- Politics
- શુદ્ધ પેટ્રોલ તારા બાપના ઘરેથી આવશે...? ભાજપના સાંસદનું વિવાદાસ્પદ નિવેદન; E20ના વિરોધકો પર વરસ્યા
શુદ્ધ પેટ્રોલ તારા બાપના ઘરેથી આવશે...? ભાજપના સાંસદનું વિવાદાસ્પદ નિવેદન; E20ના વિરોધકો પર વરસ્યા
કેન્દ્ર સરકારની ઇથેનોલ બ્લેન્ડિંગ પોલિસીનું સમર્થન કરતા ભારતીય જનતા પાર્ટીના સાંસદ જનાર્દન મિશ્રાએ એક અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. દેશભરમાં ચાલી રહેલી E20 પેટ્રોલ અંગેની ચર્ચા વચ્ચે આ પોલિસીના આલોચકો પર નિશાન સાધતા તેમણે મંચ પરથી પૂછ્યું, શુદ્ધ પેટ્રોલ તારા બાપના ઘરેથી આવશે? મધ્યપ્રદેશના રીવા પહોંચેલા ભાજપના સાંસદે દાવો કર્યો હતો કે ભારત પોતાની જરૂરિયાતનું માત્ર 20 ટકા ક્રૂડ ઓઇલ જ ઉત્પન્ન કરે છે અને બાકીનું 80 ટકા તેલ બહારથી આયાત કરવું પડે છે.
મધ્યપ્રદેશની રીવા લોકસભા સીટના સાંસદ જનાર્દન મિશ્રા રીવા એરપોર્ટ પર આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. રીવાથી કોલકાતા વચ્ચેની સીધી હવાઈ સેવા શરૂ થવાની ખુશીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ જ કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતી વખતે તેમણે E20 પોલિસીનો વિરોધ કરનારાઓ પર આકરા પ્રહારો કર્યા હતા.

મંચ પરથી જાહેરમાં બોલતા સાંસદ જનાર્દન મિશ્રાએ કહ્યું હતું કે દેશમાં શુદ્ધ પેટ્રોલ છે જ નહીં તો આવશે ક્યાંથી? જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કહી રહ્યા છે કે પેટ્રોલમાં ઇથેનોલ ભેળવો, ત્યારે અહીં આંદોલન શરૂ થઈ જાય છે. શુદ્ધ પેટ્રોલ તારા બાપના ઘરેથી આવશે? ત્યાં પશ્ચિમ એશિયામાં યુદ્ધ ફાટી નીકળ્યું છે અને તેલના જહાજોને 18,000 કિલોમીટરનો લાંબો ફેરો ફરીને ભારત આવવું પડે છે.
તેમણે પોતાના નિવેદનમાં આગળ ઉમેર્યું કે ભારતે પેટ્રોલનો કોઈ વિકલ્પ શોધવો જ પડશે. બ્રાઝિલનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ત્યાં તો 100 ટકા ઇથેનોલ ભેળવવામાં આવે છે અને વાહનો પણ સરસ ચાલે છે. તેમણે એવો પણ દાવો કર્યો કે ભારતમાં પણ ઇથેનોલથી ગાડીઓ આરામથી ચાલી શકે છે. બીજી તરફ સરકારનો તર્ક છે કે વિવિધ ટેસ્ટિંગ બાદ વાહનોના એન્જિનમાં કાટ લાગવા કે ઘસારો થવાના કોઈ પુરાવા મળ્યા નથી.

હાલમાં સમગ્ર દેશમાં E20 પેટ્રોલ એક મોટો મુદ્દો બની ગયો છે. ઘણા વાહનચાલકોનો દાવો છે કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વાપરવાને કારણે તેમની ગાડીઓ ખરાબ થઈ રહી છે. એન્જિનમાં કાટ લાગવાની અને પાર્ટ્સ ઘસાઈ જવાની ફરિયાદો ઉઠી છે, જેના કારણે સોશિયલ મીડિયા પર E20 સામે ઓનલાઈન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. વિપક્ષે પણ આ મુદ્દાને જોરશોરથી ઉપાડ્યો છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓ એક કારની પેટ્રોલ ટાંકી ખોલીને તપાસતા નજરે પડે છે. તેમણે આ મુદ્દે પ્રહાર કરતા કહ્યું હતું કે, દાળમાં કશુંક કાળું નથી, પણ આખી દાળ જ કાળી છે. તેમણે લોકોને આશ્વાસન આપ્યું હતું કે તેઓ આ પ્રશ્નને મોટા પાયે દેશસમક્ષ ઉઠાવશે.

