- National
- 26 વર્ષ લગ્નમાંથી પાછા ફરતી વખતે ગાયબ થયેલી વાન નહેરમાંથી મળી, અંદર હતા હાડપિંજર
26 વર્ષ લગ્નમાંથી પાછા ફરતી વખતે ગાયબ થયેલી વાન નહેરમાંથી મળી, અંદર હતા હાડપિંજર
પંજાબના રોપર જિલ્લામાં ભાખરા નહેરમાંથી મળી આવેલી એક જૂની, જર્જરિત મારુતિ ઓમ્ની વાનના કારણે એક 26 વર્ષ જૂનું રહસ્ય ખુલી ગયું છે. વાનની અંદરથી મળી આવેલા હાડપિંજર, એક બાળકનો શર્ટ અને અન્ય સામાનથી ત્રણ પરિવારોની દાયકાઓથી ચાલતી રાહ અને આશાનો અંત આવ્યો છે.
કેબલ, લોખંડની સાંકળો અને ટ્રેક્ટરનો ઉપયોગ કરીને નહેરના 32 ફૂટ ઊંડા તળિયેથી કાટ લાગી ગયેલી અને જર્જરિત મારુતિ ઓમ્ની કારને બહાર કાઢવામાં આવી હતી. વાહનમાંથી એક બાળકનો શર્ટ, કેટલાક બુટ, વેરવિખેર સામાન અને માનવ હાડકાના અવશેષો મળી આવ્યા હતા. આ અવશેષો 17 ઓક્ટોબર, 2000ના રોજ લગ્નમાંથી પાછા ફરતી વખતે ગાયબ થયેલા 4 લોકોના છે.
કોટલા ગામ ચંદીગઢથી 80 કિલોમીટર દૂર આવેલું છે. મુન્ની લાલ, તેજ રામ, સુરજીત સિંહ અને સુરજીતનો 8 વર્ષનો પુત્ર કાલુ લગ્નમાં હાજરી આપવા ગયા હતા. ચારેય જણા તેજરામની કારમાં ગયા હતા, જે તેમણે પોતાની જમીન વેચ્યા પછી એક મહિના પહેલા ખરીદી હતી. રાત્રે, ચારેય લગ્નની જાનમાંથી ઘર તરફ જવા માટે નીકળ્યા, પરંતુ ત્યાં સુધી પહોંચ્યા નહીં. કાર સાથે બાકીના બધા લોકો ગાયબ થઈ ગયા હતા. તેમના પરિવારોએ વ્યાપક શોધખોળ શરૂ કરી, પરંતુ કોઈ પત્તો લાગ્યો નહીં.
સ્થાનિક મરજીવો કમલપ્રીત સૈની તાજેતરમાં જ ભાખરા નહેરમાં એક મૃતદેહ શોધવા માટે ઉતાર્યા હતા. તેમની શોધખોળ દરમિયાન, તેમની નજર નહેરના તળિયે એક કાટ લાગેલી મારુતિ ઓમ્ની વાન પર પડી હતી. 32 ફૂટ ઊંડી નહેરમાં વર્ષોથી પડેલી વાન ખુબ જ જર્જરિત હાલતમાં હતી. વાનની છત અને પાછળનો ભાગ સંપૂર્ણપણે કાટ લાગવાથી ક્ષતિગ્રસ્ત થયેલો હતો. જોકે, આગળનો ભાગ કોઈ પણ રીતે એવો જ રહ્યો હતો. સ્થાનિક લોકો, ટ્રેક્ટર, લોખંડની સાંકળો અને કેબલની મદદથી, વાનને નહેરમાંથી બહાર કાઢવામાં આવી.
કમલપ્રીત સૈનીએ કહ્યું કે, જ્યારે તેમણે વાન જોઈ, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે, તે એ જ વેન હોઈ શકે છે, જે વર્ષો પહેલા અકસ્માતમાં ગાયબ થઇ ગઈ હતી. ત્યાર પછી ગ્રામજનો દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી.
કીરતપુર સાહિબના SHO, ઇન્સ્પેક્ટર રાહુલ શર્માએ જણાવ્યું કે, કારમાંથી મળેલા હાડપિંજરના અવશેષો સંપૂર્ણ વિધિઓ સાથે એકત્રિત કરવામાં આવ્યા હતા. ત્યારપછી, પીડિતોના પરિવારોએ રોપરના પાતાલપુરી સાહિબ ગુરુદ્વારામાં સામૂહિક અંતિમ પ્રાર્થના કરી અને તેમના પ્રિયજનોને પવિત્ર જળમાં અવશેષોનું વિસર્જન કરીને અંતિમ વિદાય આપી. ચારેયને આંખમાં આંસુઓ સાથે શ્રદ્ધાંજલિ આપવા માટે ફૂલો ચઢાવવામાં આવ્યા, તેઓ પાછા આવશે એવી આશા સાથે જેમના ફોટા છેલ્લા 26 વર્ષથી તેમની દિવાલો પર લટકાવેલા હતા.

