- Politics
- કેજરીવાલને ક્લીન ચીટ: શું આ ભાજપ કરતા વધારે કોંગ્રેસ માટે મોટો ઝટકો છે?
કેજરીવાલને ક્લીન ચીટ: શું આ ભાજપ કરતા વધારે કોંગ્રેસ માટે મોટો ઝટકો છે?
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં રાઉઝ એવન્યૂ કોર્ટે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને ઝટકો આપતા AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને નિર્દોષ જાહેર કર્યા છે. ન્યાયાધીશ જિતેન્દ્ર સિંહે પોતાના ચૂકાદામાં કેજરીવાલ અને સિસોદિયા સામે કોઈ પુરાવા ન હોવાની વાત કહી છે. ચૂકાદા બાદ, અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પત્રકારો સાથે વાત કરવા આવ્યા. આ દરમિયાન કેજરીવાલ સિસોદિયાને ગળે લગાવીને રડી પડ્યા. 2022માં પહેલી વાર સામે આવેલા આ કૌભાંડે AAPને ખૂબ નુકસાન પહોંચાડ્યું.
પહેલા, આ કેસમાં કેજરીવાલ, સિસોદિયા અને સંજય સિંહ સહિત તેના ઘણા ટોચના નેતાઓને આ કેસમાં જેલમાં ગયા. બાદમાં પાર્ટીએ દિલ્હીમાં સત્તા ગુમાવી દીધી. હવે, આ કેસમાં કેજરીવાલને જે રીતે ક્લીન ચીટ મળી છે તેનાથી પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે કે શું ભવિષ્યમાં કેજરીવાલને રાજકીય રીતે ફાયદો થશે? જો હાં તો ક્યાં અને કેવી રીતે?
પહેલા જાણો, કયા રાજ્યોમાં છે AAPનો દબદબો
2012માં રચાયેલી આમ આદમી પાર્ટી (AAP)નો હાલમાં દિલ્હી, પંજાબ, ગુજરાત, કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ગોવા જેવા રાજ્યોમાં રાજકીય દબદબો છે. પંજાબમાં AAPની સરકાર છે અને ગુજરાતમાં ત્રીજા ક્રમની સૌથી મોટી પાર્ટી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં, આમ આદમી પાર્ટી વિપક્ષની ભૂમિકામાં છે. આગામી બે વર્ષમાં ગુજરાત, પંજાબ, ગોવા અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.
અરવિંદ કેજરીવાલ આ રાજ્યોમાં મજબૂતીથી મેદાનમાં ઉતરી શકે છે. તેઓ રાઉઝ એવન્યૂ કોર્ટમાંથી મળેલી ક્લીન ચિટનો લાભ આ ચૂંટણીઓમાં લઈ શકે છે. AAPએ આ અંગે સંકેત પણ આપ્યો છે. પાર્ટીના સોશિયલ મીડિયા હેન્ડલ્સે લખ્યું છે કે, ‘આ આંસુ ભાજપની ખોટી અને કપટી રાજનીતિ પર ભારે પડશે.’
કેજરીવાલની ક્લીન ચિટથી ભાજપને નુકસાન થશે?
આગામી 2 વર્ષમાં જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, તેમાં માત્ર ગોવા, પંજાબ, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આમ આદમી પાર્ટીનો દબદબો છે. પંજાબ અને હિમાચલમાં, AAPની સીધી લડાઈ કોંગ્રેસ સાથે છે. ગોવા અને ગુજરાતમાં ભાજપ સત્તામાં હોવા છતા કોંગ્રેસ ત્યાં પણ મજબૂત સ્થિતિ ધરાવે છે. એટલે કે આ બે રાજ્યોમાં પણ, AAPની સીધી લડાઈ ભાજપ સાથે નથી. એવામાં કેજરીવાલની ક્લીનચીટ ભાજપને સીધી રીતે નુકસાન પહોંચાડે એવી શક્યતા ઓછી છે.
તેનાથી વિપરીત, આ કોંગ્રેસને વધુ નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે AAP આનો લાભ એક વર્ષ પછી યોજાનારી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં લઈ શકે છે. કોંગ્રેસને પંજાબ પાસેથી ઘણી આશાઓ હતી. આટલું જ નહીં, જો AAPનું ગુજરાત અને ગોવા જેવા રાજ્યોમાં વર્ચસ્વ વધે છે તો પણ કોંગ્રેસને જ નુકસાન થશે.
ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જંગી જીત મેળવી હતી. AAPના મત હિસ્સાએ પણ આ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ચૂંટણી પંચના મતે, 2022ની ચૂંટણીમાં, BJPને 52.50 ટકા, કોંગ્રેસને 27.28 ટકા અને AAPને આશરે 13 ટકા મત મળ્યા હતા. જો આપણે 2017ના આંકડાઓ પર નજર કરીએ તો, BJPને 41.1 ટકા મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 41.4 ટકા મત મળ્યા હતા. AAPને આ ચૂંટણીમાં માત્ર 0.1 ટકા મત મળ્યા હતા. 2017ની સરખામણીમાં, AAPએ 2022માં કોંગ્રેસનો મત હિસ્સો ઘટાડ્યો, જેના કારણે કોંગ્રેસની બેઠકો 77થી ઘટીને 27 થઈ ગઈ. ભાજપની બેઠકો 99 થી વધીને 156 થઈ ગઈ
છેલ્લા 7 વર્ષમાં ભ્રષ્ટાચારના નામે ધરપકડ કરાયેલા મોટા નેતાઓમાં પી. ચિદમ્બરમ, કાર્તિ ચિદમ્બરમ, ચંદ્રબાબુ નાયડુ, અરવિંદ કેજરીવાલ, ડી.કે. શિવકુમાર, મનીષ સિસોદિયા અને હેમંત સોરેનનો સમાવેશ થાય છે. આમાંથી માત્ર કેજરીવાલ અને સિસોદિયા જ સહાનુભૂતિ મત મળી શક્યા નથી.
2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, બંને અગ્રણી નેતાઓ જેલમાંથી મુક્ત થયા છતા ચૂંટણી જીતી ન શક્યા, જ્યારે હેમંત સોરેને ઝારખંડમાં સહાનુભૂતિ મતોથી ભાજપને હરાવી. ડી.કે. શિવકુમાર પણ કર્ણાટકમાં કોંગ્રેસને ફરીથી સત્તામાં લાવવામાં સફળ રહ્યા. જેલમાંથી પાછા ફર્યા બાદ ચંદ્રબાબુ નાયડુ પણ આંધ્ર પ્રદેશમાં સત્તામાં આવ્યા.
સંદીપ દીક્ષિતે મિલીભગતનો આરોપ લગાવ્યો
બીજી તરફ કોંગ્રેસના પૂર્વ સાંસદ અને અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડી ચૂકેલા સંદીપ દીક્ષિતે ભાજપ અને AAP વચ્ચે મિલીભગતનો આરોપ લગાવ્યો છે. દીક્ષિતના મતે, ભાજપ જાણી જોઈને કેજરીવાલ સામે કાર્યવાહી કરવાનું ટાળી રહી છે. આ દરમિયાન, પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રઝા બરારે આ મામલે ટિપ્પણી કરતા કહ્યું કે, ‘મને તો કંઈ સમજાતું નથી. કોઈ વ્યક્તિ 1.5 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ કેવી રીતે નિર્દોષ જાહેર થઈ ગયા? કોંગ્રેસ હાઈકમાન્ડે હાલમાં આ મામલે મૌન ધારણ કરી લીધું છે.

