- Sports
- 'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...
'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...
ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે T20 વર્લ્ડ કપ 2026ની ઐતિહાસિક જીતને ભારતીય ક્રિકેટના એવા દિગ્ગજોને સમર્પિત કરી છે, જેમણે ટીમનો મજબૂત પાયો નાખ્યો હતો. રવિવારે (8 માર્ચ) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ICC મેન્સ T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ ભારતનો ત્રીજો T20 વર્લ્ડ કપ ખિતાબ છે અને ટીમ ઈન્ડિયા સતત બે વાર આ ટૂર્નામેન્ટ જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે.
મેચ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગંભીર ભાવુક દેખાયા હતા અને આ સફળતાનો શ્રેય માત્ર વર્તમાન ટીમને જ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટને મજબૂત બનાવનારા અન્ય પાયાના લોકો પ્રેક્ષકો સામે રાખ્યો હતો.

ગંભીરે સૌથી પહેલા પૂર્વ ભારતીય કોચ રાહુલ દ્રવિડનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે દ્રવિડે તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમની સંરચના અને સ્થિરતાને જે રીતે મજબૂત કરી હતી, તેનો ફાયદો ટીમને આજે પણ મળી રહ્યો છે.
ત્યારબાદ ગંભીરે વીવીએસ લક્ષ્મણના પણ વખાણ કર્યા હતા. લક્ષ્મણ હાલમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) સાથે જોડાયેલા છે અને યુવા ખેલાડીઓને તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ગંભીરે કહ્યું સૌથી પહેલા હું આ ટ્રોફી રાહુલ ભાઈને સમર્પિત કરવા માંગુ છું અને ત્યારબાદ લક્ષ્મણ ભાઈને. રાહુલ ભાઈએ ભારતીય ક્રિકેટને જે રીતે મજબૂત રાખ્યું છે તે અવિશ્વસનીય છે.

ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજીત અગરકર વિશે વાત કરતા ગંભીરે કહ્યું કે તેમની અવારનવાર ટીકા કરવામાં આવે છે, પરંતુ ટીમ સિલેક્શનમાં તેમની પ્રામાણિકતા અને પ્રતિબદ્ધતા શાનદાર રહી છે. અગરકરે સતત યોગ્ય નિર્ણયો લઈને ટીમનું સંતુલન જાળવવામાં મહત્વનો ફાળો આપ્યો છે.
ગૌતમ ગંભીરે BCCI સચિવ જય શાહનો ખાસ આભાર માન્યો અને એક મહત્વની વાત શેર કરી. તેમણે જણાવ્યું કે જ્યારે તેમનો ખરાબ સમય ચાલી રહ્યો હતો, ત્યારે જય શાહે જ તેમની પર વિશ્વાસ મૂક્યો હતો.
ગંભીરે જણાવ્યું કે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ જ્યારે ઘણા લોકોએ સાથ છોડી દીધો હતો, ત્યારે માત્ર જય શાહનો જ ફોન આવ્યો હતો. ગંભીર પાસે પહેલા કોઈ રાષ્ટ્રીય ટીમના હેડ કોચ બનવાનો અનુભવ ન હોવા છતાં, જય શાહે તેમના પર વિશ્વાસ મૂકીને આ મોટી જવાબદારી સોંપી હતી.
આ ઐતિહાસિક જીત સાથે ગૌતમ ગંભીરે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ક્રિકેટની આ સફળતા પાછળ અનેક લોકોની વર્ષોની મહેનત અને મુશ્કેલ સમયમાં મળેલો સાથ જવાબદાર છે.

