- National
- લોકડાઉનમાં મનરેગા યોજના કામ આવી, 4 મહિનામાં મજૂરોની આવક થઈ બેગણી
લોકડાઉનમાં મનરેગા યોજના કામ આવી, 4 મહિનામાં મજૂરોની આવક થઈ બેગણી

કોરોનાની મહામારીના સમયમાં દેશભરમાં પ્રવાસી મજૂરો સામે રોજીરોટીનું સંકટ ઊભું થઈ ગયુ હતું. એવામાં શહેરમાં રહેતા મજૂરોએ ગામડાઓ તરફ પ્રસ્થાન કર્યું અને ગામડાઓમાં તેમને રાહત મળી કેમ કે, મનરેગા હેઠળ કામ કરતાં તેમને પોતાનું ઘર ચલાવવા પૈસા મળ્યા. પરિણામ એ નીકળ્યું કે, કોરોના સંક્રમણના સમયમાં મનરેગા રોજગાર સર્જનનો પોતાનો જ રેકોર્ડ તોડી દીધો. જાણકારી મુજબ, ચાલુ નાણાંકીય વર્ષમાં 5.53 કરોડ ગ્રામીણ મજૂરોને રોજગારી મળી છે, જ્યારે સંપૂર્ણ નાણાંકીય વર્ષ 2010-11માં રેકોર્ડ 5.5 કરોડ લોકોને કામ મળ્યું હતું.
કોરોના સંકટ વચ્ચે લોકડાઉન દરમિયાન અને લોકડાઉન પછી ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા, મજૂરો માટે સૌથી ફાયદાકારક યોજના સાબિત થઈ છે. રેટિંગ એજન્સી ક્રિસિલ રેટિંગનું કહેવું માનીએ તો છેલ્લા નાણાંકીય વર્ષની તુલનામાં હાલ ચાલું નાણાંકીય વર્ષના શરૂઆતી 4 મહિનામાં મજૂરોને દર મહિને બમણી આવક થઈ છે. નોંધનીય છે કે, લોકડાઉન દરમિયાન મનરેગામાં કામના દિવસોમાં વૃદ્ધિના કારણે આ આંકડા સામે આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા નાણાંકીય વર્ષ 2019-20માં મજૂરોને પ્રતિ વ્યક્તિ મહિને લગભગ 509 રૂપિયાની સરેરાશ આવક થઈ હતી. તો આ વર્ષે તે વધીને લગભગ 1 હજાર રૂપિયા થઈ ગઈ છે, કેમ કે એપ્રિલથી જુલાઇ વચ્ચે મનરેગામાં મજૂરી વધવાથી મજૂરોને રાહત મળી છે. હાલમાં જ ભારત સરકારના ગ્રામીણ મંત્રાલયે મનરેગાના મજૂરોની મજૂરી વધારીને 202 રૂપિયા કરી દીધી છે.
કોરોના સંકટમાં મનરેગા યોજના, ગ્રામીણ વિસ્તારના મજૂરો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. કેન્દ્ર સરકારે વધારેમાં વધારે મજૂરોને મનરેગામાં રોજગાર આપવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. કેમ કે, લોકડાઉન દરમિયાન મોટા પ્રમાણમાં મજૂરો શહેરોમાંથી ગામમાં ફર્યા હતા અને તેમનું પેટ પાળવા માટે મનરેગામાં રોજગારી મળી.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે બજેટ 2020-21માં મનરેગા માટે 61 હજાર 500 કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું હતું, પરંતુ કોરોના સંકટને જોતાં સરકારે પછી આ યોજના માટે અલગથી 40 હજાર કરોડની ફાળવણી કરી છે. જેથી ગ્રામીણ અર્થવ્યવસ્થા પર આ મહામારીની ઓછી અસર પડે. મનરેગા યોજનામાં મજૂરોને વધારેમાં વધારે 100 દિવસ સુધી રોજગારીની ગેરંટી આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) હેઠળ વર્ષ 2006-07માં દેશના 200 પછાત જિલ્લાઓમાં યોજના શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2007-08માં તેમાં વધુ 133 જિલ્લાઓનો સમાવેશ કરી લેવામાં આવ્યા. યોજનાની લોકપ્રિયતા જોતા વર્ષ 2008-09માં તેને આખા દેશમાં લાગુ કરી દેવામાં આવી.
Related Posts
Top News
CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ
અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ
Opinion
