- Sports
- સંજૂ નહીં, આ ખેલાડીને મળવો જોઈતો હતો પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ... ડી વિલિયર્સે કારણ પણ જણાવ્યું
સંજૂ નહીં, આ ખેલાડીને મળવો જોઈતો હતો પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ... ડી વિલિયર્સે કારણ પણ જણાવ્યું
ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ભારતે ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવ્યું. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું. વર્લ્ડ કપ દરમિયાન અસાધારણ પ્રદર્શન કરનારા ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ પર વાત થઈ.
આ દરમિયાન સૌથી વધુ ધ્યાન ખેંચનારા ખેલાડીઓમાં સંજૂ સેમસન ટોચ પર રહ્યો. વર્લ્ડ કપ દરમિયાન સંજૂએ મહત્ત્વપૂર્ણ મેચોમાં ઘણી શાનદાર ઇનિંગ્સ રમી. તેના માટે સંજૂને T20 વર્લ્ડ કપ માટે 'પ્લેયર ઓફ ધ સીરિઝ'ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. જોકે, હવે તેને આ એવોર્ડ આપવાના નિર્ણય પર દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સે સવાલ ઉઠાવ્યા છે.
એબી ડી વિલિયર્સ સંજૂને 'પ્લેયર ઓફ ધ સીરિઝ'નો એવોર્ડ આપવાના નિર્ણયથી પૂરી રીતે સહમત નથી. તેણે ટૂર્નામેન્ટ માટે 'પ્લેયર ઓફ ધ સીરિઝ' એવોર્ડ કયા ખેલાડીને મળવો જોઈતો હતો, તેના પર વાત કરી. પોતાના યુટ્યુબ શૉ '360 ડિગ્રી' મા બોલતા ડી વિલિયર્સે કહ્યું કે, ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ એવોર્ડ માટે સેમસન અને બૂમરાહ વચ્ચે ખૂબ જ નજીકની સ્પર્ધા હતી. બૂમરાહ સૌથી વધુ વિકેટ લેનારો બોલર હતો, જેના કારણે તે આ એવોર્ડ માટે મજબૂત દાવેદાર બનતો હતો. મારા માટે, કેટલીક મહત્ત્વપૂર્ણ ઓવરો હતી, જે બૂમરાહે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ફેંકી હતી. મને લાગે છે કે તે આ એવોર્ડનો વધુ હકદાર તે હતો.’
T20 વર્લ્ડ કપમાં જસપ્રીત બૂમરાહનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેણે 8 મેચમાં 14 વિકેટ લીધી. તે વરુણ ચક્રવર્તી સાથે T20 વર્લ્ડ કપમાં સંયુક્ત રૂપે સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો. આ ટૂર્નામેન્ટમાં બૂમરાહનું શ્રેષ્ઠ પ્રદર્શન 15 રન આપીને 5 વિકેટ રહ્યું હતું. તેણે ઇંગ્લેન્ડ સામે સેમીફાઇનલમાં અને ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલમાં શાનદાર બોલિંગ કરી. ડી વિલિયર્સ અનુસાર, ફાસ્ટ બોલર બનવું સરળ કાર્ય નથી.
તેણે કહ્યું કે, ‘ભારતમાં એક પેસ બોલર તરીકે બોલિંગ કરવું સરળ નથી, જ્યાં સુધી તમે જસપ્રીત બૂમરાહ ન હોવ. તે પણ ટૂર્નામેન્ટ દરમિયાન તેની કેટલીક ઓવરમાં મોંઘો સાબિત થયો.’ ડી વિલિયર્સે વધુમાં જણાવ્યું કે, ‘જ્યારે સેમીફાઇનલ અને ફાઇનલમાં સૌથી વધુ જરૂરિયાત હતી ત્યારે બૂમરાહે ભારે દબાણ હેઠળ જબદદાસ્ત ઓવરો ફેંકી. મેં આવી બોલિંગ પહેલાં ક્યારેય જોઈ નથી. તે અલગ સ્તર પર નજરે પડ્યો. જસપ્રીત બૂમરાહ ભારતીય ક્રિકેટની સાચી સંપત્તિ છે.’
એબી ડી વિલિયર્સે વાતચીત દરમિયાન સંજૂ સેમસનની પણ પ્રશંસા કરી. તેણે કહ્યું કે, સંજૂએ એ સમયે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, જ્યારે ટીમને સૌથી વધુ જરૂર હતી. તેણે સેમીફાઇનલ અને ફાઇનલ બંનેમાં શાનદાર બેટિંગ કરી. ડી વિલિયર્સના મતે, સંજુ સેમસન ફાયરપાવર છે; તેણે ટીમનું સંતુલન બનાવ્યું અને મોટા સ્કોર બનાવવાનો પાયો નાખ્યો.
નોંધનીય છે કે સંજૂ સેમસન 2026ના T20 વર્લ્ડ કપમાં ભારતનો ટોપ સ્કોરર રહ્યો હતો. તેણે પાંચ મેચોમાં કુલ 321 રન બનાવ્યા હતા. આ દરમિયાન, તેણે ત્રણ અડધી સદી નોંધાવી હતી. ટૂર્નામેન્ટમાં તેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર અણનમ 97 રન હતો. આ સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન, સંજુ સેમસને 27 ચોગ્ગા અને 24 છગ્ગા ફટકાર્યા હતા.

