- Science
- વૈજ્ઞાનિકો કહે છે કે લદ્દાખના આકાશમાં દેખાતો લોહી જેવા લાલ રંગનો પ્રકાશ ખતરાની નિશાની છે
વૈજ્ઞાનિકો કહે છે કે લદ્દાખના આકાશમાં દેખાતો લોહી જેવા લાલ રંગનો પ્રકાશ ખતરાની નિશાની છે
દુનિયાભરના લોકો નોર્વે, આઇસલેન્ડ અને ફિનલેન્ડ જેવા સ્થળોએ ઓરોરા લાઇટ્સ જોવા માટે જાય છે. પૃથ્વી પરથી તેને જોવું ખુબ સુંદર લાગતું હોય છે અને આ દૃશ્ય ખરેખર અદ્ભુત હોય છે. તાજેતરમાં, ભારતમાં પણ આવી લાઇટ્સ જોવા મળી હતી. આવામાં તમને લાગી શકે છે કે, 'આ કેટલી અદ્ભુત વાત છે, તે કેટલું અદભુત દૃશ્ય રહ્યું હશે. પરંતુ તેની પાછળની વાર્તા કંઇક અલગ જ છે.
હકીકતમાં, આ રીતે દેખીતી સુંદર લાઇટ્સ ખરેખર એક મોટા ગંભીર ખતરાનો સંકેત આપતી હોય છે. અને ભારતમાં તેમના દેખાવનો અર્થ એ છે કે, ભારતે પણ આ જોખમથી સાવધ રહેવું જોઈએ. 19 અને 20 જાન્યુઆરીની રાત્રે, લદ્દાખના હાનલે ગામ નજીક આકાશમાં એક તેજસ્વી લાલ પ્રકાશ જોવા મળ્યો. સામાન્ય રીતે, અહીંનું આકાશ ઘેરો વાદળી આકાશ, તારાઓ અને આકાશગંગા હોય છે. પરંતુ તે બે દિવસે, પ્રકાશ લોહી જેવા લાલ રંગનો હતો.
આ ઉત્તર ધ્રુવ પર દેખાતી ઓરોરા લાઇટ્સ જેવી જ હતી, ફક્ત તેમનો રંગ લાલ હતો. ખરેખર તે દૃશ્ય સુંદર હતું, પરંતુ તેની પાછળનું કારણ ઘણું ખતરનાક હતું. હકીકતમાં, આ લાઇટ્સ એક ખતરનાક સૌર તોફાનને કારણે થઈ હતી. થયું એવું કે, 18 જાન્યુઆરીના રોજ, સૂર્યમાંથી X-ક્લાસ સૌર જ્વાળા ફાટી નીકળી હતી. હવે, તમે પૂછી રહ્યા હશો કે આ શું છે. તો અહીં તમને બતાવી દઈએ કે, સૌર જ્વાળા એ સૂર્ય પર થતો વિસ્ફોટ છે. તેમાંથી મોટા પ્રમાણમાં ઊર્જા, પ્રકાશ અને હાઇ-સ્પીડ કણો નીકળતા હોય છે.
આ જ્વાળાઓને તેમની શક્તિ અનુસાર વર્ગીકૃત કરવામાં આવે છે, જેમાં X-ક્લાસ સૌથી શક્તિશાળી વિસ્ફોટ હતો. જ્યારે આ X-ક્લાસ સૌર જ્વાળા ફાટી નીકળ્યો, ત્યારે સૂર્યએ એક સાથે પૃથ્વી તરફ કોરોનલ માસ ઇજેક્શન (CME) બહાર કાઢ્યું. આ સૂર્યમાંથી ગેસ અને ચુંબકીય ઊર્જાનો એક વિશાળ વાદળ છે. આ વાદળ ખૂબ જ વધારે ઝડપથી પૃથ્વી તરફ આવ્યું હતું. પૃથ્વી પર પહોંચ્યા પછી, તે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાયું. આ ટક્કરથી G4-સ્તરનું ભૂ-ચુંબકીય તોફાન સર્જાયું. આ એક ખતરનાક તોફાન હોય છે.
મીડિયા સૂત્રના એક અહેવાલ મુજબ, જ્યારે સૂર્યમાંથી આ હાઇ-સ્પીડ કણો પૃથ્વીના ઓક્સિજન પરમાણુઓ સાથે અથડાય છે, ત્યારે તેઓ તેજસ્વી લાલ પ્રકાશ ઉત્પન્ન કરે છે. આ લાલ ચમકને ઓરોરા કહેવામાં આવે છે. નોર્વે જેવી જગ્યાએ, આ લાઇટ્સ લીલા રંગની દેખાય છે, કારણ કે તે ઉત્તર ધ્રુવની નજીક છે. ત્યાંથી, આપણે તેનો નીચેનો સ્તર જોઈએ છીએ, જે લીલો દેખાય છે. ભારતના લદ્દાખ ક્ષેત્રમાં, જે ખૂબ દૂર છે અને નીચા અક્ષાંશ પર સ્થિત છે, આપણે ઉપરનું સ્તર લાલ રંગમાં જોઈએ છીએ.
હવે પ્રશ્ન એ છે કે, આ કેમ ખતરનાક છે. આ તીવ્ર સૌર તોફાનો પૃથ્વીને ખુબ મોટું નુકસાન પહોંચાડી શકે છે. તેઓ આપણી ટેકનોલોજી સિસ્ટમથી લઈને પાવર ગ્રીડ અને ઉપગ્રહો સુધી દરેકને નુકસાન પહોંચાડી શકે છે. સૌર તોફાનો ઇલેક્ટ્રિક ઝટકા ઉત્પન્ન થઇ શકે છે, જે પાવર ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચાડી શકે છે અને મોટા બ્લેકઆઉટનું કારણ બની શકે છે.
આ ઉપરાંત, આવા તોફાનોને કારણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સંકોચાઈ શકે છે, જેના કારણે ઉપગ્રહો તેમની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી શકે છે. ભારતના આદિત્ય-L1 મિશન (ISRO)એ દર્શાવ્યું છે કે ભૂસ્થિર ઉપગ્રહો હાનિકારક સૌર પવનોથી પણ પ્રભાવિત થઈ શકે છે. આ ઉપરાંત, આ તોફાનો GPS સિગ્નલોને વિક્ષેપિત કરી શકે છે અને બેન્કિંગ/નેવિગેશનને અસર થઇ શકે છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર અવકાશયાત્રીઓએ રેડિયેશનથી આશ્રય લેવો પડે છે.
એકંદરે, સૂર્યમાંથી નીકળનારુ આ સૌર તોફાન પૃથ્વી પર ખુબ મોટા પ્રમાણમાં વિનાશ લાવી શકે છે. આવી સ્થિતિમાં તેનાથી બચવા માટે કેટલીક તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. આદિત્ય-L1 મિશનના ભાગ રૂપે ભારત દ્વારા મોકલવામાં આવેલા સાધનો આવા તોફાનો વિશે 1-2 દિવસ અગાઉ માહિતી આપી શકે છે. એના કારણે ઉપગ્રહોને સેફ મોડમાં લાવી શકાય છે અને પાવર ગ્રીડને સુરક્ષિત રાખવા સક્ષમ બનાવી શકાય છે. તાજેતર આવેલું ભયંકર તોફાન સૂચવે છે કે, સૂર્ય વધુ સક્રિય અને ખતરનાક બની રહ્યો છે. આગામી મહિનાઓ અને વર્ષોમાં આવા તોફાનો વધી શકે છે. આનાથી આપણી ટેક અર્થવ્યવસ્થા અને સેટેલાઇટ નેટવર્ક પર ઘણું વધારે દબાણ આવશે.

