારણોસર થયું છે. હાથી ગામ વિકાસ સમિતિના અધ્યક્ષ બલ્લુ ખાને આ બાબતે કહ્યું કે હાથીને ગુલાલનો ઉપયોગ કરીને રંગવામાં આવ્યો હતો, જેને થોડા સમય બાદ હટાવી દેવામાં આવ્યો હતો. આ પ્રાકૃતિક રંગ હતો. પર્યાવરણ કાર્યકરોએ આને ક્રૂરતા ગણાવતા કાર્યવાહી કરવાની માંગ કરી છે.
https://www.instagram.com/p/DWHQ3rClhEN/?utm_source=ig_web_copy_link
ઘણા લોકોએ ફોટોગ્રાફ્સની સુંદરતાની પ્રશંસા કરી હતી, પરંતુ મોટી સંખ્યામાં વપરાશકર્તાઓએ હાથી સાથે કરવામાં આવેલા વર્તન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે જ, વન્યજીવનના ઉપયોગ અને પ્રાણી સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઉભા થયા હતા. એક યુઝરે લખ્યું કે, તસવીરોને સુંદર બનાવવા માટે હાથીને તકલીફ આપવી એ ખોટું છે; તેના બદલે આ હેતુ માટે AIનો ઉપયોગ કરી શકાતો હતો. તો બીજા યુઝરે કહ્યું કે, ઓર્ગેનિક રંગો હોવાનો અર્થ એ નથી કે આખા પ્રાણીને રંગી દેવામાં આવે; હાથીઓની ત્વચા સંવેદનશીલ હોય છે.
પ્રોફેશનલ ફોટોગ્રાફર જુલિયા બુરુલેવાએ કહ્યું કે આ શૂટિંગ માટે ભારતની તેમની યાત્રા સંપૂર્ણપણે યોગ્ય હતી. મેં જયપુરમાં 6 અઠવાડિયા ગાળ્યા. પહેલા જ અઠવાડિયા દરમિયાન જ્યારે મારું મન શહેરના રંગો અને દૃશ્યોથી ભરાઇ ગયું. ત્યારે આ વિચાર આવ્યો. હું તેને મારા પ્રોજેક્ટમાં સામેલ કર્યા વિના રહી શકતી નહોતી.
તેમણે કહ્યું કે અહીં તહેવારો અને સમારંભો માટે હાથીઓને શણગારવામાં આવે છે. સ્થાનિકો તેમને વિવિધ રંગોથી રંગે છે. મેં એક સોલિડ બ્રાઇટ ગુલાબી રંગ પસંદ કર્યો, જે રાજસ્થાનમાં સૌથી લોકપ્રિય છે. તૈયારીઓ ખૂબ પડકારજનક હતી. મેં ઘણા હાથી ફાર્મ્સની મુલાકાત લીધી, જેથી સહયોગ કરી શકે તેવા વ્યક્તિઓ મળી શકે. હું જે ફાર્મનો મેનેજર સૌથી સમજદાર લાગ્યો, ત્યાં હું ચાર વખત ગઇ, જેથી તેમને વિશ્વાસ થાય કે હું ગંભીર છું.
તેણે જણાવ્યું કે ફોટોશૂટ માટે લોકેશન શોધવું એ પણ એક પડકાર હતો. હેરિટેજ સાઇટ્સ, પરવાનગીઓ મેળવવી અને સરકારી પ્રક્રિયા. હું સવારે ઓટો-રિક્ષામાં નીકળી, ખાલી રસ્તા અને પરફેક્ટ મોર્નિંગ લાઇટની શોધ કરતી, આવી જગ્યા શોધતી જે જે સંરક્ષિત હેરિટેજ સાઇટ્સમાં સામેલ ન હોય. આખરે, મને જગ્યા મળી ગઇ જે ભગવાન ગણેશનું મંદિર હતું. તે શૂટિંગ માટે એકદમ આદર્શ હતું.
મોડેલ શોધવી પણ સરળ કાર્ય નહોતું. ભારત જેવા રૂઢિચુસ્ત સમાજમાં કોઈને અડધા કપડામાં અને ગુલાબી રંગમાં રંગાઇને શૂટ માટે તૈયાર કરવી મુશ્કેલ હતું. મેં ડઝનો મોડેલ્સને મેસેજ કર્યા, પરંતુ લગભગ બધી જ મોડેલોએ ના પાડી દીધી. ઘણાને આ કોન્સેપ્ટ ગમ્યો પણ તેમણે કહ્યું કે, આમારા પરિવારજનો તેને સમજી શકશે નહીં. પછી, મારી મુલાકાત યશસ્વી સાથે થઇ. તે ખરેખર બહાદુર અને હિંમતવાન હતી. તે ફોટોશૂટ માટે તૈયાર થઈ. ત્યારબાદ અમે ફેબ્રુઆરીમાં શૂટ પૂર્ણ કર્યું. જુલિયાએ જણાવ્યું કે હાથીને રંગવા માટે અમે ઓર્ગેનિક, લોકલ પેઇન્ટનો ઉપયોગ કર્યો હતો. જે તહેવારો દરમિયાન ઉપયોગમાં લેવાય છે. એટલે તે રંગ, પ્રાણીઓ માટે સંપૂર્ણપણે સુરક્ષિત હતો. તેમણે કહ્યું કે ઓર્ગેનિક રંગોથી હાથીને કોઈ નુકસાન થયું નહોતું.

