- Gujarat
- રંગોનો પર્વ માતમમાં ફેરવાયો: ધૂળેટીના દિવસે ગુજરાતમાં અલગ-અલગ ઘટનાઓમાં 24 લોકોએ જીવ ગુમાવ્યો
રંગોનો પર્વ માતમમાં ફેરવાયો: ધૂળેટીના દિવસે ગુજરાતમાં અલગ-અલગ ઘટનાઓમાં 24 લોકોએ જીવ ગુમાવ્યો
સમગ્ર દેશમાં જ્યારે આજે ચોથી માર્ચે ધૂળેટીના પર્વની ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી હતી, ત્યારે ગુજરાત માટે આ દિવસ ભારે સાબિત થયો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રંગે રમ્યા બાદ નદી કે તળાવમાં ન્હાવા પડેલા 24 જેટલા લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. સુરત, અમદાવાદ, નર્મદા અને રાજકોટ સહિતના વિસ્તારોમાં સર્જાયેલી આ દુર્ઘટનાઓએ અનેક પરિવારોના કુળદીપક બુઝાવી દીધા છે.
સુરત જિલ્લો: સૌથી વધુ 6 લોકોના મોત
સુરત જિલ્લામાં બે અલગ-અલગ ઘટનાઓમાં કુલ 6 લોકોએ જીવ ગુમાવ્યા છે.
માંગરોળ (પાનસરા ગામ): અહીં નદીમાં ન્હાવા પડેલા હેપ્પી સિંહ નામના યુવકને બચાવવા જતાં તેનો ભાઈ ચંદ્રભૂષણ અને મિત્ર સંજય પટેલ ત્રણેય ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્રણેય શ્રમિક પરિવારના હોવાનું જાણવા મળ્યું છે.
બારડોલી (બાબેન ગામ): મીંઢોળા નદીમાં ન્હાવા પડેલા 5 મિત્રોમાંથી 3 યુવાનોના મોત થયા છે, જ્યારે એકનો બચાવ થયો છે અને અન્ય એકની શોધખોળ હજુ જારી છે.
અમદાવાદ અને નર્મદામાં ૩-૩ મોત
અમદાવાદ (માંડલ): સીતાપુર ગામના ઝોલાસર તળાવમાં ધૂળેટી રમ્યા બાદ ન્હાવા પડેલા 5 બાળકોમાંથી 3ના ડૂબી જવાથી મોત થયા છે. ગ્રામજનોએ બે બાળકોને સમયસર બચાવી લીધા હતા.
નર્મદા: વડોદરાથી એસી રિપેરિંગના કામ અર્થે આવેલા ત્રણ યુવકો નર્મદા નદીમાં ન્હાવા પડ્યા હતા. એક મિત્રને બચાવવા જતાં અન્ય બે મિત્રો પણ નદીના વહેણમાં તણાઈ ગયા હતા.
અન્ય જિલ્લાઓમાં સર્જાયેલી દુર્ઘટનાઓ
અરવલ્લી: માલપુર અને ધનસુરા પંથકમાં કુલ 4 કિશોરોના ડૂબી જવાથી મોત થયા છે. માલપુરમાં ધોરણ 5 અને 6 માં ભણતા બે પિતરાઈ ભાઈઓના મોતથી આખું ગામ શોકમગ્ન બન્યું છે.
મહીસાગર (કોઠંબા): રાઘવના મુવાડા ગામે તળાવમાં ન્હાવા પડેલા 4 પૈકી 2 યુવાનોના મોત થયા છે, જ્યારે 2 ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે.
રાજકોટ (જામકંડોરણા): બેલા ગામની નદીમાં ન્હાવા ગયેલા બે સગીરો (13 વર્ષીય) ના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે.
મહેસાણા, દ્વારકા અને અમરેલી: મહેસાણાની કેનાલમાં 2 યુવાનો, દ્વારકાના કલ્યાણપુરમાં 1 કિશોર અને અમરેલીની શેત્રુંજી નદીમાં 1 યુવકનું મોત નીપજ્યું છે.
તંત્રની કાર્યવાહી
તમામ ઘટનાસ્થળો પર સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRFની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે અકસ્માતે મોતના ગુના નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

