- National
- મહિલાના પેટમાંથી નીકળી સર્જિકલ કાતર; 5 વર્ષ અગાઉ થયેલી સર્જરીમાં ડૉક્ટરો ભૂલી ગયેલા
મહિલાના પેટમાંથી નીકળી સર્જિકલ કાતર; 5 વર્ષ અગાઉ થયેલી સર્જરીમાં ડૉક્ટરો ભૂલી ગયેલા
કેરળના અલાપ્પુઝા જિલ્લાના પુન્નાપરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ વિસ્તારની રહેવાસી ઉષા જોસેફના પેટમાંથી એક સર્જિકલ કાતર (આર્ટરી ફોર્સેપ્સ) મળી આવી છે. 5 વર્ષ અગાઉ સર્જરી થઈ ત્યારથી આ સાધન તેના પેટમાં હતું. એક સમાચાર એજન્સી અનુસાર, ઉષા જોસેફે મે 2021માં વંદનમના અલાપ્પુઝા મેડિકલ કૉલેજમાં ગર્ભાશય ફાઇબ્રોઇડ્સ કાઢવા માટે સર્જરી કરાવી હતી. તેના પુત્ર શિબિને જણાવ્યું કે સર્જરી થઈ ત્યારથી ઉષાને પેટમાં દુઃખાવો થઈ રહ્યો હતો.
પીડિતાના પુત્રનો આરોપ છે કે, તેણે ઘણી વખત એ હૉસ્પિટલના ડૉક્ટરોનો સંપર્ક કર્યો હતો, જ્યાં ઉષાની સર્જરી થઈ હતી, પરંતુ દુઃખાવાનું કારણ શોધી શકાયું નહોતું. જ્યારે ઉષાએ ડૉક્ટરની સલાહ પર તેને કિડનીમાં પથરી હોવાની શંકાના આધારે એક્સ-રે કરાવ્યું ત્યારે તેના પેટમાં આર્ટરી ફોર્સેપ્સ હોવાનું જાણવા મળ્યું હતું.
એક્સ-રેમાં કથિત રીતે આર્ટરી ફોર્સેપ્સ હોવાનું બહાર આવ્યા બાદ, ડૉક્ટરોએ બીજા અઠવાડિયે તેને કાઢવાની સલાહ આપી. એવામાં ઉષા જોસેફને કોચીની એક ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. શિબિને કહ્યું કે, ‘અમે વધુ મુશ્કેલીઓ ઇચ્છતા નહોતા અને ખાનગી હોસ્પિટલમાં ગયા. ત્યાંના ડૉક્ટરો સ્કેન કરશે અને ચોક્કસ સ્થિતિની જાણકારી મેળવીને ટૂંક સમયમાં સર્જરી કરશે. મેડિકલ કોલેજના ડૉક્ટરોએ અમને કહ્યું કે જો અમે ઈચ્છીએ તો ફરિયાદ નોંધાવી શકીએ છીએ. અમે હવે અંબાલાપુઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો છે.’
પીડિતાના પુત્રનો આરોપ છે કે, મેડિકલ કોલેજના ડૉક્ટરોએ તેમની ભૂલ માટે વળતર આપવાનો ઇનકાર કર્યો છે. તેમણે અલાપ્પુઝા મેડિકલ કોલેજના નિવૃત્ત સર્જન ડૉ. લલિતામ્બિકા પર સર્જરી દરમિયાન ભૂલ કરવાનો આરોપ લગાવ્યો છે. ડૉ. લલિતામ્બિકાએ આ દાવાને નકારી કાઢ્યો છે. મીડિયા સાથે વાત કરતા ડૉ. લલિતામ્બિકાએ કહ્યું કે, ‘આ સર્જરી મારી નિવૃત્તિ પહેલા કરવામાં આવી હતી, જ્યારે હું કોઈ મોટા કેસ સંભાળી રહી ન હતી.’ મારું નામ યુનિટ હેડ તરીકે નોંધાયેલું હતું. સાથે જ, આ સર્જરી કોવિડકાળ દરમિયાન થઈ હતી, અને હું તેમાં વ્યસ્ત હતી.
સર્જરી અગાઉ દર્દીઓ પાસેથી પૈસા લેવાના આરોપો અંગે તેમણે કહ્યું કે, ‘મેં કોઈ પણ સર્જરી માટે પૈસા દર્દીઓ પાસેથી પૈસા લીધા નથી. મેં જોયેલા કોઈપણ દર્દીને તમે પૂછી શકો છો.’ સર્જને એવો પણ દાવો કર્યો હતો કે ઉષાના પેટમાં કાતર નહીં, પણ ખૂબ જ નાની સાઇઝના મોસ્કિટો ફોર્સેપ્સ હતા. તેમના મતે એક્સ-રેમાં તે મોટું દેખાય છે. મોસ્કિટો એક નાનું સર્જિકલ સાધન છે જેનો ઉપયોગ નાની રક્તવાહિનીઓને દબાવાવ માટે કરવામાં આવે છે. જો કે, તેમણે સ્વીકાર્યું કે આવી ભૂલ થવી જોઈતી નહોતી.
સર્જને કહ્યું કે, પીડિતાની અગાઉ પણ સર્જરી થઈ ચૂકી હતી, એટલે તે તપાસ થવી જોઈએ કે કઇ સર્જરી દરમિયાન આ સાધન તેના પેટમાં છોડી દેવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે આ સાધન 20 થી 30 વર્ષ સુધી શરીરમાં રહી શકે છે.
આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે પીડિતાના પરિવારને ખાતરી આપી હતી કે તપાસ બાદ તમામ દોષિત ડૉક્ટરો અને સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવશે. આ મામલે તબીબી શિક્ષણ નિયામક (DME)ને પ્રાથમિક અહેવાલ સુપરત કરી દેવામાં આવ્યો છે. જ્યોર્જે જણાવ્યું હતું કે કોટ્ટાયમ અને તિરુવનંતપુરમ મેડિકલ કૉલેજના નિષ્ણાત ડૉક્ટરોને તપાસ માટે અલાપ્પુઝા મેડિકલ કૉલેજમાં મોકલવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે આવી ભૂલો સહન કરવામાં નહીં આવે. તેમણે યાદ અપાવ્યું કે, 2017માં આવી જ ઘટના સામે આવી હતી. જ્યોર્જે કહ્યું કે ડૉક્ટરો એવો દાવો કરીને ઘટનાને ઓછી આંકી નહીં શકે કે આવા સાધનો શરીરમાં લાંબા સમય સુધી રહી શકે છે.

