- Opinion
- પ્રદીપસિંહ વાઘેલા: એક એવી સંજીવની જે ભાજપના યુવા કાર્યકરો અને સંગઠનમાં નવા પ્રાણ ફૂંકી શકે છે
પ્રદીપસિંહ વાઘેલા: એક એવી સંજીવની જે ભાજપના યુવા કાર્યકરો અને સંગઠનમાં નવા પ્રાણ ફૂંકી શકે છે
ગુજરાતની રાજકીય ભૂમિ પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એક અડીખમ કિલ્લાની જેમ ઊભી છે પરંતુ તેના આંતરિક માળખામાં વહેતી ધારા ક્યારેય સ્થિર રહી નથી. આજના સમયમાં જ્યારે પાર્ટીના કાર્યકર્તાઓમાં નવી ઉત્સાહની જરૂર છે ત્યારે પ્રદીપસિંહ વાઘેલા જેવા વ્યક્તિત્વની ચર્ચા ફરીથી તાજી થઈ છે. તેઓ એક એવા યુવા કાર્યકર્તા છે જેમણે પાર્ટીના પાયાના સ્તરથી લઈને પ્રદેશ કક્ષાની જવાબદારીઓ સુધીની યાત્રા કરી છે. તેમનો અનુભવ અને સંગઠનાત્મક કુશળતા ભાજપને નવા પ્રાણ ફૂંકવાની ક્ષમતા ધરાવે છે.

પ્રદીપસિંહ વાઘેલાની રાજકીય યાત્રા એ એક સામાન્ય કાર્યકર્તાની અસાધારણ કથા છે. અમદાવાદ જિલ્લાના બકરાણા ગામમાં જન્મેલા પ્રદીપસિંહ ક્ષત્રિય સમુદાયના યુવા છે. તેમની શરૂઆત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)થી થઈ. ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય થયા પછી 2003માં તેઓ યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે ચૂંટાયા. આ તેમની પ્રથમ મોટી જવાબદારી હતી જેમાંથી તેઓએ પાર્ટીના યુવા વિભાગ તરફ વળાંક લીધો. 2005-06 દરમિયાન તેઓ ભારતીય જનતા યુવા મોરચા (બીજેયુએમ)ના રાજ્ય અધ્યક્ષ બન્યા જ્યારે પાર્ટીના તત્કાલીન રાજ્ય અધ્યક્ષ આર.સી. ફાલ્ડુ હતા. આ સમયગાળામાં તેમણે યુવા કાર્યકર્તાઓને એકત્રિત કરીને પાર્ટીના મૂળભૂત કાર્યોને મજબૂત કર્યા. તેમની આ ક્ષમતા કાર્યકર્તાઓને સક્રિય રાખવી, તેમની લાગણીઓ સમજવી અને નવા લોકોને જોડવા તેમને વિશેષ બનાવે છે.
જ્યારે જીતુ વાઘાણી ગુજરાત ભાજપના રાજ્ય અધ્યક્ષ બન્યા ત્યારે પ્રદીપસિંહને પ્રદેશ મંત્રી તરીકે જવાબદારી સોંપાઈ. ત્યારબાદ તેઓ કેન્દ્રીય યુવા વિભાગ નેહરુ યુવા કેન્દ્ર સંગઠનના ઉપાધ્યક્ષ બન્યા. 2020માં જ્યારે સીઆર. પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ બન્યા ત્યારે પ્રદીપસિંહને પ્રદેશ મહામંત્રી તરીકે જવાબદારી મળી. આ ભૂમિકામાં તેઓ અમદાવાદ અને સુરતના શહેરી એકમો તથા પાર્ટીના મુખ્ય કાર્યાલય ‘શ્રી કમળમ’ના પ્રભારી હતા. આ જવાબદારીમાં તેમણે પાર્ટીના આંતરિક વ્યવસ્થાપનને નવી દિશા આપી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ વેજલપુર સીટથી ટિકિટ મેળવવાની તૈયારીમાં હતા પરંતુ અંતે તેમનું નામ પાછું ખેંચાયું. તેમ છતાં તેમનું યોગદાન અવગણી શકાય તેમ નથી. તેમણે હંમેશા કાર્યકર્તાઓની આત્મીયતા અને એકતાને પ્રાથમિકતા આપી જે ભાજપના મૂળભૂત સિદ્ધાંતો સાથે જોડાયેલી છે.

આજની તારીખે 8 ઓક્ટોબર 2025ના રોજ ગુજરાત ભાજપની સ્થિતિ નાજુક જણાય છે. તાજેતરમાં 4 ઓક્ટોબરે જગદીશ વિશ્વકર્મા (જગદીશ પંચાલ)ને નવા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપાઈ છે જે સીઆર. પાટીલનું સ્થાન લઈ રહ્યા છે. આ નિમણૂકથી કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ પાર્ટી વિકાસ અને વિશ્વાસને મજબૂત કરવા પર કેન્દ્રિત છે. પરંતુ આંતરિક સ્તરે કાર્યકર્તાઓનો અસંતોષ અને યુવા કાર્યકર્તાઓની અને પીઢ નેતાઓની નિષ્ક્રિયતા જેવી સમસ્યાઓ હજુ પક્ષને મથાવી રહી છે. નવા અધ્યક્ષની નિમણૂકથી પીઢ નેતાઓમાં નવી આશા જાગી છે પરંતુ આને સક્રિયતા પૂર્વક નિરાકરણ માટે સંગઠનાત્મક સક્રિયતા જરૂરી છે. અહીં પ્રદીપસિંહ જેવા યુવા અને અનુભવી કાર્યકર્તાને પુનઃ જવાબદારી આપવી જોઈએ જેથી જૂની ભાજપનું આંતરિક વાતાવરણ જ્યાં કાર્યકર્તાઓની લાગણીઓને મહત્વ મળતું હતું એ મુજબ ફરીથી જીવંત થાય.
ચિંતનના દૃષ્ટિકોણથી પ્રદીપસિંહ વાઘેલાને પ્રદેશ કક્ષાએ મહત્વની જવાબદારી આપવી એ ભાજપ માટે વ્યૂહાત્મક પગલું હશે. તેઓ યુવા કાર્યકર્તાઓ અને અનુભવી નેતાઓ વચ્ચે પુલની ભૂમિકા ભજવી શકે છે. તેમના અનુભવથી પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકાશે જે આવનારી ચૂંટણીઓમાં ફાયદાકારક થશે. પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી શાહ જ્યારે ગુજરાતના પ્રવાસ પર આવીને પક્ષના સંગઠન અને સરકાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે પ્રદીપસિંહ જેવા નિષ્ઠાવાન કાર્યકર્તાઓને આગળ કરવાની ચર્ચા પાયાના સ્તરે થઈ રહી છે. આ નિર્ણયથી પાર્ટીમાં આત્મવિશ્વાસ વધશે અને કાર્યકર્તાઓનો ઉત્સાહ બળશે.

.jpg)
આવનારા સમયમાં ભાજપ સંગઠનમાં નવી નિયુક્તિઓ અને મંત્રીમંડળમાં નવા ફેરફારો થનાર છે. મંત્રીમંડળમાં એવા મંત્રીઓની વ્યવસ્થા કરવી જોઈશે જેઓ સક્રિયતા અને પારદર્શિતા સાથે કાર્ય કરે. પ્રદીપસિંહ જેવા નેતાઓને જો સંગઠનમાં તક મળે તો પાર્ટીની વિજયયાત્રા વધુ મજબૂત થશે. આ એક ચિંતનાત્મક આહ્વાન છે જૂના મૂલ્યોને જીવંત કરીને નવી પેઢીને જોડવાનો. ભાજપનું ભવિષ્ય એવા જ વ્યક્તિત્વો પર આધારિત છે જે માટીથી ઉઠીને આકાશને સ્પર્શે છે.

