- National
- ચૂંટણી પહેલા IRCTC કેસમાં લાલૂ પરિવારને CBIની સ્પેશિયલ કોર્ટે દોષી જાહેર કર્યા, શું જેલ જશે?
ચૂંટણી પહેલા IRCTC કેસમાં લાલૂ પરિવારને CBIની સ્પેશિયલ કોર્ટે દોષી જાહેર કર્યા, શું જેલ જશે?
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર સામે દિલ્હીની રાઉસ એવન્યૂ કોર્ટે IRCTC કેસમાં આરોપો નક્કી કર્યા છે. સ્પેશિયલ જજ વિશાલ ગોગણેએ તમામ આરોપીઓની હાજરીમાં IRCTC કેસમાં આરોપ નક્કી કર્યા છે. કોર્ટે જણાવ્યું હતું કે લાલુ યાદવની તમામ ટેન્ડરમાં દાખલઅંદાજી પણ રહેતી હતી. તેને લઈને ઘણા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, લાલુ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવે તેમની સામેના તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે.
દિલ્હીની રાઉસ એવન્યૂ કોર્ટના સ્પેશિયલ CBI જજ વિશાલ ગોગણેએ IRCTC કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સહિત 14 આરોપીઓ સામે આરોપો નક્કી કર્યા છે. કોર્ટે લાલુ પ્રસાદ પર ભારતીય દંડ સંહિતા IPCની કલમ 420, ભારતીય દંડ સંહિતાની 120B પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 13(2) અને 13(1)(d) હેઠળ આરોપો નક્કી કરવામાં આવ્યા છે.
https://twitter.com/ANI/status/1977632389917557169
રાબડી દેવી અને તેજસ્વી યાદવ પર ભારતીય દંડ સંહિતાની કલમ 120B અને 420 હેઠળ ટ્રાયલ ચાલશે, જ્યારે લાલુ પ્રસાદ યાદવ પર પણ રેલવે મંત્રી હોવાને કારણે પ્રિવેન્શાન ઓફ કરપ્શનની કલમો હેઠળ કેસ ચલાવવામાં આવશે. કોર્ટે લાલુ પ્રસાદ યાદવને ઊભા રહેવા કહ્યું અને તેમની સામે લાગેલા આરોપો બતાવ્યા. જોકે રાબડી દેવી અને તેજસ્વી યાદવ પર ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ આરોપ લગાવવામાં નહીં આવે. કોર્ટે તે બધા સામે છેતરપિંડીનો આરોપો પણ નક્કી કર્યા હતા. કોર્ટે લાલુ પ્રસાદ યાદવને પૂછ્યું હતું કે શું તેઓ આરોપો સ્વીકારે છે, ગિલ્ટી પ્લીડ કરે છે? અથવા ટ્રાયલનો સામનો કરશે? લાલુ યાદવે કોર્ટમાં તેમની સામેના તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા.
કોર્ટે કહ્યું કે આ ભ્રષ્ટાચારનો કેસ છે અને તેઓ આરોપીઓની દલીલો સાથે સહમત નથી. સુનાવણી દરમિયાન CBIએ પુરાવાઓની આખી શૃંખલા રજૂ કરી. કોર્ટે માન્યું કે લાલુ પ્રસાદ યાદવની જાણકારીમાં આ કૌભાંડનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આરોપીઓ એક મોટા ષડયંત્રમાં સામેલ હતા, જેનો લાલુ પરિવારને ફાયદો થયો હતો. રાબડી દેવી અને તેજસ્વી યાદવને ખૂબ જ ઓછી કિંમતે જમીન મળી છે.
આ કેસમાં આરોપીઓમાં IRCTC ગ્રુપના પૂર્વ જનરલ મેનેજર વી.,કે અસ્થાના, આર.કે. ગોયલ, સુજાતા હૉટેલ્સના ડિરેક્ટર વિજય કોચર અને વિનય કોચરનો સમાવેશ થાય છે. સુનાવણી દરમિયાન લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે CBI પાસે તેમની સામે પૂરતા પુરાવા નથી અને તેમણે તમામ આરોપોને ફગાવી દીધા છે. 28 ફેબ્રુઆરીના રોજ CBIએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેમની પાસે આરોપીઓ સામે પૂરતા પુરાવા છે.
CBIનું કહેવું છે કે લાલુ પ્રસાદ યાદવ રેલવે મંત્રી હતા, એ દરમિયાન (2004 અને 2009 વચ્ચે), બિહારના લોકોને મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાજીપુરમાં ગ્રુપ D પોસ્ટ માટે નોકરી આપવામાં આવી હતી, જેના બદલામાં, લોકોએ લાલુ પ્રસાદના પરિવારના સભ્યો અથવા તેમની માલિકીની કંપનીઓના નામે તેમની જમીન આપી હતી.

