- National
- કટ-મનીની રાજ રમત શું છે? પશ્ચિમ બંગાળની દરેક ચૂંટણીમાં CM મમતા બેનર્જી આ શબ્દથી કેમ ઘેરાયેલા રહે છે?...
કટ-મનીની રાજ રમત શું છે? પશ્ચિમ બંગાળની દરેક ચૂંટણીમાં CM મમતા બેનર્જી આ શબ્દથી કેમ ઘેરાયેલા રહે છે?
છેલ્લી વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભા ચૂંટણી, બંગાળમાં કટ-મનીના આરોપો CM મમતા બેનર્જીને ઊંઘવા નથી દેતા. લગભગ દરેક BJP નેતા તેમની રેલીઓમાં કટ-મનીનો ઉલ્લેખ કરીને TMC પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે. હવે, UPના CM યોગી આદિત્યનાથે બંગાળમાં એક રેલીમાં ગર્જના કરી છે કે, આ લોકોએ (TMC) જનતા માટે, યુવાનો માટે, દીકરીઓ અને બહેનો માટે ભયનું વાતાવરણ ઉભું કર્યું છે. BJP આનો અંત લાવશે. જે લોકોએ છેલ્લા 15 વર્ષથી બંગાળની ઓળખને એક ભયના વાતાવરણમાંથી પસાર કરાવ્યું હોય, જેમણે બંગાળને આતંક અને માફિયાની કટ-મની અને ભ્રષ્ટાચારના કેન્દ્ર સ્થાનમાં ફેરવી દીધી છે, તે TMC હવે ન રહેવી જોઈએ.
આમ જોઈએ તો ભ્રષ્ટાચારની સમસ્યા દેશભરમાં છવાયેલી છે, પરંતુ બંગાળનો ઉલ્લેખ થતા આ કટ-મનીનો મુદ્દો હંમેશા ઉઠાવવામાં આવે છે. 2019ની ચૂંટણીમાં પણ બંગાળના એક NGO સહીત BJPના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, TMCના પંચાયત પ્રધાનથી લઈને TMCના ટોચના નેતાઓ સુધી કટ-મનીનો ભાગ દરેકની પાસે પહોંચે છે. 2020માં, PM નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો હતો કે, કટ-મની બંધ કરવામાં આવશે, જેના કારણે બંગાળની સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ લાગુ કરી રહી નથી. હવે, તમે જાણી લો કે આ કટ-મની શું છે?
હકીકતમાં તે એક બિનસત્તાવાર રીતે લેવાયેલું કમિશન છે. તમે તેને ગેરકાયદેસર રીતે કમાયેલા પૈસા કહી શકો છો. બંગાળના સ્થાનિક નેતાઓ પર તેમના વિસ્તારમાં પ્રોજેક્ટ્સ માટે સરકારી ગ્રાન્ટમાંથી કટ મની માંગવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ કટ મની સંપૂર્ણપણે રોકડમાં લેવામાં આવે છે, અને પ્રાપ્ત થયેલા અથવા આપવામાં આવેલા પૈસાનો કોઈ લેખિત રેકોર્ડ નથી હોતો.
આ વાતને આપણે એક ઉદાહરણ સાથે સમજીએ:- જો સરકાર કોઈ એક ચોક્કસ પ્રોજેક્ટ માટે રૂ 100 આપતી હોય છે, તો સ્થાનિક નેતા, જે ઘણી વખત ચૂંટાયા છે, કહેશે, 'હું ગ્રાન્ટ મેળવવામાં મદદ માટે તેમાંથી રૂ. 25 ચાર્જ લઇશ.' આ કટ મની પાર્ટીમાં એક ચેઇનની જેમ પાયાના નાના નેતાઓથી લઈને સૌથી વરિષ્ઠ નેતાઓ સુધી પહોંચે છે. આ રકમ કરોડોમાં પણ હોય શકે છે.
2019માં, એક સમાચાર આવ્યા કે, TMC બૂથ પ્રમુખ ત્રિલોચન મુખર્જીએ 141 કાર્યકરો પાસેથી 8 મહિનાના વેતન માટે લીધેલા કટ મનીમાંથી 2.25 લાખ રૂપિયા પરત કર્યા છે. જોકે, કોઈ પણ એવો દાવો કરી શકે નહીં કે, બીજા કોઈપણ રાજ્યમાં કમિશન લેવાનું સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયું છે.
PM નરેન્દ્ર મોદી (કૂચ બિહાર રેલી):- આ વખતે બંગાળમાં, એક તરફ, TMCના 'કટ મની' અને 'ભ્રષ્ટાચાર'નો ડર છે, અને બીજી તરફ, BJPમાં વિશ્વાસ છે, જે વિકાસને વેગ આપશે.
ગૃહમંત્રી અમિત શાહ (બાંકુરા) - હું એક વચન આપીને જઈ રહ્યો છું, અમે આખા બંગાળમાંથી CM મમતાના સિન્ડિકેટને ખતમ કરીશું. CM મમતા દીદીએ શું હાલ કરી નાખ્યો છે આ બંગાળનો! જો તમને સિમેન્ટ જોઈતી હોય, તો તમારે સિન્ડિકેટને કટ મની ચૂકવવો, જો તમને પંખો જોઈતો હોય, તો સિન્ડિકેટ રસ્તામાં આવી જાય છે. જો તમને ઈંટો અને રેતી જોઈતી હોય, તો સિન્ડિકેટ રસ્તામાં આવી જાય છે. સિન્ડિકેટ બંગાળના લોકોનું લોહી ચૂસીને શાસન કરવાનું ચાલુ રાખે છે. હું આજે એમ કહીને જઈ રહ્યો છું કે, એકવાર CM મમતા બેનર્જીને હાંકી કાઢવામાં આવે અને BJPની સરકાર બને, તો અમે સિન્ડિકેટને ઉંધી લટકાવીને સીધી કરવા માટેનું કામ કરીશું.
નીતિન નવીન (BJP પ્રમુખ):- TMC એટલે... T-તોલાબાજ અને તુષ્ટિકરણ, M-માફિયા શાસન અને મહિલાઓ સામે અત્યાચાર, C-ભ્રષ્ટાચાર અને કટ-મનીના પૈસા.

