- Politics
- ગુજરાત કોંગ્રેસના નેતા બોલ્યા- ‘એક માણસથી કોંગ્રેસ ન ચાલે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ...’
ગુજરાત કોંગ્રેસના નેતા બોલ્યા- ‘એક માણસથી કોંગ્રેસ ન ચાલે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ...’
ગુજરાતના રાજકારણમાં આગામી સમયમાં જાહેર થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, તેવા ટાણે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો હોવાની ઘટના ફરીથી સપાટી પર આવી છે. પૂર્વ કોર્પોરેટર અને હાલના મહિલા નગરસેવકના પતિ પ્રવીણ સોરાણીએ અત્યંત સ્ફોટક નિવેદન આપતા જણાવ્યું છે કે, ‘આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને ઝીરો સીટ મળશે. સોરાણીના આ દાવાથી રાજકીય વર્તુળોમાં નવી બહેસ છેડી દીધી છે. આ નિવેદન માત્ર એક ભવિષ્યવાણી નથી, પરંતુ પક્ષના કાર્યકરોમાં વ્યાપેલી હતાશાનું પ્રતિબિંબ પણ માનવામાં આવે છે.
પાર્ટીના નેતૃત્વ સામે ખુલ્લો મોરચો માંડતા સોરાણીએ આક્ષેપ કર્યો છે કે, ‘શહેર કોંગ્રેસ હાલમાં માત્ર અમુક નેતાઓની પેઢી બની ગઈ છે અને પાયાના કાર્યકરોને હડધૂત કરવામાં આવી રહ્યા છે.’ પ્રવીણ સોરાણીએ સોરાણીએ પોસ્ટમાં લખ્યું છે કે, શહેર પ્રમુખ જ્યાં મીટિંગો બોલાવે છે ત્યાં જૂના, પીઢ અને પાયાના કોંગ્રેસી કાર્યકરો આવવા જરાય રાજી નથી. જો શહેર પ્રમુખમાં સંગઠન ચલાવવાની શક્તિ ન હોય તો તેમણે તુરંત જ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. કોઈ એક માનણથી કોંગ્રેસ ન ચાલે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસને પોતાની પેઢી સમજે છે.

આ પ્રકારના આકરા નિવેદનોથી રાજકોટ કોંગ્રેસના બે ભાગલા પડી ગયા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. આ નિવેદનના જવાબમાં શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ તેને પક્ષની છબી ખરાબ કરવાનું ષડયંત્ર ગણાવીને કડક શિસ્તભંગના પગલાં લેવાની ખાતરી આપી છે.
આ વિવાદમાં માત્ર શહેર પ્રમુખ જ નહીં, પણ કોંગ્રેસના કદાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નામ પણ ઉછળ્યું છે. પ્રવીણ સોરાણીએ ગંભીર આરોપ લગાવ્યો છે કે રાજકોટ શહેર કોંગ્રેસ ઇન્દ્રનીલ રાજ્યગુરુના ઈશારે ચાલે છે અને તેઓ પક્ષને પોતાની ખાનગી માલિકીની પેઢી સમજી રહ્યા છે. સોરાણીએ જણાવ્યું કે, અમે કોંગ્રેસના સૈનિક છીએ, કોઈ વ્યક્તિના માણસ નથી, પરંતુ હાલની કાર્યપદ્ધતિ પક્ષને વિનાશ તરફ લઈ જઈ રહી છે.
સૌથી વધુ ચોંકાવનારી બાબત એ રહી કે સોરાણીએ પક્ષના કાર્યાલયને લઈને પણ જૂના ઘા ફરીથી તાજા કરી દીધા છે. તેમણે આરોપ લગાવ્યો અમને કોંગ્રેસ કાર્યાલયથી હડધૂત કરીને કાઢવામાં આવ્યા હતા. અતુલ રાજાણી જ્યારે પ્રમુખ હતા ત્યારે પણ કાર્યાલય બદલવાની માગ કરવામાં આવી હતી કારણ કે હાલનું કાર્યાલય ઇન્દ્રનીલ રાજ્યગુરુની વ્યક્તિગત મિલકત છે અને ત્યાં સામાન્ય કાર્યકરોનું સન્માન જળવાતું નથી. જો રાજદીપસિંહ જાડેજા નવું કાર્યાલય ન બનાવી શકતા હોય તો તેમણે નૈતિકતાના ધોરણે સત્તા છોડવી જોઈએ.
ચૂંટણીલક્ષી આક્ષેપો કરતા પ્રવીણ સોરાણીએ જણાવ્યું કે, આગામી ચૂંટણીમાં મારી ટિકિટ કાપવા માટે ઇન્દ્રનીલ રાજ્યગુરુની ટોળકી ધોકા લઈને નીકળી છે. જોકે, તેમણે મક્કમતાથી કહ્યું કે તેઓ લડશે તો કોંગ્રેસમાંથી જ, પરંતુ જો પક્ષ તેમની અવગણના કરશે તો તેઓ ભવિષ્યમાં સ્વતંત્ર નિર્ણય લેવા માટે મજબૂર થશે. તેમણે શહેર પ્રમુખને આડે હાથ લેતા કહ્યું કે કાર્યકરોની લાગણી સમજવાને બદલે સંગઠન માત્ર અમુક લોકોના ઈશારે જ નિર્ણયો લઈ રહ્યું છે.
પ્રવીણ સોરાણીના આક્ષેપોનો શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જડબાતોડ જવાબ આપ્યો છે. જાડેજાએ જણાવ્યું કે, પ્રવીણ સોરાણી કદાચ ભાજપના નેતાઓ સાથે વધુ પડતી ઉઠક-બેઠક ધરાવતા હોવાથી તેમને કોંગ્રેસની હારના અને ઝીરો સીટના સપના આવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સોરાણી જે આક્ષેપો કરી રહ્યા છે તે તદ્દન પાયાવિહોણા છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિનો એક ભાગ છે. આવી પક્ષવિરોધી પ્રવૃત્તિ કોઈ આગેવાન કે કાર્યકર કરે તે ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં અને નિયમ મુજબ પ્રવીણભાઈ સામે પણ પગલાં લેવામાં આવશે.

કાર્યાલયના મુદ્દે જાડેજાએ સ્પષ્ટતા કરી કે, આ કાર્યાલય ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નથી, પરંતુ કોંગ્રેસ પાર્ટીનું છે. તેમજ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વનાં અનેક નેતાઓ આ કાર્યાલયમાં આવી ચૂક્યા છે અને અહીં ઘણી મીટિંગો પણ થઈ છે. પ્રવીણભાઈ જેવા એકલ-દોકલ વ્યક્તિના ન આવવાથી કોંગ્રેસને ફેર પડતો નથી. જે વાત તેમણે ટોચના નેતૃત્વને કરવી જોઈએ તે મીડિયા મારફત કરી શિસ્તભંગ કર્યો છે. પક્ષની શિસ્તનો ભંગ કરનાર અને જાહેરમાં પક્ષને બદનામ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને જડબાતોડ જવાબ આપશે અને ઝીરો સીટની વાતો કરનારાઓને પ્રજા યોગ્ય જવાબ આપશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોંગ્રેસની આ આંતરિક લડાઈ હવે શેરીઓ અને સોશિયલ મીડિયા સુધી પહોંચી ગઈ છે. એક તરફ પક્ષના પાયાના કાર્યકર હોવાનો દાવો કરતા સોરાણી પક્ષના પતનની ભવિષ્યવાણી કરી રહ્યા છે, તો બીજી તરફ સંગઠન તેમને શિસ્તના નામે બહારનો રસ્તો બતાવવાની તૈયારી કરી રહ્યું છે. શહેર પ્રમુખે શિસ્તના ભંગ મુદ્દે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીના કાર્યક્રમોમાં પ્રવીણ સોરાણીને હંમેશાં આમંત્રણ આપવામાં આવ્યું છે, તેમ છતા તેઓ પક્ષને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. પાર્ટીનું શિસ્ત ભંગ કરનાર અને પક્ષની છબી ખરડનાર કોઈ પણ વ્યક્તિને ચલાવી લેવામાં આવશે નહીં અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

હાલમાં બંને પક્ષો વચ્ચેની આ નિવેદનબાજીએ રાજકોટ કોંગ્રેસના આંતરિક જૂથવાદને સપાટી પર લાવી દીધો છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ જેવા નેતાઓ પર થતા આક્ષેપો પક્ષ માટે ચિંતાનો વિષય છે, કારણ કે આ વિખવાદનો સીધો ફાયદો સત્તારૂઢ ભાજપને મળી શકે છે. ત્યારે આગામી દિવસોમાં પ્રદેશ નેતૃત્વ આ મામલે ક્યારે અને કેવા પગલાં લેશે તેનાં પર સૌની નજર છે.

