- National
- જ્યારે આ દેશનો યુવા ઉપનિષદ અને વેદને વિજ્ઞાન સાથે આગળ વધારશે, ત્યારે દેશ નિશ્ચિતપણે આગળ વધશે
જ્યારે આ દેશનો યુવા ઉપનિષદ અને વેદને વિજ્ઞાન સાથે આગળ વધારશે, ત્યારે દેશ નિશ્ચિતપણે આગળ વધશે
(ઉત્કર્ષ પટેલ)
ભારતના યુવાનો માટે પ્રેરણારૂપ વિચાર રૂપ ગૃહમંત્રી અમિત શાહનું આ નિવેદન દીવાદાંડી જેવું છે. આ વાક્યમાં ભારતની આત્મા અને આધુનિકતાનું અદ્ભુત સંગમ છે.
આપણા પ્રાચીન ગ્રંથો, વેદ અને ઉપનિષદ માત્ર ધાર્મિક પુસ્તકો નથી પરંતુ જ્ઞાનની ખાણ છે. તેમાં બ્રહ્માંડની ઉત્પત્તિ, માનવમનની ઊંડાઈ, ચેતનાનું રહસ્ય અને જીવનના મૂળ સિદ્ધાંતોનું વર્ણન છે. આ જ્ઞાન સાથે જો આજનું વિજ્ઞાન જોડાય તો શું અજાયબી ન થાય? ક્વોન્ટમ ફિઝિક્સના સિદ્ધાંતો અને ઉપનિષદોના ‘અદ્વૈત’ વચ્ચેની સમાનતા, યોગ અને ન્યુરોસાયન્સનું મિલન, આયુર્વેદ અને જનીન એન્જિનિયરિંગનું સંયોજન આ બધું ભારતીય યુવાનોના હાથમાં છે.

આજનો યુવા ભારત ફક્ત એપ બનાવનાર, કોડ લખનાર કે સ્ટાર્ટઅપ કરનાર નથી રહ્યો. તે હવે વિચારક, સંશોધક અને સંસ્કૃતિનો વાહક પણ બની રહ્યો છે. જ્યારે તે વેદોના ‘ઋત’ (કોસ્મિક ઓર્ડર)ને ડેટા સાયન્સની ભાષામાં સમજશે, ઉપનિષદોના ‘આત્મા’ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંદર્ભમાં શોધશે ત્યારે ભારત ફક્ત ટેક્નોલોજીમાં જ નહીં પરંતુ જ્ઞાનની દુનિયામાં પણ વિશ્વગુરુ બનશે.
આજે જરૂર છે એવા સમયની જ્યાં યુવા પોતાની વારસાને ભૂલ્યા વિના, ભવિષ્યની ઊંચાઈઓ સર કરે. વેદઉપનિષદને પુરાતન ગ્રંથોની ધૂળમાં નહીં પરંતુ લેબોરેટરીઓ, એઆઈ મોડલ્સ અને સ્પેસ મિશનમાં જીવંત કરે. આ સંયોજનથી જ ભારત એક એવી શક્તિ બનશે જે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાને એકસાથે ઉચ્ચ શિખરે લઈ જશે.
આજે દેશના યુવાનોના હાથમાં માત્ર કોડ કે ડિગ્રી નથી પરંતુ હજારો વર્ષનું જ્ઞાન અને આગામી સદીઓનું ભવિષ્ય છે. વેદ અને વિજ્ઞાનને હાથમાં હાથ મિલાવી ભારતને ફરી એકવાર વિશ્વનું માનવજ્ઞાનનું કેન્દ્ર બનાવાનું આજના યુવાનોના હાથમાં છે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

