- National
- મંદિરના તળાવમાં નોન-હિન્દુ વ્લોગરે ધોયા પગ, બનાવ્યો વીડિયો; શુદ્ધિકરણ કરાયું
મંદિરના તળાવમાં નોન-હિન્દુ વ્લોગરે ધોયા પગ, બનાવ્યો વીડિયો; શુદ્ધિકરણ કરાયું
કેરળના ત્રિશૂરમાં આવેલા પ્રખ્યાત ગુરુવાયુર મંદિરમાંથી નિયમોના ઉલ્લંઘનનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક નોન-હિન્દુ મહિલા વ્લોગરે શ્રી કૃષ્ણ મંદિરમાં પગ ધોવાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. ત્યારબાદ તળાવમાં શુદ્ધિકરણ અનુષ્ઠાન કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે બિગ બોસની પૂર્વ કન્ટેસ્ટેન્ટ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર જાસ્મિન જાફરે મંદિરના તળાવમાં પગ ધોવાનો વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ તળાવનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, મંદિરના તળાવમાં વીડિયો બનાવવા પર પ્રતિબંધ છે. નોન-હિન્દુઓને પણ તળાવમાં પ્રવેશવાની મંજૂરી નથી.
ગુરુવાયુર દેવસ્વોમે કહ્યું કે, જાસ્મિન જાફરે મંદિરના તળાવમાં આ પ્રકારનું કામ કરીને મંદિરની પરંપરાઓનું ઉલ્લંઘન કર્યું અને તળાવને અપવિત્ર કરી દીધું. એટલા માટે સવારે 5:00 વાગ્યાથી બપોરે 12:00 વાગ્યા સુધી મંદિરનું દર્શન પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું હતું. આજે બપોરે પુણ્યકર્મ (શુદ્ધિકરણ અનુષ્ઠાન) પૂર્ણ થયા બાદ જ ભક્તોને નલમ્બલમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી.
અધિકારીઓએ કહ્યું હતું કે, અનુષ્ઠાન દરમિયાન 6 દિવસ સુધી પૂજા ચાલુ રહેશે, જેમાં 18 પૂજાઓ અને 18 શિવેલીઓ સામેલ છે. શ્રદ્ધાળુઓને મંદિરમાં દર્શન પર લગાવવામાં આવેલા અસ્થાયી પ્રતિબંધોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. દેવસ્વોમના પ્રશાસક ઓ.બી. અરુણ કુમારે પણ આ મામલે મંદિર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
તેમનો આરોપ છે કે હાઈકોર્ટે મંદિરના પ્રતિબંધિત વિસ્તારોમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ જાસ્મીને મંદિરના તળાવની પવિત્રતાનું ઉલ્લંઘન કર્યું છે. તો, પોલીસનું કહેવું છે કે કોર્ટના નિર્દેશ મુજબ કેસ નોંધવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જાસ્મિન જાફરે 6 દિવસ અગાઉ મંદિરના તળાવમાં આ વીડિયો બનાવ્યો હતો. જોકે, બાદમાં તેણે તેને સોશિયલ મીડિયા પરથી હટાવી દીધો હતો. તેણે આ માટે માફી પણ માગી હતી અને કહ્યું હતું કે તેને પ્રતિબંધો બાબતે ખબર નહોતી.

