- Politics
- દિલ્હીમાં CM ઓમર અબ્દુલ્લા પર ધરણા પર બેઠા, કહ્યું— ‘સરકારે પોતાનું વચન પૂરું ન કર્યું’
દિલ્હીમાં CM ઓમર અબ્દુલ્લા પર ધરણા પર બેઠા, કહ્યું— ‘સરકારે પોતાનું વચન પૂરું ન કર્યું’
જમ્મુ-કાશ્મીરને તાત્કાલિક પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે અને મોદી સરકારને સંસદ તેમજ સુપ્રીમ કોર્ટ સમક્ષ આપેલું વચન પૂરું કરવાની અપીલ કરવા માટે નેશનલ કોન્ફરન્સ (NC) એ સોમવારે દિલ્હીમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાની આગેવાની હેઠળ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ 'જમ્મુ અને કાશ્મીર હાઉસ' ખાતે એકઠા થયા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોના હાથમાં અપના વાયદા પૂરા કરો, જમ્મુ-કાશ્મીરના લોકોના અધિકારો અને સન્માન પુનઃસ્થાપિત કરો અને પૂર્ણ રાજ્યનો દરજ્જો પાછો આપો જેવા લખાણ વાળા પ્લેકાર્ડ હતા.

બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા 'કોન્સ્ટિટ્યુશન ક્લબ' તરફ જતા જોવા મળ્યા હતા, જ્યાં જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અંગેના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
પત્રકારો સાથે વાતચીતમાં પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કેઅમે પૂર્ણ રાજ્યના દરજ્જા માટે લડી રહ્યા છીએ, જેનું વચન દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીએ સંસદમાં, સુપ્રીમ કોર્ટમાં અને જમ્મુ-કાશ્મીરની જનતાને આપ્યું હતું. મને આશા છે કે સરકાર દેશના લોકોની ઈચ્છાઓનું સન્માન કરશે અને દેશના ભલા માટે કામ કરશે. આ સાથે જ લદ્દાખની સમસ્યાઓનો પણ ઉકેલ આવશે અને જમ્મુ-કાશ્મીરને તેનો રાજ્યનો દરજ્જો પાછો મળશે.
જમ્મુ-કાશ્મીરના ઉપમુખ્યમંત્રી સુરિંદર ચૌધરીએ આ મુદ્દે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારને તેનું વચન યાદ અપાવવા માટે જમ્મુ-કાશ્મીરના લોકોને દિલ્હી સુધી આવવું પડ્યું તે ખૂબ જ કમનસીબ બાબત છે.
તેમણે ઉમેર્યું કે તમે જમ્મુ-કાશ્મીરની જનતાને વચન આપ્યું હતું કે ચૂંટણીઓ પૂરી થયા પછી તમે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરશો. આજે લગભગ દોઢ વર્ષ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ ન તો વડાપ્રધાને કે ન તો ગૃહમંત્રીએ એ વચન પૂરું કર્યું છે.
ચૌધરીએ સ્પષ્ટ કર્યું કે નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ અને તેમના ગઠબંધનના સહયોગી પક્ષો કેન્દ્ર સરકારને તેની ખાતરી યાદ અપાવવા માટે જ દિલ્હીમાં એકઠા થયા છે. તેમણે સવાલ કર્યો, તમે સંસદમાં, સુપ્રીમ કોર્ટમાં અને જમ્મુ-કાશ્મીરના એક-એક બાળકને વચન આપ્યું હતું કે તમે રાજ્યનો દરજ્જો પાછો આપશો. આખરે એ યોગ્ય સમય ક્યારે આવશે?

ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2019માં અનુચ્છેદ 370 (Article 370) હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરનું પુનર્ગઠન કરીને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશો—'જમ્મુ અને કાશ્મીર' તથા 'લદ્દાખ'માં વિભાજિત કરવામાં આવ્યું હતું. ડિસેમ્બર 2023માં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના આ નિર્ણયની બંધારણીય માન્યતાને યથાવત રાખી હતી, પરંતુ સાથે જ એવું અવલોકન પણ કર્યું હતું કે જમ્મુ-કાશ્મીરને વહેલી તકે પૂર્ણ રાજ્યનો દરજ્જો પાછો આપવો જોઈએ.

