- National
- નિર્દોષ જાહેર થતા કેજરીવાલ ભાજપ પર વરસ્યા, કહ્યું- આઝાદ ભારતમાં પહેલીવાર...
નિર્દોષ જાહેર થતા કેજરીવાલ ભાજપ પર વરસ્યા, કહ્યું- આઝાદ ભારતમાં પહેલીવાર...
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને દિલ્હી એક્સાઇઝ પોલિસી (દારૂ નીતિ) કેસમાં મોટી રાહત મળી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આ મામલામાં તમામ 23 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે CBI આ લોકો વિરુદ્ધ આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહી છે.
https://twitter.com/AAPDelhi/status/2027274472215212193
કોર્ટે ચુકાદામાં શું નોંધ્યું?
રાઉઝ એવન્યુ કોર્ટે કડક શબ્દોમાં તપાસ એજન્સીની ઝાટકણી કાઢતા કહ્યું કે, ગંભીર આરોપો સાબિત કરવા માટે મજબૂત પુરાવા હોવા અનિવાર્ય છે. માત્ર આરોપ લગાવવાથી કેસ બની જતો નથી. કોર્ટની મહત્વની ટિપ્પણીઓ નીચે મુજબ છે:
- તપાસમાં ખામીઓ: CBI દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં અનેક ખામીઓ હતી અને ઘણા પ્રશ્નોના સંતોષકારક જવાબ મળ્યા નહોતા.
- સંસ્થાકીય નિર્ણય: એક્સાઇઝ પોલિસી બનાવવાની પ્રક્રિયામાં વિવિધ સ્તરે પરામર્શ કરવામાં આવ્યો હતો. દસ્તાવેજો દર્શાવે છે કે આ એક સંસ્થાકીય વિચારણા હતી, કોઈ ગુનાહિત કાવતરું નહીં.
- મનીષ સિસોદિયા અંગે: કોર્ટે કહ્યું કે સિસોદિયા વિરુદ્ધ કોઈ ગુનાહિત ઈરાદાના પુરાવા મળ્યા નથી. સરકારી વકીલનો કેસ ન્યાયિક તપાસમાં ટકી શક્યો નથી.
- પુરાવાનો અભાવ: તપાસ એજન્સીના પુરાવા નબળા અને અપૂરતા સાબિત થયા છે, જેના કારણે મુખ્ય કાવતરાખોરની ભૂમિકા સાબિત થઈ શકી નથી.
કોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષના સિદ્ધાંતમાં કોઈ તથ્ય નહોતું. તેમની વાર્તા આંતરિક ગૂંચવણોથી ભરેલી હતી. CBI દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટમાં અસંખ્ય ખામીઓ હતી અને અસંખ્ય પ્રશ્નો ઉભા થયા હતા જેનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. તપાસ એજન્સીના પુરાવા નબળા અને અપૂરતા હોવાનું જણાયું હતું, અને તેથી રાહત આપવામાં આવી હતી. જ્યારે બંધારણીય અથવા જાહેર પદ ધરાવતા વ્યક્તિ સામે ગંભીર આરોપો મૂકવામાં આવે છે, ત્યારે તેમના વિરુદ્ધ નક્કર પુરાવા આપવા જરૂરી છે. ફક્ત આરોપો લગાવવાથી કેસ બનતો નથી.

કેજરીવાલ અને સિસોદિયા ભાવુક થયા
કોર્ટનો ચુકાદો આવતાની સાથે જ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ભાવુક થઈ ગયા હતા. મીડિયા સાથે વાત કરતા કેજરીવાલે રડતા અવાજે જણાવ્યું હતું કે "ભાજપ છેલ્લા કેટલાક વર્ષોથી જે રીતે 'દારૂ કૌભાંડ-દારૂ કૌભાંડ' કહી રહી હતી, આજે કોર્ટે તે તમામ આરોપો ફગાવી દીધા છે. હું હંમેશા કહેતો હતો કે સત્યની જીત થાય છે અને ભગવાન અમારી સાથે છે. મોદીજી અને અમિત શાહજીએ મળીને આઝાદ ભારતનું સૌથી મોટું રાજકીય ષડયંત્ર રચ્યું હતું."
તેમણે વધુમાં ઉમેર્યું કે આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે તેના પાંચ મોટા નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા હતા. કેજરીવાલે ભારપૂર્વક કહ્યું કે, "કેજરીવાલ ભ્રષ્ટ નથી, કેજરીવાલ અને મનીષ સિસોદિયા કટ્ટર ઈમાનદાર છે."
તેમણે કહ્યું આઝાદ ભારતમાં આ પહેલી વાર બન્યું છે કે કોઈ મુખ્યમંત્રીને તેમના ઘરમાંથી ખેંચીને કેદ કરવામાં આવ્યા હોય. નાયબ મુખ્યમંત્રી સિસોદિયાને લગભગ બે વર્ષ જેલમાં રાખવામાં આવ્યા હતા.

વકીલની દલીલ
અરવિંદ કેજરીવાલ પક્ષે હાજર રહેલા વરિષ્ઠ વકીલ એન. હરિહરને જણાવ્યું હતું કે, "હજારો દસ્તાવેજો અને ચાર્જશીટની ઝીણવટભરી તપાસ કર્યા પછી કોર્ટ એ નિષ્કર્ષ પર પહોંચી છે કે કોઈ કેસ જ બનતો નથી. કોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ આરોપી નંબર 1 અને 2 સહિત તમામને ડિસ્ચાર્જ કરવાનો આદેશ આપ્યો છે."

