- Entertainment
- રાજપાલ યાદવને હજુ નથી મળ્યા રૂપિયા, ભાઈ બોલ્યો- લોકો ખાલી જાહેરાત કરે છે મળ્યું કંઈ નથી
રાજપાલ યાદવને હજુ નથી મળ્યા રૂપિયા, ભાઈ બોલ્યો- લોકો ખાલી જાહેરાત કરે છે મળ્યું કંઈ નથી
જાણીતા અભિનેતા રાજપાલ યાદવ હાલ ચર્ચામાં છે. 9 કરોડનું દેવું ન ચૂકવવાના કારણે તેમણે 5 ફેબ્રુઆરીએ તિહાર જેલમાં સરન્ડર કર્યું હતું. જેલ જતી વખતે તેમનું ભાવુક નિવેદન પણ સામે આવ્યું હતું, જેમાં તેમણે પોતાની પાસે પૈસા ન હોવાની વાત કહી હતી. ભલે રાજપાલ જેલમાં હોય, પરંતુ બહાર તેમના સમર્થનમાં સેલેબ્સ અને ચાહકો ઉભા રહ્યા છે. ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે રાજપાલને આર્થિક મદદ કરવાનું વચન આપ્યું છે, પરંતુ શું ખરેખર એવું છે?
રાજપાલ યાદવના મોટા ભાઈ શ્રીપાલ યાદવે સેલેબ્સ દ્વારા કરવામાં આવી રહેલા આર્થિક મદદના દાવાઓની પોલ ખોલી છે. એક તરફ જ્યાં રાજપાલની પત્ની રાધાએ સેલેબ્સનો તેમના સપોર્ટ માટે આભાર માન્યો છે અને તેમના મેનેજર ગોલ્ડીએ પણ ઈન્ડસ્ટ્રીના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો, ત્યાં બીજી તરફ રાજપાલના ભાઈનું કહેવું છે કે અત્યાર સુધી તેમને કોઈ પૈસા મળ્યા નથી.

દૈનિક ભાસ્કર સાથેની વાતચીતમાં શ્રીપાલ યાદવે સવાલ પૂછ્યો કે, "ક્યાં છે એ મદદના પૈસા?" તેમણે વધુમાં જણાવ્યું કે- ઘણા લોકોએ રાજપાલને મદદ કરવાની વાત કહી છે. જો એવું હોય તો તેઓ જણાવે કે પૈસા ક્યાં આપવામાં આવ્યા છે? જે વ્યક્તિ રાજપાલનું એકાઉન્ટ હેન્ડલ કરે છે, તેમણે હજુ સુધી કોઈ પણ પ્રકારની આર્થિક મદદની પુષ્ટિ કરી નથી. મારો સવાલ એ છે કે જો મદદ કરી છે, તો પૈસા કોને આપ્યા છે?
શ્રીપાલે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, જો કોઈએ ખરેખર મદદ કરી હોય તો પરિવાર તેમનો આભારી રહેશે, પરંતુ જો માત્ર સોશિયલ મીડિયા પર નિવેદનબાજી જ થઈ રહી હોય તો તે તદ્દન ખોટું છે.
શ્રીપાલે જણાવ્યું કે જેલમાં સરન્ડર કરતા પહેલા રાજપાલે જલ્દી પાછા ફરવાનું વચન આપ્યું હતું. તેમના મતે, રાજપાલ એ વાત સાબિત કરશે કે તેમણે કોઈ દેવું લીધું નહોતું, પરંતુ મૂવીમાં પૈસા રોક્યા હતા.
એક તરફ રાજપાલ જેલમાં છે, તો બીજી તરફ તેમના ઘરે ઉજવણીનો માહોલ છે. રાજપાલની ભત્રીજી એટલે કે શ્રીપાલની દીકરીના લગ્ન થવાના છે. પરિવારને આશા છે કે લગ્ન સુધીમાં રાજપાલ ઘરે પરત ફરી જશે.

