- National
- પૂર્વ VHP પ્રમુખ અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષનો લોગો જાહેર
પૂર્વ VHP પ્રમુખ અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષનો લોગો જાહેર
વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે તેમના જીવન, કાર્યો અને સાંસ્કૃતિક યોગદાનને યાદ કરવા માટે એક વિશેષ લોગો તૈયાર કરવામાં આવ્યો છે. તેને જાહેર કરતા વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી બજરંગ લાલ બાગડાએ જણાવ્યું હતું કે, આ લોગો તેમના આધ્યાત્મિક સંસ્કારો, હિન્દુ સમાજના ગૌરવ-જાગરણ તથા ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના આજીવન સમર્પણને વ્યક્ત કરે છે.
તેમણે કહ્યું કે લોગોમાં કંડારેલું ‘શ્રદ્ધેય અશોક સિંઘલ’ નામ શ્રદ્ધા અને સન્માનનો ભાવ પ્રગટ કરે છે, જ્યારે ‘જન્મ શતાબ્દી વર્ષ 1926-2015’ તેમના જીવનકાળને દર્શાવે છે. 27 સપ્ટેમ્બર 2026ના રોજ તેમના જન્મના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે જાહેર કરાયેલો આ લોગો તેમના વિચારો, સંકલ્પો અને કાર્યોને નવી પેઢી સુધી પહોંચાડવાનું માધ્યમ બનશે.

લોગોની ભગવા-કેસરી પૃષ્ઠભૂમિ ત્યાગ, તપસ્યા, આધ્યાત્મિક ચેતના, શૌર્ય અને રાષ્ટ્રધર્મ પ્રત્યેના સમર્પણનું પ્રતીક છે. ચારેય તરફ બનેલું સોનેરી વલય (કવચ/ગોળ) ભારતીય જ્ઞાન-પરંપરાની શાશ્વતતા, ગૌરવ અને પ્રકાશને દર્શાવે છે. લોગોમાં અંકિત શ્રીરામ મંદિર શ્રદ્ધેય અશોક સિંઘલના જીવનના એક મોટા ધ્યેય અને શ્રીરામ જન્મભૂમિ આંદોલનમાં તેમના ઐતિહાસિક યોગદાનનું પ્રતીક છે. મંદિરની સાથે લહેરાતો ભગવો ધ્વજ સનાતન પરંપરા, સંગઠન, ત્યાગ અને સાંસ્કૃતિક સ્વાભિમાનનો ભાવ પ્રગટ કરે છે.
વિહિપ મહામંત્રીએ વધુમાં જણાવ્યું કે લોગોના કેન્દ્રમાં સ્થિત શ્રદ્ધેય અશોક સિંઘલનું શાંત, તેજસ્વી અને સૌમ્ય વ્યક્તિત્વ તેમના આધ્યાત્મિક સંસ્કારો, દ્રઢ સંકલ્પ, સંગઠન-કૌશલ્ય તથા પૂજ્ય સંતો પ્રત્યેની શ્રદ્ધા અને હિન્દુ સમાજ પ્રત્યેની તેમની આત્મીયતાને દર્શાવે છે. તેમનું તિલક અને શ્વેત વસ્ત્રો સાદગી, આધ્યાત્મિક આસ્થા અને ભારતીય જીવન-મૂલ્યો પ્રત્યેની નિષ્ઠાનું પ્રતીક છે. નામને ઉપસાવતી ઘેરી લાલ-મરૂન પટ્ટી ઊર્જા, સાહસ, સંકલ્પ અને સંઘર્ષશીલતાનો ભાવ વ્યક્ત કરે છે, જ્યારે નીચેનો પીળાશ પડતો-સોનેરી આધાર જ્ઞાન, પ્રકાશ, મંગળ અને ભવિષ્ય પ્રત્યેની આશાનો સંદેશ આપે છે.

તેમણે જણાવ્યું કે આ લોગો માત્ર એક દ્રશ્ય-ચિહ્ન (પ્રતીક) નથી, પરંતુ અશોક સિંઘલના જીવન-સંદેશનું પ્રતીકાત્મક સંકલન છે. તેમનું જીવન ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સમાજના સંગઠન, પૂજ્ય સંતો પ્રત્યે શ્રદ્ધા તથા સાંસ્કૃતિક સ્વાભિમાન માટે સમર્પિત રહ્યું છે. જન્મ શતાબ્દી વર્ષ તેમના યોગદાનના સ્મરણની સાથે-સાથે સેવા, સંગઠન, સંસ્કાર અને સાંસ્કૃતિક ચેતનાના નવા સંકલ્પોને આગળ વધારવાની એક તક છે.
વિશ્વ હિન્દુ પરિષદ સહિત સમગ્ર વિશ્વના લોકો જન્મ શતાબ્દી વર્ષ દરમિયાન આ લોગોનો ઉપયોગ વિવિધ કાર્યક્રમો, પ્રકાશન, ડિજિટલ માધ્યમો, સ્મૃતિ અભિયાનો અને જનસંપર્ક પ્રવૃત્તિઓમાં કરશે. આ લોગો અશોક સિંઘલ પ્રત્યે કૃતજ્ઞ શ્રદ્ધાંજલિ તથા તેમના વિચારો અને સંકલ્પોને આગળ વધારવા માટે પ્રેરણાનું પ્રતીક બનશે.

