- Politics
- શક્તિસિંહ ગોહિલ-ગુજરાત કોંગ્રેસના એક 'રોયલ હિપ્પી' હવે શું કરશે?
શક્તિસિંહ ગોહિલ-ગુજરાત કોંગ્રેસના એક 'રોયલ હિપ્પી' હવે શું કરશે?
ગુજરાત કોંગ્રેસના મોટા નેતા શક્તિસિંહ ગોહિલે હાલની રાજ્યસભામાં પોતાનું છેલ્લું ભાષણ આપ્યું. લીમડાના રાજવી પરિવારમાં જન્મેલા શક્તિસિંહ કહ્યું કે તેઓ તો કોલેજમાં એક હિપ્પી ટાઇપ યુવાન હતા અને રાજકારણમાં આવવાનું વિચાર્યું ન હતું. પરંતુ રાજીવ ગાંઘીએ તેમને તક આપી અને 30 વર્ષની ઉંમરમાં તેઓ ધારાસભ્ય બની ગયા અને પછી થોડાજ સમયમાં તેમને મંત્રી બનાવવામાં આવ્યા. આટલી નાની ઊંમરે મંત્રી બનનારા કદાચ તેઓ પહેલી વ્યક્તિ હતી. પછી તો લગભગ 40 વર્ષની રાજકીય કારકીર્દીમાં તેઓ 4 વાર ધારાસભ્ય બન્યા. વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા. પછી રાજ્યસભામાં ગયા. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બન્યા. હવે તેમની ઊંમર 65 વર્ષની થઇ છે.

જોકે, રાજકારણમાં આ ઊંમર રિટાયર થવાની હોતી નથી. રાજ્યસભામાં બધાને વિદાય આપતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાજકારણમાં કોઇ ફૂલ સ્ટોપ હોતો નથી. એટલે શક્તિસિંહના રાજકીય જીવનમાં પણ આ ફૂલસ્ટોપ તો નહીં જ હોય. એટલે તેઓ શું કરશે તે મોટો સવાલ છે. તેના ઉપર વાત કરતા પહેલા શક્તિસિંહના રાજકારણ અંગે વાત કરવું જરૂરી છે. આવા રાજનેતાઓ ગુજરાતના રાજકારણમાં જૂજ છે. તેમણે રાજકારણમાં પણ એક પૂર્વ રાજવી અને રાજપૂત સમાજમાંથી આવતા હોવાનો ગુણોને હમેશા જાળવી રાખ્યા છે.

વિચારધારા
કહેવાય છે કે પૂર્વ રાજવીઓના લોહીમાં રાજ કરવાનું હોય છે. તેમને સત્તા જોઇતી હોય છે. એક સમય હતો દેશભરના પૂર્વ રાજવીઓ કોંગ્રેસમાં હતા. તેઓ સત્તા ભોગવતા હતા. કહી શકાય કે 70 વર્ષ સુધી તેમના પરિવારોએ સત્તા ભોગવી. ગ્વાલિયરનો સિંધિયા પરિવાર જેવા ઘણા પરિવારો હતા. આજે તેમાંથી મોટાભાગના ભાજપમાં જોડાઇ ગયા છે. પરંતુ શક્તિસિંહની વાત કરીએ તો આજદિન સુધી તો તેમણે સત્તા માટે પોતાની વિચારધારા સાથે કોઇ બાંધછોડ કરી નથી.
રોયલ જેન્ટલમેન
શક્તિસિંહે કેમિસ્ટ્રીમાં બીએસએસી કર્યું છે અને પછી એલ.એલ.બી. કર્યું છે. તેઓ રાજવી ફેમિલીમાંથી આવવા સાથે ઉચ્ચશિક્ષણપ્રાપ્ત છે જે તેમના વર્તનમાં દેખાય છે. તેઓ ક્યારેય કોઇ વિરોધી વ્યક્તિ માટે એલફેલ બોલતા દેખાયા નથી. તેમના નિવેદનો હમેશા તાર્કિક અને એક જેન્ટલમેન રાજનેતાને છાજે તેવા હોય છે. લોકો ખુરશીથી ચીટકી રહેતા હોય છે જ્યારે તેમણે છેલ્લી ચૂંટણીઓમાં હાર પછી તરત જ જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું હતું.

તાર્કિક અને અભ્યાસુ રજૂઆત
તેઓ વિધાનસભામાં હોય કે પછી રાજ્યસભામાં તેમની રજૂઆતો પૂર્ણ રીતે તાર્કિક અને અભ્યાસુ હોય છે. તેઓ જે મુદ્દા ઉપાડતા હોય છે તે અંગે પૂરેપૂરો અભ્યાસ કરતા હોય છે. કોંગ્રેસમાં હવે તેમના જેવા ખૂબ જ ઓછા રાજનેતાઓ બચ્યા છે.
હવે શું કરશે?
શક્તિસિંહ રાજપૂત પરિવારમાંથી આવે છે. રાજપૂતો સંઘર્ષ કરવા માટે જાણીતા છે. રાહુલ ગાંધીએ લોકસભામાં જાહેરાત કરી હતી કે ગુજરાતમાં હવે તેઓ સરકાર બનાવશે. હવે શક્તિસિંહ રાજ્યસભામાંથી નિવૃત્ત થયા છે. તેમની પાસે સમય હશે. રાહુલ ગાંધીની ખૂબ નજીક ગણાય છે. હવે તેમની સામે પડકાર છે કે તેઓ રાહુલના શબ્દોને સાચા કરી બતાવે.

